અમૃત કળશ: ૧૧
સંત-અસંત
એક કચ્છી બાવો હતો તે ત્રિભંગી મૂર્તિને એક હાથે પાઘ બાંધતો હતો અને બીજે હાથે હોકો પીતો હતો. ત્યાં પટેલનું ગાડું સીમમાં લણવા જવા નીકળ્યું. તે બાવો મંગળા કરી ગાડે ન બેસી જાય તો દોઢ ગાઉ ચાલવું પડે તેથી ઝટ મંગળા કરી ગાડે બેસવાની તાણ અને હોકાની તલપ પૂરી લાગેલી. વળી લાલજીનું માથું લીસું તે પાઘ રહે નહીં એટલે લાલજીને ધોલ મારી કહ્યું, “તેજો કંધ ઝુરે. મથો સમો રખ!” એમ પેટ સારુ પૂજા કરે તેમાં કાંઈ પાકે નહીં. (૧૧)
પ્રકરણ/વાત: ૧૩/૧૯૨
ગૃહસ્થ છે તે આજ્ઞાએ કરીને સ્ત્રી રાખે છે, રૂપિયા મેડી રાખે છે ને બાધ નથી લાગતો. માટે આજ્ઞા ભળી એટલે કાંઈ બાધ ન કરે ને બીજાને બાધ કરે. જેને કર્તવ્ય સામી નજર નહિ તે ડાહ્યો નહિ ને બીજી સો સો ક્રિયાયું કરે પણ પોતાનું કર્તવ્ય હોય તે ન થાય. જગતના જીવ છે તે ગુરુમાં બધા દોષ હોય તેવાને પણ ગુરુ માનીને બેઠા છે તે મૂરખ છે ને મૂરખે તો ‘દૂધે ધોયા કોયલા ઉજલા ન હોયલા’ તે જેવું કર્યું. ગુરુનું લક્ષણ શું? કામાદિક શત્રુ જિતાવે ને આ તો મૂળગા વધારી દીધા તે શેના ગુરુ કેવાય? (૧૨)
પ્રકરણ/વાત: ૧૩/૨૩૨
... ભક્તિમાર્ગને એાથે પાપ કરે. કહેવાય બાવા ને રૂપિયા રાખે. તે એક બાવાના રૂપિયા ચોર ખાતર પાડીને લઈ ગયા. તે બે જણા બાવાજી આગળ કીર્તન ગાવા બેઠા ને બે જણે ખાતર પાડવા માંડ્યું.
હળવા તે હળવા ચાલો મારા ભાય ભુરાક વાગે છે ભારે;
ચેતનવાળા ચેતાજો હવે બાવાજી થાય છે પારે.
એમ કીર્તન ગાઈને બાવાજીના રૂપિયા લઈ ગયા. એમ ભક્તિમાર્ગમાં પણ પાપ છે. આ વાતુ સૌ સાંભળે છે પણ ઊઠશે ત્યારે કોઈ ખાધામાં, કોઈ લગડામાં અને કોઈ પગરખામાં એમ ચડી જાશે પણ ભગવાનનું અનુસંધાન નહિ રાખે. (૧૩)
પ્રકરણ/વાત: ૧૪/૨૨