વિશ્રામ ૯
પૂર્વછાયો
ભૂપ કહે અભેસિંહજી, અહો વર્ણી અચિંત્યાનંદ;
એક કથા મુજને કહો, પ્રેમે પુછું ધરી આનંદ. ૧
ચોપાઈ
મહા ધર્મધુરંધર ધીર, આચારજજી જે શ્રીરઘુવીર;
તેણે વરતાલ ધામ મોઝાર, જ્ઞાનયજ્ઞ કર્યો એકવાર. ૨
સતસંગિજીવનની કથાય, જ્ઞાનયજ્ઞ સમાન ગણાય;
ઘણા ત્યાગિ ઘણા હરિજન, રહ્યા સાંભળવા ધરિ મન. ૩
મોટા ઉત્સવની તે કથાય, સંભળાવો મને મુનિરાય;
તે તો વાત સાંભળવા તણી, મારે અંતરે ઇચ્છા છે ઘણી. ૪
કહે વર્ણી સુણો હે રાજન, કથા તે તો છે પરમ પાવન;
સંભળાવું તે સ્નેહ સહિત, સાંભળો કરીને એકચિત્ત. ૫
સંપ્રદાયની પુષ્ટિને કાજે, સ્થાપ્યા આચારજો મહારાજે;
તેમાં ધર્મધુરંધર ધીર, આચારજજી જે શ્રી રઘુવીર. ૬
તેણે સંતસંગ ખૂબ શોભાવ્યો, ખીલે બાગ તે રીતે ખિલાવ્યો;
કર્યાં મંદિર મૂર્તીયો ધરી, રચ્યા ગ્રંથ ને ટીકાઓ કરી. ૭
સતસંગનિ શોભા વધારી, વાહ વાહ કહે નરનારી;
બેય દેશમાં એહ પ્રમાણ, રઘુવીરનાં થાય વખાણ. ૮
સત્યવાદિપણું એવું ધરે, બોલ્યા વચન તે કદિયે ન ફરે;
પરધર્મિયો પણ એહ ટાણે, રઘુવીરને સર્વ વખાણે. ૯
સર્વ સંત તથા હરિજન, કરે સૌ શાંત મનથિ ભજન;
સૌને આનંદ ઉરમાં વિશેષ, નહિ ક્લેશ દિસે લવલેશ. ૧૦
રામરાજ્યમાં જેમ પ્રજાય, શાંતિ પામે ને હરખે સદાય;
તેમ આચાર્ય રઘુવીર છતાં, સૌનાં મન શાંતિથી સુખિ થતાં. ૧૧
આચરજપદને ઘટે જેમ, આચરણ તો કર્યાં એણે એમ;
લોકલાજ ઘણી ઉર ધરતા, અપજશથિ અતિશય ડરતા. ૧૨
જાણતા જે જેનો જશ રહે, ધન્ય જન્મ તેનો જન કહે;
ધન્ય ધન્ય આચારજ એહ, જશ પામિયા અવિચળ જેહ. ૧૩
એક અવસરે શ્રી રઘુવીર, ઉઠ્યા પ્રાત સમે મહાધીર;
કર્યું ગોમતિમાં જઈ સ્નાન, કરી નિત્યક્રિયા તેહ સ્થાન. ૧૪
હરિ મંડપમાં વિચરીને, બેઠા તે તહાં ધ્યાન ધરીને;
મૂર્તિ પ્રગટ પ્રભૂજિનિ જેહ, દીઠી અંતરદૃષ્ટિયે એહ. ૧૫
અંગોઅંગ જુવે વારે વારે, સ્તુતિ સ્નેહ સહિત ઉચારે;
પ્રભુ પ્રેરણાથી એહ વાર, ઉપજ્યો ઉર માંહિ વિચાર. ૧૬
સંપ્રદાયનિ પુષ્ટિને કાજ, સંપ્રદાય શોભાવાને આજ;
મને ગાદિ સોંપી મહારાજે, કર્યું મેં મુજને જેમ છાજે. ૧૭
હવે તો એક ઇચ્છા છે ઘણી, કથા સત્સંગિજીવન તણી;
કરાવું આંહીં ચાતુર માસ, સુણે સૌ સંત ને હરિદાસ. ૧૮
એમાં માર્મિક અર્થ છે જેહ, સદ્ગુરુઓ જ સમજે છે તેહ;
એવા જ્યારે તજી દેહ જાશે, અર્થ માર્મિક કેમ જણાશે. ૧૯
ભટજી જે કથા સંભળાવે, મર્મ સદગુરુઓ સમજાવે;
ત્યારે ગ્રંથ તણો અભિપ્રાય, જન સર્વને તે સમજાય. ૨૦
