વિશ્રામ ૮૨
પૂર્વછાયો
જીવન જયતલપુર થકી, ગયા મેમદાવાદ મોઝાર;
સેવા સજી સતસંગિયે, ધરી અંતરે હેત અપાર. ૧
ચોપાઈ
અંબારામ ને દુર્લભરામ, પંડ્યા ઈશ્વર સદ્ગુણધામ;
બીજા પણ સતસંગી સમેત, પૂજ્યા શ્રીહરિને ધરી હત. ૨
ગામબાર પૂરવ દિશ માંય, વડ હેઠ વિસામો છે ત્યાંય;
હરિકૃષ્ણે કર્યો ત્યાં ઉતારો, વડ જોઈને શોભિત સારો. ૩
વિપ્ર તે ગામના વિદવાન, આવ્યા દર્શન કાજ તે સ્થાન;
ઝીણાં પ્રશ્ન પૂછ્યાં મહારાજે, કહ્યું તે સમે તેહ સમાજે. ૪
એનો ઉત્તર અમથી ન થાય, કહો આપ કરીને કૃપાય;
પછી કૃષ્ણે તે ઉત્તર કહ્યા, સુણીને રાજી સૌ વિપ્ર થયા. ૫
દૈવી જીવનો સંશય ગયો, નિશ્ચે શ્રીહરિનો તેને થયો;
મેમદાવાદથી મહારાજ, ચાલ્યા સંતનો લઈને સમાજ. ૬
કેટલાએક ગામમાં જૈને, નિજ દાસને દર્શન દૈને;
કાંઈ કરવાનું કામ વિશેષ, પલાણે ગયા શ્રીપરમેશ. ૭
જતાં ગામના ગોંદરામાંય, મળ્યાં ભક્ત વખતબાઇ ત્યાંય;
તેણે પ્રેમથી કીધા પ્રણામ, ત્યારે બોલિયા સુંદરશ્યામ. ૮
તમે વેલાલનાં વસનાર, કેમ આવ્યાં પલાણા મોઝાર;
ત્યારે બાઈ બોલ્યાં જોડી હાથ, મારું પિયર આંહિ પ્રાણનાથ. ૯
પિતા રઘુનાથદાસ છે મારો, પ્રભુ તેહને ઘેર પધારો;
કર્યો આગ્રહ અત્યંત પેર, ત્યારે કૃષ્ણ ગયા તેને ઘેર. ૧૦
દિઠો ઓટલો આંગણે સારો, હરિકૃષ્ણે કર્યો ત્યાં ઉતારો;
રઘુનાથદાસે દિધું માન, ભલે આવ્યા કહ્યું ભગવાન. ૧૧
ત્યાં તો સૌ મળિને સતસંગી, આવ્યા દર્શન કાજ ઉમંગી;
પ્રભુદાસ ભલા પાટીદાર, વસનદાસ તો તેના કુમાર. ૧૨
તેના પુત્ર તો કરશનદાસ, તેને તેડી આવ્યા પ્રભુ પાસ;
પ્રભુને પગે તેને લગાડ્યા, હરિયે શિર હાથ અડાડ્યા. ૧૩
જાણ્યું જે કૃષ્ણદાસ છે નામ, ત્યારે બોલિયા શ્રીઘનશ્યામ;
આ તો કૃષ્ણના દાસ જ થાશે, નહિ દુનિયાના દાસ ગણાશે. ૧૪
એ તો ઉત્તમ ભક્ત નિવડશે, આખા કુળનું કલ્યાણ તે કરશે;
કહ્યું સૌ જને જોડીને હાથ, આજ રાત રહો આંહીં નાથ. ૧૫
થયા તોય જવાને તૈયાર, રઘુનાથદાસે તેહ ઠાર;
સૌને સૂખડીના લાડુ દીધા, શ્રીજીયે ને જને જમી લીધા. ૧૬
વસનદાસની સ્ત્રી ગુણધામ, તેનું પણ છે વખતબાઈ નામ;
તે તો દરશન કરવાને આવ્યાં, સાથે અવલ કસનબાને લાવ્યાં. ૧૭
ભેટ ભગવાન આગળ ધારી, નમ્યાં જય મહારાજ ઉચ્ચારી;
વિનતી કર જોડીને કીધી, દયાસિંધુયે આશિષ દીધી. ૧૮
હવે કરશનદાસની વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
થઈ શ્રીહરિની તેને દયા, તેથી ભક્ત અનન્ય તે થયા. ૧૯
પૂર્વછાયો
હરિજન કરશનદાસજી, ગામ પલાણાના પાટીદાર;
