અમૃત કળશ: ૧૨
પુરુષપ્રયત્ન
ઘીથી કે તેલથી લૂગડાં પલળી ગયાં હોય તે થોડે દાખડે ઊજળું ન થાય, તેમ વ્યવહારે કરીને પલળી ગયો હોય તે તો જ્યારે દાખડો કરે ત્યારે હૈયામાંથી વ્યવહાર નીકળે. (૧૧)
પ્રકરણ/વાત: ૧૧/૩૭૭
... એક જણ સ્તુતિ કરતો હોય તેને કહે જે, આને વિશ્વાસ નહિ હોય. માટે વિશ્વાસ હોય તો પણ સ્તુતિ કરવી ને મન સાથે દાખડો કર્યો તે જાતો નહિ રહે. આ સાધુ સામાં પગલાં ભર્યાં તે જાય નહિ. (૧૨)
પ્રકરણ/વાત: ૧૨/૪૯
વારંવાર ઘોષ કર્યા વિના શબ્દ રહે નહિ. ને શિવાનંદ ઉપરતી ભણ્યા હતા તે સભામાં ન વંચાણું ને કહે જે, “પ્રથમ તો ઓળ્યું દેખાતી હતી ને હવે તો પાનું પણ નથી દેખાતું,” એમ કહીને ભાગી ગયા. અને કીર્તન ગાતા હોય ત્યારે રજોગુણ કે તમોગુણ આવે તો શબ્દ ભૂલી જવાય. તેમ આ રીતના શબ્દ પણ ન ધાર્યા હોય ને નામું ન કર્યું હોય તો કેમ ઠીક રહે? તે ઉપરથી તો હો હો હોય તો કાંઈ ન પાકે. (૧૩)
પ્રકરણ/વાત: ૧૨/૯૬
ઉત્તરમાં, પ્રશ્નોમાં, વાર્તામાં કાંઈએ અવિદ્વાન રહેવા દીધું નથી. પણ હવે તો વર્તવામાં ફેર રહે છે માટે આ સાધુનો સંગ કરે ને સૌના દાસાનુદાસ થાય તો જીવ સહેજે વૃદ્ધિને પામે. ને વડતાલ નાખી નજર પૂગતી નથી પણ ચાલતાં ચાલતાં આવે એમ આપણે એવો આદર ક્યાં કર્યો?” (૧૪)
પ્રકરણ/વાત: ૧૨/૧૦૮
... કલ્યાણભાઈ ત્રણ વરસ સુધી ખેતરમાં રહ્યા ત્યારે ખેતર ચોકખું થયું,૧ તેમ જે ઉપર મંડે તે થાય.(૧૫)
૧. કલ્યાણભાઈના ખેતરમાં ધ્રો થઈ ગઈ હતી, તે ત્રણ વરસ સુધી ઘેર જ આવ્યા નહિ ને ખેતરે રહી ધ્રો કાઢી ચોખું કર્યું, તેમ આપણે પણ આ સાધુના સમાગમમાં રહીને લઈ મંડશું, ત્યારે જ વિષયના ધોરી મૂળ કપાશે. – સ્વામીની વાત ૮/૨૩૦.