માટે સંત સરવને તેડાવું, હરિભક્ત બધાને બોલાવું;
રહે સૌ આંહીં ચાતુરમાસ, કથા સાંભળે રાખિ હુલ્લાસ. ૨૧
નિત્ય સંતોને આપું રસોઈ, કદિ આપે બિજો ભલે કોઈ;
આવે જાચક દુરબળ જન, નિત્ય આપું એને પણ અન્ન. ૨૨
પુછું સદ્ગુરુની અભિપ્રાય, પછિ આદરું એહ ઉપાય;
નથી દેહ તણો નિરધાર, ધર્મકામમાં કરવી ન વાર. ૨૩
એવું ધારીને ધર્મનિવાસે, સદ્ગુરુઓને તેડાવ્યા પાસે;
અક્ષરાનંદ આદિક આવ્યા, રઘુવીરે વિચાર સુણાવ્યા. ૨૪
સુણિ સદ્ગુરુને લાગ્યું સારું, કહ્યું એ તો ઉત્તમ કામ ધાર્યું;
દયારામ જોશિને બોલાવો, દિન આરંભનો જોવરાવો. ૨૫
જોશિ સારા છે જ્યોતિષજાણ, વળિ ભક્ત પુરા છે પ્રમાણ;
જોશિ બોલાવ્યા ડભાણવાસી, કહ્યું મુહૂરત આપો તપાસી. ૨૬
બોલ્યા જોશિ ધરી મન હર્ષ, અસાડાદિ આ વિક્રમ વર્ષ;
ઓગણીસેં ને બારમું ધારી, અષાઢી શુદિ ચોથ છે સારી. ૨૭
વળિ માસ અધિક છે એહ, પુણ્ય કામમાં ઉત્તમ તેહ;
પુષ્ય નક્ષત્ર ચંદ્ર છે વાર, સર્વ કામે સિદ્ધિ આપનાર. ૨૮
કહે આચારજી તેહ વારે, કહો આરંભ કરવો તે ક્યારે;
કહે જોશિ જે દેવિ શિવા છે, સારા નરસાં ચોઘડિયાં કહ્યાં છે. ૨૯
વ્યતિપાત1 કે વૈધૃત2 હોય, કામ કરવું પડે કદિ તોય;
સારાં ચોઘડિયાંમાં કરાય, શિવા3 કહે છે તેની સિદ્ધિ થાય. ૩૦
દિનમાનનો4 આઠમો ભાગ,5 એક ચોઘડિયા તણો લાગ;
પ્રભાતે હોય તે સાંજ ટાણે, ફરે છે કુંડળીને પ્રમાણે. ૩૧
પહેલે દિન ચોથું ગણાય, બિજે દિન તે પ્રભાતમાં થાય;
એક દોહરામાં કહું એહ, તમે સાંભળો આચાર્ય તેહ. ૩૨
ચોઘડિયાં કમલ (દોહરો)
રવિ દિન પ્રથમ ઉદ્વેગ ચળ, લાભ અમૃત ને કાળ;
પછિ શુભ રોગ ઉદ્વેગ પછિ, પ્રતિદિન ચોથું ભાળ. ૩૩
ચોપાઈ
જોશિની સાંભળી વારતાય, આપિ દક્ષિણા કીધા વિદાય;
પછિ કુંકુમપત્ર લખાવ્યા, સર્વ ત્યાગ ગૃહસ્થ તેડાવ્યા. ૩૪
લખે હસનભાઈ કોઠારી, જેનિ બુદ્ધિ દિસે બહુ સારી;
ઘૃત સાકર આદિ મગાવે, પરગામથિ માલ તે આવે. ૩૫
જેને આચારજે સોંપ્યું કામ, કહું છું હવે તેહનાં નામ;
અક્ષરાનંદ સદગુરુ જેહ, વર્ણિ નારાયણાનંદ તેહ. ૩૬
ત્યાગિયોને ઉતારા તે આપે, કોઈ તેનું વચન ન ઉથાપે;
દિશા પશ્ચિમે મંદિર થકી, થયા ત્યાગિના ઉતારા નકી. ૩૭
રહેવાસી ડભોઇના જાણો, નામ કરુણાશંકર પ્રમાણો;
નડિયાદના દાનતરામ, કહું તેને સોંપ્યું જેહ કામ. ૩૮
સંઘ હરિજનના આવનારા, તેને આપતા તેહ ઉતારા;
દિશા પૂર્વની મંદિર થકી, ઠર્યા તેને ઉતારા ત્યાં નકી. ૩૯
માધવાનંદ જે બ્રહ્મચારી, પાકશાળા તપાસે તે સારી;
