વિશ્રામ ૯
ઉપજાતિ
સંગ્રામજી ગોંડળ રાજ્યકાર, તેના થયા શ્રીપથુભા કુમાર;
રાણી હતી તે સ્વર્ગે સિધાવી, કહ્યું પ્રધાને નૃપ પાસ આવી. ૧
રાજા તણી નીતિ રુડા કવિયે, રચેલી છે જે જસુ રામજીયે;
અષ્ટાંગ તો રાજ્ય તણાં ગણાવ્યાં, ન હોય તો ખંડિત તે જણાવ્યાં. ૨
રાજા તથા રાણી તથા કુમાર, પ્રધાન સેના વસતી સુમાર;
વજીર શાણો સુકવિ પ્રસંગ, આઠે કહ્યાં રાજ્ય તણાં સુઅંગ. ૩
રાણી વિના રાજ્ય રુડું ન દિસે, શું આપ આગે ઉચરું અતીશે;
માટે વરો ઉત્તમ એક રાણી, જે રાજની નીતિ સુજાણ શાણી. ૪
ઝાલા મીણાપુર તણા પતિ છે, સુનામ જેનું સુરતાનજી છે;
છે મોંઘિબા નામ ભલી કુમારી, પવિત્ર ગંગાજળ તુલ્ય સારી. ૫
તે સાથ ભૂપે પછી લગ્ન કીધું, સુમંત્રીનું વાયક1 માની લીધું;
રુડા ચુડા ગામ તણા નિવાસી, ઔદીચ નાતે સુમતિ પ્રકાશી. ૬
વૈતાલીય
હરજીવન નામ જે હતા, અતિ શાણા ધરમિષ્ઠ તે છતા;
પટરાણીની સાથ આવિયા, નૃપ સંગ્રામ દિલે સુભાવિયા. ૭
મતિમાન વિશેષ જાણીયા, નિજમંત્રી પછી તો પ્રમાણીયા;
હરિભક્ત થયા નરેશ તે, મુનિ કેરો સુણી ઊપદેશ તે. ૮
શિખરિણી
ગુણાતીતાનંદ પ્રગટ પ્રભુના પૂજક સદા,
નૃપે તેડાવીને હરિ તણી સુવાર્તા સુણી મુદા;
ગુરૂ કીધા પોતે નિયમ ધરી કંઠી પણ ધરી,
સુભાવેથી ભક્તિ પ્રગટ પ્રભુ કેરી બહુ કરી. ૯
થયા ચારે પુત્રો હરજીવનના તે પણ કહું,
ભલા ભક્તો સારા સમઝણ્ય વળી ઉત્તમ બહુ;
વડા તો જેભાઈ અવર2 સુત તો માધવજી છે,
ત્રીજા તો તેમાં છે નરસિંહ તથા કેશવજી છે. ૧૦
થયાં ભક્તિવાળાં કુશળકુંવરી ધર્મપુરીમાં,
થયાં મોંઘીબાઈ હરિજન સુ તેવાં સ્વપુરમાં;
સુરાણી ને રાજા સચિવ શુભ સુદ્ધાં ત્રણ મળી,
થયાં સત્સંગી તે સરસ પયમાં સાકર ભળી. ૧૧
ઘણે ફેરે તેડ્યા રઘુવીરજી આચારજ તહાં,
જઈ પૂજા લીધી ભગવતપ્રસાદે પણ જહાં;
શુકાનંદાદિને પણ નિજપુરે આદર દઈ,
પૂજ્યા પ્રીતે રીતે સુગુણ નિજચિત્તે ધરી લઈ. ૧૨
વિત્યાં વર્ષો કાંઈ કુંવર પથુભા સ્વર્ગ જ ગયો,
રુદેમાં રાજાને વિરહ દુઃખ અગ્નિ અતિ થયો;
તજ્યું ખાવું પીવું સુત વીણ ન જીવું મુખ કહે,
નિસાસા નાખીને રુદન કરી નેત્રે જળ વહે. ૧૩
દવે હર્જીવને નૃપ મન વિષે શાંતિ જ થવા,
ગુણાતીતાનંદ પ્રમુખ3 મુનિ તેડ્યા દુઃખ જવા;
મુનિયે ત્યાં આવી સુરીત સમઝાવી બહુ કહ્યું,
તથાપિ રાજાને હૃદય દુઃખ તો તેમ જ રહ્યું. ૧૪
વૈતાલીય: જગત નાશવંત વિષે
નૃપ તેં દુઃખ તો બહુ સહ્યું, સુણ આ વાત ગુણાતીતે કહ્યું;
મરવું જનનો સ્વભાવ છે, જનમ્યો ત્યાંથી નક્કી ઠરાવ છે. ૧૫
અચળ સ્થિતિ તો ન કોઈને, કરવું શું અતિ રોઈ રોઈને;
જગ આ જળનો પ્રવાહ છે, વહિ જાતો અતિશે અથાહ છે. ૧૬
બહુ રે બહુ કલ્પ4 થૈ ગયા, પણ કોઈ નથી કોઈના થયા;
ન સગો સુત તુજ દેહનો, નહિ તું કાંઈ સપિંડ5 તેહનો. ૧૭
ધરીને ધન જેમ હાથમાં, મુજનું છે કહી સર્વ સાથમાં;
પણ તે નહિ એમ ધારવું, વિચરે સર્વ થળે વિચારવું. ૧૮
જનનું તન માટીનો ઘડો, નથી તે કાળ અખંડ આપડો;
રજથી ઉપજ્યો જ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. ૧૯
