અમૃત કળશ: ૨૪
લોભખંડન
લોભ બોલ્યો જે, જ્યાં સુધી હું છું તો સર્વને ભેળા કરીશ. જેમ એક નાગર હોય તે બીજા નાગરને ભેળા કરે ને એક કાગડો હોય તે શ્રાદ્ધમાં સો કાગડાને ભેળા કરે તેમ લોભ છે તે અધર્મસર્ગ માત્રને ભેળા કરે છે. તે તમારે ને મારે વહેવાર નથી પડ્યો ત્યાં સુધી તો કાંઈ નથી પણ જો વહેવાર પડે તો ખબર પડે. તે શું જે, રૂપિયામાં એમ જ રહ્યું છે તે એમ જ થાય. (૧૧)
પ્રકરણ/વાત: ૧૩/૧૧
જેટલા ગરીબ માણસ છે તેને હમણાં લાખ લાખ રૂપિયા મળે તો સત્સંગમાં ન આવે ને લાખ મળતા હોય તેને દશ લાખ મળે તો તે પણ ન આવે. ને સાધુ જાય ત્યારે કોઈક ખબર કરે ત્યારે કહે જે, સાકરના સીધાં મોકલો ને પૂછે તો કહેજો ભાઈ તો નવરા નથી. માટે રૂપિયા કે મોટાઈ તેમાંથી કોઈને લેશમાત્ર સુખ નથી... (૧૨)
પ્રકરણ/વાત: ૧૩/૭૨
જેને પંચવિષયમાં આસક્તિ હોય તે મહારાજ તથા મોટા સાધુ સાથે અંતરાય રાખે. દ્રવ્યમાં અને સ્ત્રીમાં દોષ છે તે વાત તો સત્સંગ વિના ક્યાંય થાતી નથી. મહારાજની પાણી પીવાની કળશલી કરાવી તેમાંથી બોટાદનો ધનો સોની બે રૂપિયા ખાઈ ગયો. પછી તે બે રૂપિયાનો થાળ કર્યો ને મહારાજ જમતા હતા ત્યાં ધનો સોની ગયો એટલે બ્રહ્મચારી કહે, “મહારાજ, આ આમનો થાળ છે તે પ્રસાદી આપો.” ત્યારે મહારાજ કહે, “અમે અમારું જમીએ છીએ. એનું કાંઈ નથી.” પછી ધનો ભોંઠો પડ્યો. (૧૩)
પ્રકરણ/વાત: ૧૪/૧૮
ગોંડળના દરબારનો કોઠારી મહારાજના ચોફાળમાંથી બે કોરી ખાઈ ગયો, પછી ભૂખ ભેગો થઈ ગયો. તેણે તે વાત ગોપાળાનંદ સ્વામીને કરી ત્યારે વ્યાજ સાથે એ કોરી ઠાકોરજી આગળ મુકાવી પછી તેનું સારું થયું. (૧૪)
પ્રકરણ/વાત: ૧૪/૧૯
મન ને ઇંદ્રિયો રૂપી શત્રુ કેવા છે? તો ભગવાનને પણ પડ્યા મૂકે. ને જ્યારે રૂપીઆ મુકાવ્યા ત્યારે મહારાજની સેવા મૂકી દીધી. તે ઉપર ભગુજીની વાત કરી જે, પ્રથમ મહારાજ પાસે ભગુજી રહેતા. પછી મહારાજે એવો પ્રબંધ બાંધ્યો કે, “કોઈએ દ્રવ્ય પોતાનું કરી અમારા પાર્ષદને ન રાખવું અને જેને રાખવું હોય તે હાલવા માંડજો. અમારે તેનો ખપ નથી.” આ વાતની બ્રહ્માનંદ સ્વામીને અમદાવાદ ખબર પડી અને ત્યાં માણસનો ખપ તેથી ગઢડે આવી કહ્યું કે, “દ્રવ્ય રાખવું હોય ને ત્યાંથી રજા મળે તો ચાલો મારી સાથે. અમે રાખશું.” પછી ભગુજી આદિથી દ્રવ્ય ન મુકાણું ને દ્રવ્યને માટે મહારાજની સેવાનો પણ ત્યાગ કર્યો ને અમદાવાદ દેશમાં જઈને રહ્યા. એમ આજ્ઞા સામી ને પ્રગટ મૂર્તિની સેવા સામી પણ દ્રવ્યના પાપથી નજર ન રહી. માટે જાણજો જે દેશકાળે બુદ્ધિ ફરી જાય. (૧૫)
પ્રકરણ/વાત: ૧૫/૯૯
લોભનો વેગ લાગી જાય તો આ સાધુ જમે તેનો પણ ખરખરો થાય. તે ઉપર ઉદેશંકરની વાત કરી જે, સાધુ જમાડ્યા પછી ઘણું ખરચ થઈ ગયું એવો ખરખરો કર્યો. ને કમાવાનો વેગ લાગે તો ચાલીશ હજાર રૂપિયા લાવીને વાણમાં જ મરી ગયો. દેહાભિમાનનો વેગ લાગે તો જેટલાં જગતમાં ઓસડિયાં હોય તેટલાં કરે. માટે આપણાં ઇંદ્રિયું-અંતઃકરણ છે તે શત્રુ છે, તે સાથે વેર બાંધવું ને લડાઈ લેવી... (૧૬)
પ્રકરણ/વાત: ૧૫/૧૨૬