સાધુની પાઠશાળાને પાસ, રાખ્યા સાધુ નારાયણદાસ. ૪૦
શવચંદ ગોવર્ધનભાઈ, રાખ્યા તેને મોદીખાના6 માંઈ;
નાણાનો મેળ રાખવા કાજે, હરિલાલ રાખ્યા મહારાજે. ૪૧
અગરાજી ને નાના નથૂજી, લાવે ઇંધણાં7 તે તો બહૂજી;
નથુભાઈ હકોભાઈ પાળા, ગોદડાં તે સંભાળવાવાળા. ૪૨
શાક ને ઇંધણાની સંભાળ, રાખે તે પણ તેઓ તે કાળ;
છડીદાર નામે પ્રભુદાસ, બહુ સૌની કરે બરદાસ. ૪૩
અંબૈદાસ ને કેશવ જન, વળી બેચર જગજીવન;
સાજા માંદાનિ રાખે સંભાળ, કષ્ટ પામે ન કોઈ તે કાળ. ૪૪
ક્ષત્રિ બાવોજિ ક્ષત્રિ શવાજી, ચોકિપેરો તે તો રાખતાજી;
એવિ રીતથી સોંપિયાં કામ, આવવા લાગ્યા સંઘ તમામ. ૪૫
સરિતાઓ સાગરમાં વહાવે, એમ વરતાલમાં સંઘ આવે;
હંસ માનસરોવરે ધાય, તેમ આવે પરમહંસ ત્યાંય. ૪૬
ઉતર્યા જ ગામમાં જઈ, તેથિ ત્યાં તો ઘણી ભિડ થઈ;
કોઈ બાગમાં જઇને ઉતરિયા, કોઈ તીરે તડાગને ઠરિયા. ૪૭
સીમમાં પણ નવ મળે માગ, આવ્યા હરિજન એમ અથાગ;
પર્ણકુટિ કરી કોઇ રહ્યા, વનવાસિ ખરેખરા થયા. ૪૮
સાંઝ કેરો સમો થયો જ્યારે, સભા આચારજે સજિ ત્યારે;
બેસવું ઘટે જ્યાં જેને જેમ, બેઠા મંદિર પાછળ તેમ. ૪૯
આચારજ એમ ઉચ્ચર્યા વાણી, કહું સાંભળો સૌ સ્નેહ આણી;
કથા સત્સંગિજીવન તણી, સુણવા જોગ ઉત્તમ ઘણી. ૫૦
પ્રભાતે તેનો આરંભ થાશે, સવારે અને સાંઝે વંચાશે;
વળિ શયન આરતિ સુધિ રાતે, ભટજી વાંચશે ભલિ ભાતે. ૫૧
મૌન રહીને શ્રવણ તેનું કરજો, ગ્રામ્યવાત કશી ન ઉચરજો;
ગૃહસ્થો સરવે નરનારી, બ્રહ્મચર્ય રાખો વ્રતધારી. ૫૨
વળિ ગોમતિયે નાવા જાતાં, જવું આવવું કીર્તન ગાતાં;
સ્થાન તીર્થનાં છે આંહીં ઘણાં, કરવાં દરશન તેહ તણાં. ૫૩
આવો અવસર દુર્લભ જાણો, જ્ઞાનયજ્ઞ આ પ્રૌઢ પ્રમાણો;
કથા સાંભળવી તપ કરવું, કથાહારદ8 હૈયામાં ધરવું. ૫૪
કાંઇયે વ્યવહારિક કામ, નવ સંભારવું એહ ઠામ;
જેને જોઇયે વસ્તુઓ જેવી, તે આ કોઠાર માંહિથિ લેવી. ૫૫
છે આ કોઠાર સર્વે તમારો, વસ્તુ માગતાં શરમ ન ધારો;
એવી આચાર્યે વાણિ ઉચ્ચારી, લિધિ સર્વે જને દિલે ધારી. ૫૬
અતિ આનંદ ઉપજ્યો ઊર, સુણતાં સહુને ભરપૂર;
સભા સર્વે વિસર્જન થઈ, સુતા સૌ નિજ ઉતારે જઈ. ૫૭
પુષ્પિતાગ્રાવૃત્ત
વૃતપુરમહિ જ્ઞાનયજ્ઞ થાય, સુણિ જન તો બહુ આવિયા જ ત્યાંય;
વરણન કરવા સુ તેહ વાત, મુજ મન પ્રેમ ઉદે થયો આઘાત. ૫૮
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીવૃત્તાલયે આચાર્યવર્ય-શ્રીરઘુવીરજીકૃતજ્ઞાનયણે સંઘાગમનનામનવમો વિશ્રામઃ ॥૯॥