॥ શ્રીહરિલીલામૃતમ્ ॥
કળશ ૮
महामन्दिरनिर्माणनाम अष्टमकलशप्रारम्भः
વિશ્રામ ૧
શાર્દૂલવિક્રીડિત
જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયાં આચારજો સ્થાપિયા,
શિક્ષાપત્રિ રચી સ્વધર્મ સહુના જૂદા કહી આપિયા;
કીધો સૂરતમાં વિજૈ વળિ કર્યો વીવાહ રાજા1 તણો,
વંદૂં તે પ્રભુને અખંડ ઉરમાં ઉત્સાહ આણી ઘણો. ૧
પૂર્વછાયો
નરનારાયણ સ્થાપિયા, જઈ શ્રીપુરમાં2 ઘનશ્યામ;
એક કથા અભેસિંહજી, સુણો નેહ સહિત આ ઠામ. ૨
સમૈયો શ્રીહરિનવમિનો, જુનાગઢે કરી જગદીશ;
ત્યાંથી પછી ગઢપુર વિષે, ગયા ઈશ્વરના પણ ઈશ. ૩
પછી જઈ વરતાલમાં, રુડું મંદિર કરવા કામ;
આજ્ઞા કરી હરિભક્તને, ગઢપુર ગયા ઘનશ્યામ. ૪
જેઠી પુનમે જળજાતરા, કર્યો ઉત્સવ શુભ એહ ઠાર;
સતસંગી ગુજરાતના, આવ્યા દરશન કરવા અપાર. ૫
શ્રીપુરના સતસંગીયો, હેતે જોડિને બોલ્યા હાથ;
શ્રીપુરમાં મંદિર ભલું, કરો શિખરબંધ મુનિનાથ. ૬
દુલાપ સાહેબ છે ભલો, હૈયે રાખે છે તમ પર હેત;
કહે છે મંદિર શુભ કરો, માટે પધારો સંત સમેત. ૭
પછી શ્રીહરિએ પુછિયો, સભાસદ તણો અભિપ્રાય;
નામ કહું હવે તેહનાં, સ્નેહે સુણો અભેસિંહરાય. ૮
મુક્તાનંદ ને બ્રહ્મમુનિ, ગોપાળાનંદ નિત્યાનંદ;
એહ આદિક બહુ સંતનાં, તથા વર્ણિજનોનાં વૃંદ. ૯
ખાચર દાદો ને જીવો, સોમલો ને સુરો સુજાણ;
ખાચર વસ્તો ને અલૈયો, પરમ ભક્ત પ્રમાણ. ૧૦
ઠકર લાધો ભક્ત શુભ, વળી પુજો ને હરજી નામ;
એહ આદિક હરિજન ઘણા, ઠરી બેઠા હતા તે ઠામ. ૧૧
બાઇયોમાં લલિતા જયા, બાઈ અમર ને ખીમબાઈ;
ઇત્યાદિક બહુ બાઇયો, બેઠી હતી મળી ડાઇ ડાઇ. ૧૨
શ્રીહરિ બોલ્યા તે સમે, સુણો સૌ મુજ ભક્ત સમાજ;
અંતરમાં અમે ધારિયું, કરવા એક ઉત્તમ કાજ. ૧૩
ગઢપુરમાં પધરાવિયા, વાસુદેવનારાયણ જેમ;
વળી જઈ વરતાલમાં, થાપ્યા નરનારાયણ તેમ. ૧૪
શ્રીપુરના સતસંગીનો, અતિ આગ્રહ છે એહ રીત;
નરનારાયણ થાપવા, પ્રૌઢ3 મંદિર કરી ધરી પ્રીત. ૧૫
નારાયણ હરિકૃષ્ણ હું, અરજુન તણું નર નામ;
નરનારાયણ રૂપ તે, જઈ સ્થાપીશ હું તે ઠામ. ૧૬
તે મુરતીમાં હું રહી, દૈશ દાસને દર્શનદાન;
તે થકિ મારા વિજોગનું, નહિ દુઃખ રહે તેહ સ્થાન. ૧૭
