☰ Vato
ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૩૧

શ્રદ્ધા, ધીરજ

હજારું ક્રિયા કરીને મોક્ષ સુધારવો છે. ને એ ઉપર જ સર્વે આદર છે. રાજા, રંક સર્વે શેખચલ્લીની પેઠે સંકલ્પરૂપી થાંભલા માંડ્યા કરે છે. ત્યારે કારિયાણીના નથુ પટેલે પૂછ્યું જે, “રાતદિવસ આવા શબ્દ સંભળાય છે તો પણ જ્ઞાન કેમ નહિ થાતું હોય?” એટલે સ્વામીએ કહ્યું જે, “મહારાજનો જે સિદ્ધાંત છે તે તત્કાળ સમજાય નહિ પણ ધીરે ધીરે થાતું જાય છે. તે જુવોને, આંહીં અવાણું છે તે થોડું છે! ઘરનો ઉમરો તે લોકાલોક જેવડો છે! તે વળોટીને આંહીં અવાણું છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે તો અવાણું છે.” (૧)

પ્રકરણ/વાત: ૯/૧૦

સીતારામે પ્રથમ ભણવા માંડ્યું ત્યારે એક આખા પાનાનો પાઠ આપ્યો તે અકળાઈ ગયા, પછી થોડે થોડે કરવા માંડ્યું તે શાસ્ત્રી થઈ ગયા. તેમ થોડે થોડે કરે તો શું ન થાય? નિરંતરનો આગ્રહ જોઈએ. બળદ ને ઘોડાને ધીરે ધીરે પલોટે છે તેમ આ બ્રહ્મજ્ઞાન માર્ગનું પણ એમ જ છે, તે વર્તાવનારામાં બધી કળાઉં જોઈએ તો જીવના હૃદયમાં જ્ઞાન પેસે. મહારાજે ધીરે ધીરે કહ્યું અને અમે પણ એમ વરત્યા કે કોઈ કળી જ શક્યા નહિ. ને બધાની સેવા કરી, હેત કરાવી ધીરે ધીરે ઘેરા ઘા કર્યા. (૨)

પ્રકરણ/વાત: ૧૦/૧૯૩

શૂરવીર, ડાહ્યો, ધીરજવાન ને બુદ્ધિવાન તો તેને કહીએ જે, જેણે જે વાત ધારી હોય તેમાં વિઘ્ન ન આવવા દે. તેમ મહારાજ ને આ સાધુનો એવો ઠરાવ કરવો. તેમાં નામીએ સહિત સર્વોપરી ઉપાસના, જ્ઞાન, ભજન-સ્મરણ સ્વામિનારાયણનું કરવું એવો ઠરાવ દૃઢ કરે તે ભક્ત ડાહ્યો છે. ને અક્ષરબ્રહ્મ જે આ સાધુ જેમાં અખંડ મહારાજ રહ્યા છે તેના સંબંધથી પોતે બ્રહ્મરૂપ થઈ મહારાજની અખંડ ઉપાસના કરવી એ ઠરાવ કરવાનું અનુસંધાન નિરંતર રાખવું. પણ મરતી મરતી કાન હલાવે તેમાં કાંઈ ન થાય. ને જેમ હાથીને નવરાવે પછી ધૂળ માથે નાખે તેમ બે દિવસ ધ્યાન-ભજન કર્યું ને પછી મૂકી દે, તે એવું કહેવાય. (૩)

પ્રકરણ/વાત: ૧૧/૧૮૮

નૈમિષારણ્યનું વચનામૃત વચાવ્યું. તેમાં આવ્યું જે, ફળ કાઢી લીધું હોય ને થોથું રહ્યું હોય તે શું? તો વિષયમાંથી માલ નીકળી ગયો એ ફળ નીકળી ગયું કહેવાય. ને આટલા વિષય રાખ્યા છે તે દેહ રાખવા સારુ રાખ્યા છે. ને કેટલાકને તો ખરરર ઊડી જાઈએ એમ જોઈએ છીએ ને એમ થાય જે ઘડીકમાં કેમ થાતું નથી? પણ તે ઘડીકમાં થાય એમ નથી. ને આમ જીવથી વરતાય એમ પણ ક્યાં છે? તે તો ભગવાનની ઇચ્છા એવી છે જે સર્વે અવતારના ભક્તને ગુણાતીત કરવા છે ને કારણ દેહથી નોખા કરવા છે. તે ઉપર ઈંદ્રને બ્રહ્મહત્યા પ્રગટ વામનજીથી ટળી તે વાત કરી. (૪)

૧. વચનામૃત સારંગપુર ૭

૨. વિશ્વરૂપ ત્વષ્ટાનો પુત્ર હતો. તેનું મોસાળ દૈત્યકુળમાં હોવાથી દૈત્યોનો પક્ષ રાખતો. ઇન્દ્રે તેને ગુરુ કરી રાજ્યપુરોહિત નીમેલો. દૈત્યો પર વિજય મેળવવા ઇન્દ્રે યજ્ઞ આરંભ્યો. વિશ્વરૂપ હોમ કરે ને દૈત્યોને હવિષ્યાન્નનો છાનો ભાગ આપે. આ કપટ જાણીને ઇન્દ્રે વિશ્વરૂપનાં ત્રણે મસ્તક કાપી નાખ્યાં. તેથી ચાર બ્રહ્મહત્યા લાગી. તેમાં એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું જે, ‘તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર.’ પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. - સ્વામીની વાત ૧/૨૯૩ અને ટીપણી.

પ્રકરણ/વાત: ૧૧/૨૧૭

કોઈને સંશય થાય જે આમ કેમ થઈ જતું નથી. તો દૂધ મેળવે છે તો જામે છે તેમ વાતુ હૈયામાં જામશે ત્યારે તે પ્રમાણે વરતાશે. તે મોના ભગતને એમ છે જે, આત્મા દેખાય તો હમણાં ઊડીએ. (૫)

પ્રકરણ/વાત: ૧૨/૭૬

નિર્ગુણદાસજીએ પ્રશ્ન પૂછ્યો જે, “જ્ઞાનની વાતો થાય છે છતાં આસક્તિ મટતી નથી ને તે પ્રમાણે વર્તાય છે તેનું કેમ?” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “તમે ભણ્યા તે એક દિવસે શબ્દની વ્યુત્પત્તિ આવડી? જેમ વાઢ બાર મહિને પાકે તેમ કાળે કરીને થાય. બહોત કાળ જબ કરત સત્સંગા, તબ હોત સંશય કા ભંગા. ને તરત તો પૂંજા ડોડિયા જેવાને થાય, તે આકાશવાણીથી તરત ભગવાન મેળવ્યા. એમ તરત તો એવા સંસ્કારે મનાય ને આપણે તો શેરડી કાચી છે તેનો તો ગોળ ન જામે. માટે આપણે તો જ્ઞાનના કોશ જોડી દેવા. પછી જ્ઞાનથી પક્વતા થાશે ત્યારે કોઈ વાત જીવમાં નહિ પેસે...” (૬)

પ્રકરણ/વાત: ૧૨/૧૪૪

×

Vat Selection


Type: Keywords Exact phrase