આખ્યાન ઉચરું એહનું, સતસંગી રિઝે સુણનાર. ૨૦
ચોપાઈ
ધ્રુવ પ્રહ્લાદનાં આખ્યાન, સુણતાં થાય પાવન કાન;
એવા ભક્ત ઘણા થયા આજ, તન ધન કર્યાં કૃષ્ણને કાજ. ૨૧
એવા ભક્તની સુણતાં કથાય, પાપીજન તો નહીં રાજી થાય;
વેદવ્યાસે એવાં જ આખ્યાન, એ જ માટે લખ્યાં છે નિદાન. ૨૨
થયાં ઉમરલાયક જ્યારે, પિતાએ પરણાવિયા ત્યારે;
નારિ નામે હતી હેતાબાઈ, હરિભક્ત ભલી વખણાઈ. ૨૩
શાસ્ત્ર રીતે કર્યો ઘરવાસ, થયો પુત્ર નારાયણદાસ;
તેહ પણ ભલો ભક્ત જ ભાસે, પરણાવિયો કરશનદાસે. ૨૪
પછી તેને થયો પુત્ર જેહ, ભૂલો નામે ભલો ભક્ત તેહ;
ત્રણે જણ થયા સત્સંગી તેવા, સેવ્યા આચાર્ય સદ્ગુરુ સેવ્યા. ૨૫
નારાયણદાસની જેહ નારી, તજી તન ધામ માંહિ પધારી;
થયા રાજી નારાયણદાસ, ભજશું સુખે શ્રીઅવિનાશ. ૨૬
માતાએ પણ ઉપદેશ દીધો, અતિ વૈરાગ્ય ઉત્પન્ન કીધો;
પુત્ર ને પૌત્ર એ બડભાગી, તેણે ત્યાગી થવા રજા માગી. ૨૭
સુણી રાજી થયાં હેતાબાય, રાજી થૈ આપી બેને રજાય;
ત્યારે લઈ તેને કરશનદાસ, આવ્યા ભગવત્પ્રસાદજી પાસ. ૨૮
સાધુ કરવાને બે સુત દીધા, બેને સાધુ આચારજે કીધાં;
તેનું ધર્મપ્રસાદજીદાસ, પાડ્યું નામ પુરી થઈ આશ. ૨૯
નામ નિર્મળદાસ બીજાનું, કુળ દિપાવ્યું તેણે પિતાનું;
તજીયો બાળાપણથી સંસાર, ધન્ય ધન્ય એનો અવતાર. ૩૦
ગયા કરશનદાસ તો ઘેર, ભજે શ્રીપ્રભુને રુડી પેર;
હતું પોતા તણું ઘર જ્યાંય, કર્યું બાઇયોનું મંદિર ત્યાંય. ૩૧
પછી ઈશ્વરની જ ઇચ્છાએ, નિજ દેહ તજ્યો હેતાબાએ;
કૃષ્ણદાસ પાસે હતું જેહ, દિધું વરતાલે દેવને તેહ. ૩૨
પોતે લક્ષ્મીનારાયણ પાસ, વરતાલમાં કીધો નિવાસ;
સેવે આચાર્યને કરી પ્રીત, કથા વારતા સાંભળે નિત્ય. ૩૩
એવા તો અતિ વૈરાગ્યવાન, હતા કૃતયુગમાં1 કોઈ સ્થાન;
પણ આજ તો વૈરાગ્યવાળા, ભક્ત સત્સંગમાં બહુ ભાળ્યા. ૩૪
પણ જ્યાં સુધી જીવતા હોય, મહિમા તેનો જાણે ન કોય;
તન ત્યાગીને ધામમાં જાય, પછી પાછળથી વખણાય. ૩૫
સુણીયે એવાનાં આખ્યાન, ઉપજે ઉર વૈરાગ્ય જ્ઞાન;
કૃષ્ણદાસની સમજણ જેવી, પ્રભુ આગળ માંગીયે એવી. ૩૬
મહારાજ થઈ મહેરબાન, કથા સાંભળવા કર્યા કાન;
કથા સાંભળી સર્વે સમાજ, બોલો જય જય શ્રીમહારાજ. ૩૭
પુષ્પિતાગ્રાવૃત્ત
જન કરશનદાસની કથાય, સુણિ સમઝે જન તે પવિત્ર થાય;
પ્રભુપદ ઉપજે વિશેષ પ્રીત, અધરમસર્ગ થકી રહે અભીત. ૩૮
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
પલાણાગ્રામે કૃષ્ણદાસાખ્યાનકથનં નામ દ્વ્યશીતિતમો વિશ્રામઃ ॥૮૨॥