રાય રુડા અંગ્રેજની, તહાં આણ4 ફરે છે આજ;
કૃષ્ણાર્પણ જગ્યા કરી, તેણે મંદિર કરવા કાજ. ૧૮
તે સુણિને સહુ જન કહે, રુડું ધાર્યું તમે મહારાજ;
નરનારાયણ સ્થાપવા, એ તો અતિ ઉત્તમ છે કાજ. ૧૯
પછી આનંદાનંદને, કહે સ્નેહથી શ્રીઘનશ્યામ;
શિખરબંધ સોહામણું, કરો શ્રીપુરમાં જઇ ધામ. ૨૦
નારાયણજી સુતારને, કહી ચારુ રચાવીયું ચિત્ર;
આપ્યું આનંદાનંદને, કહ્યું આવું જ કરજો વિચિત્ર. ૨૧
આનંદાનંદ બોલિયા, ઘણું ખર્ચ થશે ઘનશ્યામ;
કહોજી ક્યાં થકી લાવવા, દીનબંધુ એટલા દામ. ૨૨
એવું સુણિ અવિનાશિએ, એક ટીપ5 કરાવી તે ઠાર;
ભક્તજનોએ ત્યાં ભર્યા, થયા રુપૈયા આઠ હજાર. ૨૩
હુંડી6 કરાવીને હાથમાં, આપી આનંદાનંદને એહ;
કૃષ્ણ કહે ધન અધિકની, તમે ચિંતા ન ધરશો તેહ. ૨૪
હરિજન અમદાવાદના, લાલદાસ ને હીરાચંદ;
કુબેરસિંહ ને ભટ નથુ, દામોદર આદિક જનવૃંદ. ૨૫
તે સહુ કરશે સહાયતા, માટે તમે સિધાવો તત્ર;
એમ કહી હરિજન પ્રત્યે, પ્રભુ આપ્યો લખાવીને પત્ર. ૨૬
આનંદાનંદે ઉઠીને, પ્રભુ પદે નમાવ્યું શીશ;
કર જોડી પ્રભુને કહ્યું, આપ આજ્ઞા પ્રમાણે કરીશ. ૨૭
આશીષ દૈને દયાનિધિ, ગયા ભોજન કરવા કાજ;
પોતે જમી મુનિને કહ્યું, તમે આવો જમો મુનિરાજ. ૨૮
જમ્યા આનંદાનંદજી, પ્રભુ તણી પ્રસાદી તેહ;
પ્રભુએ ભટ મયારામને, કહ્યું અંતરે ધરિ અતિ નેહ. ૨૯
જવાનું મુહુરત જોઈ દ્યો, સુણી બોલિયા નિષ્કુળાનંદ;
આપની આજ્ઞા એ જ છે, શુભ મુહૂર્ત અતિ સુખકંદ. ૩૦
મંડળ લૈ મુનિવર ગયા, આનંદાનંદ અમદાવાદ;
પત્ર આપ્યો પ્રભુજી તણો, વાંચી ઉર વધ્યો આહ્લાદ.7 ૩૧
આદર મંદિરનો કર્યો, જોઈ શુભ નક્ષત્ર તિથિ વાર;
મંદિર એક શિખર તણું, થોડા માસે કર્યું તૈયાર. ૩૨
જોડ ચતુર્ભુજ મૂર્તિયો, નર અને નારાયણ નામ;
મગાવી ડુંગરપુર થકી, પધરાવવા શ્રીપુર ધામ. ૩૩
મુહૂર્ત શુભ પ્રતિષ્ઠા તણું, જોવરાવ્યું તે આવ્યું શ્રીકાર;8
અઢારસેં અઠ્યોતેરે, શુદી ફાગણ ત્રીજ રવીવાર. ૩૪
સત્સંગી સૌ શ્રીપુર તણા, મળી મહાપ્રભુના દાસ;
કંકુ છાંટી કંકોતરી, લખી મોકલવા પ્રભુ પાસ. ૩૫
તેમાં લખી ઘણી નમ્રતા, અતિ પ્રેમ જણાવી અપાર;
કંકોતરી તે લઈ જવા, બેય સંત થયા તૈયાર. ૩૬