પ્રકરણ/વાત: ૧૨/૧૫૧
... જેને કામ અને દેહાભિમાન જીતવું હોય તેને એવી રીતે ભક્તિ કરવી જે મનને માર્ગ જ ન મળે. જેમ ઘોડા દોડતા હોય તે વચ્ચે નીસરાય નહિ તેમ કથાવાર્તા, કીર્તન, સેવા, ભક્તિ કે ઘરના કામકાજમાં વૃત્તિ લાગે તો બીજુ કાંઈ ન સાંભરે. હરજી ઠક્કર હિસાબનો મેળ મેળવવા સારુ આખી રાત જાગ્યા તેમ વેગ લાગે તો વિષય ભોગવાય નહિ. જેને માથે વિષયરૂપી શત્રુ છે તે નિર્ભય રહે તો તેને સત્સંગની ખબર જ નથી. જોગીદાસ ખુમાણે ચૌદ વરસ ઘોડા ઉપર આસન રાખ્યું, તેમ અંતર શત્રુ ઉપર એવો અનાદર હોય તો તે જિતાય. સ્ત્રી અને મન નવરાં હોય તો વ્યભિચાર કરે માટે મનને નવરું રહેવા દેવું નહિ. જેણે ઘરેણાં પહેર્યાં હોય તેની વાંસે ચોર ભમ્યા કરે છે. ત્યાગી લાડવા ખાઈને સૂઈ રહે છે માટે અમને તેમની ફિકર થાય છે. સંત-હરિભક્તમાં જેટલો સદ્ભાવ તેટલો સત્સંગ જાણવો. (૧૬)
પ્રકરણ/વાત: ૧૩/૪૦
કોઈ જાણે જે મને બેસાડી મૂકે તો ભજન કરું પણ એમાં તો ઝોલાં આવશે, માટે ઘનશ્યામાનંદ સ્વામીની પેઠે દેહને ગણવું નહીં. પાંચ વર્ષ દેહને તપ આપે તો ગમે તેવું દેહાભિમાન હોય તે ટળી જાય, તેમ જ પાંચ વર્ષ મેળવીને જમે તો રસાસ્વાદ ટળી જાય. તેમ જ બીજા રાગનું પણ જાણવું. (૧૭)
પ્રકરણ/વાત: ૧૩/૨૧૦
જેને મહારાજમાં મન જોડ્યું હોય તેને મહિમા સમજીને અખંડ સ્મૃતિ રાખવી અને વિષય ટાળવા હોય તેને તેનો ત્યાગ કરવો અને તેમાં દોષ જોવા. જેને મહારાજમાં જોડાવું તેને અખંડ ભજન કરવા માંડવું, અને માયાના ગુણથી રહિત થાવું હોય તેને સાંખ્ય વિચારે કરીને બધું ખોટું કરી નાખવું, એ બે વાત છે. તે સો વરસે કરો પણ કરે જ છૂટકો છે. જે આદરીએ તે થાય પણ શું ભાર છે જે ન થાય? તેમ નિષેધ કર્યા વિના ખોટું ન થાય. મહારાજે જ્ઞાન દીધું અને મોટા સાધુએ પણ જ્ઞાન દીધું. હવે કરવું તે તો આપણે જ કરીશું ત્યારે થાશે. સાંખ્ય અને યોગ સાધીશું ત્યારે જ આવડશે. જેટલો નિષેધ કરશું તેટલા વિષય મોળ પડશે પણ સાંખ્ય વિના પદાર્થમાંથી આસક્તિ તૂટે નહીં. આપણે અફીણનો નિષેધ થઈ ગયો છે તો સ્વપ્નામાં પણ ખવાતું નથી તેમ સાંખ્યે કરીને વિષયનો નિષેધ થઈ જાય તો તેમાં માલ ન જ રહે. (૧૮)
પ્રકરણ/વાત: ૧૩/૨૨૮
બપોરે વાત કરી જે, ગમે એવો રજોગુણ, તમોગુણ હોય પણ લઈ મંડે તો રજ, તમ ઓછા થઈ જાય પણ અભ્યાસ વિના તો કોઈ વાત સિદ્ધ ન થાય. તે આ ધર્મશાળા કરી હશે તે દાખડા વિના નહીં થઈ હોય ને આ કૂવા કર્યા છે તે શું દાખડા વિના થયા હશે? (૧૯)
પ્રકરણ/વાત: ૧૪/૩૩
... પ્રથમનું સાડત્રીસનું વચનામૃત વંચાવીને વાત કરી જે, એમાં પ્રગટ, સાકાર, સર્વોપરી ને કર્તા એ ચાર વાત આવી તે મહારાજને એવા સમજવા, પણ તેનું મનન કોણ કરે છે? માટે શ્રવણ કરીને તેનું મનન કરીને નિદિધ્યાસ કરે ત્યારે સાક્ષાત્કાર થાય. તે આમાં કેટલાકને આરતિ-ગોડી નહિ આવડતી હોય. ભગવદાનંદ સ્વામીના મંડળના સાધુ ગામડે ગયા તે સાંજે પાદરે પહોંચ્યા ત્યારે વિચાર કર્યો જે, ‘આપણે મંદિરમાં જઈશું તો હરિજન ગોડી, આરતિ, ચેષ્ટા નહિ કરે ને આપણને એ બધું આવડતું નથી. માટે મોડા જઈશું.’ તે આરતિ થઈ રહ્યા પછી ગયા ને બીજે દિવસે સૌએ થોડું થોડું શીખી લીધું. તે જેમ એ લાજથી કર્યું તેમ પ્રકૃતિ ને સ્વભાવ ટાળવા તે પણ કર્યા વિના ક્યાંથી થાશે? (૨૦)
પ્રકરણ/વાત: ૧૪/૧૧૭