(‘આદિતવારે ઉદે થયા’ એ રાગ છે)
કંકુ છાંટી કંકોતરી, મોકલવા પ્રભુ પાસ;
લાયક લેખ થકી લખે, દીનદયાળના દાસ;
પ્રભુજી વેલા પધારજો. ૩૭
સ્વસ્તિશ્રી ગઢપુર વિષે, જેનો નિત્ય નિવાસ;
ધામી અક્ષરધામના, અકળિત અજ અવિનાશ. પ્રભુજી꠶ ૩૮
શુભ ઉપમા સર્વ સંભવે, પ્રીતમ પૂરણકામ;
પુત્ર ભલા ભક્તિધર્મના, સુંદર શ્રીઘનશ્યામ. પ્રભુજી꠶ ૩૯
શ્રીપુરના સતસંગીયો, કંકોતરી લખનાર;
હેતે જોડી બે હાથને, વંદે વારમવાર. પ્રભુજી꠶ ૪૦
કારણ લખવાનું તે હવે, કહિયે કરુણાનિધાન;
શીખરબંધ સરસ થયું, દિપતું દેવનું સ્થાન. પ્રભુજી꠶ ૪૧
આનંદસ્વામીએ આવીને, કીધું ઉત્તમ કામ;
પારસમણિ જેવા પથ્થરે, ધીંગું9 બંધાવ્યું ધામ. પ્રભુજી꠶ ૪૨
પ્રતિમા પધરાવાનું અમે, મુહુરત શોધાવ્યું સાર;
ફાગણ સુદ ત્રીજે આવીયું, ઉત્તમ આદિતવાર. પ્રભુજી꠶ ૪૩
સાથે સરવેને લાવજો, ધર્મવંશી નરનાર;
એમ જ અભય નરેશનો, પાવન સૌ પરિવાર. પ્રભુજી꠶ ૪૪
બ્રહ્મવેત્તા બ્રહ્મચારીયો, સદગુરુ સંતસમાજ;
સૌ સતસંગિને લાવજો, ગિરિધર ગરિબનિવાજ. પ્રભુજી꠶ ૪૫
કંકોતરિયો છે મોકલી, લખિને દેશવિદેશ;
સંઘ ઘણા એથી આવશે, માણસ મળશે વિશેષ. પ્રભુજી꠶ ૪૬
વાર ન કરશો રે વીઠલા, જોઇયે આપની વાટ;
અવિનાશી ક્યારે આવશે, એવા રહે છે ઉચાટ. પ્રભુજી꠶ ૪૭
શ્રીહરિ શ્રીપુરમાં આવશો, દુધે વરસશે મેહ,
સૂરજ સોનાના ઉગશે, એવું ભાસશે એહ. પ્રભુજી꠶ ૪૯
દહન થશે દિલ દુષ્ટનાં, ખળજન પામશે ખેદ;
હરખ થશે હરિભક્તને, અધરમ થાશે ઉછેદ. પ્રભુજી꠶ ૪૯
નેણ ભરી ક્યારે નિરખશું, નેહે નટવરનાથ;
એવા દિન ક્યારે દેખશું, એમ કહે છે સૌ સાથ. પ્રભુજી꠶ ૫૦
વાટ જુવે વરસાદની, વનમાં બપૈયો જેમ;
આતુર અંતર અમ તણાં, તમને મળવાને તેમ. પ્રભુજી꠶ ૫૧
સત્ય સગા તમે એક છો, જગની જુઠી જંજાળ;
માટે મળવા મન ટળવળે, વિશ્વવિહારીલાલ. પ્રભુજી꠶ ૫૨
ચોપાઈ
સંત બે પત્ર લૈને સિધાવ્યા, ગઢપુર પ્રભુની પાસે આવ્યા;
પત્ર આપ્યો કરીને પ્રણામ, વાંચી હરખ્યા ઘણું ઘનશ્યામ. ૫૩
સંત હરિજન સૌને બોલાવ્યા, પત્રના સમાચાર સુણાવ્યા;
કહે હરજી ઠક્કરને શ્રીહરિ, ગામોગામ લખો કંકોતરી. ૫૪
સમૈયા પર સૌ તહાં આવે, સ્નેહી સંબંધીને તેડી લાવે;
એવી આજ્ઞા સુણી હરિ તણી, તેણે કંકોતરી લખી ઘણી. ૫૫
મુનિ બ્રહ્મ પ્રત્યે કહે માવો, તમે આગળથી ત્યાં સિધાવો;
કરી સામાન સર્વે તૈયાર, અમે આવશું ત્યાં નિરધાર. ૫૬
સુણી બ્રહ્મમુનિ તો સિધાવ્યા, અમદાવાદ શહેરમાં આવ્યા;
સર્વે સામાન સારો મગાવ્યો, મોટા કોઠાર માંહિ મુકાવ્યો. ૫૭
માઘ કૃષ્ણની સપ્તમી સાર, ચાલ્યા શ્રીપુર ધર્મકુમાર;
સંતમંડળ સૌ લીધાં સંગે, કાઠી અસ્વાર આવ્યા ઉમંગે. ૫૮
ધર્મવંશી સરવ નરનારી, ચાલ્યા શ્રીપુર હરિ ઉર ધારી;
નૃપ અભયનો વંશ અપાર, ચાલ્યા સર્વે મળી નરનાર. ૫૯
ચાલ્યા શ્રીજી સજી અસવારી, ગયા સારંગપુર સુખકારી;
ગયા રોઝકે શ્રીમહારાજ, સાથે લૈને તે સર્વે સમાજ. ૬૦
તેહ ગામથી ઉત્તર માંય, એક સારુ તળાવ છે ત્યાંય;
તેની પાળે છે છત્રી જ્યાં આજ, તહાં ઊતર્યા રાજાધિરાજ. ૬૧
ગજો ગઢવી વસે ગામમાંય, પધાર્યા પ્રભુ જમવાને ત્યાંય;
સાંખ્યયોગિ તે ગઢવિનિ ભગની, લાગી તેની પ્રભુપદ લગની. ૬૨
ગગાભટને તેણે ત્યાં બોલાવી, રુડી રીતે રસોઈ કરાવી;
હેતે આરોગિયા હરિ થાળ, જમ્યા સંત સરોવર પાળ. ૬૩
જમીને ગયા નાથ ઉતારે, સભા ત્યાં સજી ધર્મદુલારે;
પરમેશ્વર બેઠા પલંગ, બેઠા હરિજન સંત ઉમંગે. ૬૪
બેઠી બાઇયો ત્યાં થકી દૂર, ધરી શ્રીહરિની છબી ઉર;
દેવબા અને માવલબાએ, ગાયાં કૃષ્ણનાં કીર્તન ત્યાંયે. ૬૫
બીજે દિવસ હરિ ત્યાંથી ગયા, જવારદ જઇને રાત રહ્યા;
ત્યાંના વિપ્રોયે પૂછિયા પ્રશ્ન, આપ્યા ઉત્તર શ્રીહરિકૃષ્ણ. ૬૬
પામ્યા આશ્ચર્ય બ્રાહ્મણો સર્વ, કૈક ભક્ત થયા તજી ગર્વ;
ગયા ધોળકે ધર્મકુમાર, ત્યાંથી ગામ ચિત્રાસા મોઝાર. ૬૭
ગયા જેતલપુર જગતાત, રહ્યા દશમીનો દિવસ ને રાત;
માઘી કૃષ્ણએકાદશી જ્યારે, ગયા શ્રીપુર શ્રીહરિ ત્યારે. ૬૮
રાખ્યો સંઘ જેતલપુર ગામ, છડીઅસવારીયે ગયા શ્યામ;
જોયું મંદિર જૈ મહારાજે, જોઈ મૂર્તિયો સ્થાપન કાજે. ૬૯
પુષ્પિતાગ્રાવૃત્ત
સકળ ભુવનનાધિનાથ સર્વ, પદરજ જેનિ ચહે વિસારિ ગર્વ;
પ્રિયજન હિત શ્રીપુરે પધાર્યા, દરશન દૈ દિલ હર્ષ તો વધાર્યા. ૭૦
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
નરનારાયણસ્થાપનાર્થે શ્રીહરિશ્રીનગરાગમનનામ પ્રથમ વિશ્રામઃ ॥૧॥