તન છે જળ ઝાંઝવા તણું, સ્થિર તે તો ન રહે કદી ઘણું;
નહિ મોહિત થાવું જોઈને, નહિ કલ્પાંત કરો જ રોઈને. ૨૦
જગ સ્વપ્ન સમાન જાણવું, ગણિ સાચું ઉરમાં ન આણવું;
ભવમાં પ્રભુ ભક્તિ સત્ય છે, સઘળી અન્ય ક્રિયા અસત્ય છે. ૨૧
સ્વપને મળી રિદ્ધિ સિદ્ધિ તે, સ્વપનામાં પછી ખોઈ દીધી તે;
થઈ જાગ્રત જો કુટે રુવે, જન તેની વડી મૂર્ખતા જુવે. ૨૨
ગત6 વિક્રમ ભોજ ભૂપતિ, ન રહ્યો લંકપુરી તણો પતિ;
પૃથિવી પણ નાશ પામશે, શશી સૂર્યાદિ વિનાશ થૈ જશે. ૨૩
ન રહે અજ ઇન્દ્ર કોઇયે, ન રહે જેહ વિરાટ જોઈયે;
બહુવાર થયા અને ગયા, સ્થિર તો કોઈ સદૈવ ના રહ્યા. ૨૪
હતી આયુષ લક્ષ વર્ષની, નહિ સીમા મનના અમર્ષની;7
પણ તે પળમાં વહિ ગયા, નવ જાણે જન કોઈ ક્યાં થયા. ૨૫
પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા;
કરી અંજળી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. ૨૬
જનની જનકાદિ જેહ છે, તનના જન્મ થકી જ તેહ છે;
તન તો અગણિત તેં ધર્યાં, પણ તે સત્ય સપિંડ ક્યાં ઠર્યાં. ૨૭
ચતુરે ચિત્તમાં વિચારવું, સત તો આત્મસ્વરૂપ ધારવું;
તન તત્ત્વ8 તણાં જ થાય છે, ઉપજે ને લય પામી જાય છે. ૨૮
જળબુદ્બુદ9 જેમ ઊપજે, ક્ષણમાં આકૃતિ તેહ તો તજે;
તન તેમ જ થાય જાય છે, મન મિથ્યા સુત તે મનાય છે. ૨૯
રજ નીર પ્રવાહને વડે, મળી જામે વળી તે જુદી પડે;
સુત ને જનકાદિ તે રીતે, મળી જામે વળી જોગ તે વિતે. ૩૦
જગમાં જન ભૂમિ ઊપરે, પળમાં તો બહુ ઊપજે મરે;
તવિ ઉપર ધાણિ ફૂટતી, બહુ દિસે તનુ10 તેમ છૂટતી. ૩૧
ફુલવાડી વિષે જણાય છે, ફૂલડાં નિત્ય નવાં ફુલાય છે;
કળિયો ખિલીને ખરી પડે, પછી તે તો નહિ દૃષ્ટિયે ચડે. ૩૨
નભ ઇન્દ્રધનુષ દેખીયે, પળ વીત્યા પછી તે ન પેખીયે;
વળી વાદળ કેરિ છાંયડી, પળમાં જાય ટકે નહીં ઘડી. ૩૩
નિજનું તન એવું જોઈને, શિદ રોવું પછી અન્ય કોઈને;
વર પાછળ જેમ જાન છે, નિજ કાયા પછી સૌ નિદાન11 છે. ૩૪
જન ઉદ્ભવ નાશ થાય છે, રુચિ જેવી પ્રભુની જણાય છે;
પ્રભુની રુચિમાં ખુશી થવું, પ્રભુ સામું નહિ વેર બાંધવું. ૩૫
ફલ કર્મનું આપશે હરિ, નહિ ઓછું અદકું12 કરે જરી;
જન જો મઠને જ વાવશે, શુભ ચોખા પછી ક્યાંથી ચાવશે? ૩૬
તન ઉદ્ભવ પૂર્વ ક્યાં હતું, વળી અંતે નહિ તે રહે છતું;13
વચલે વખતે જણાય છે, સ્વપ્ના તુલ્ય અદર્શ થાય છે. ૩૭
ઘટ ને કથરોટ કોડિયાં, મૃત્તિકાનાં ઘડિ નામ જોડિયાં;
ફુટતાં સહુ નામ તે ટળે, પરિણામે મૃતિકા વિષે મળે. ૩૮
તનની ગતિ એવી જાણવી, સ્થિરતાની નહિ આશ આણવી;
જનનાં તન આ અનિત્ય છે, અસલી એ જ અનાદિ રીત છે. ૩૯
શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે;
વળી કોઈક ગર્ભથી ગળે, પણ નક્કી કશી રીત ના મળે. ૪૦
જગ સર્વ ચવેણું કાળનું, નહિ તેને દુઃખ વૃદ્ધ બાળનું;
મુખ ભક્ષણ સર્વનું કરે, દિલમાં લેશ નહીં દયા ધરે. ૪૧
અવની નભ બેય જાણવાં, પડ ઘંટી સમ તે પ્રમાણવાં;
કણ તુલ્ય જીવો જણાય છે, વળી ઓરાય વળી દળાય છે. ૪૨
સગરાખ્ય14 નરેશના છતા, સુત તો સાઠ હજાર જે હતા;
સઘળા મૃત એક કાળમાં, ઉગર્યા કોઈ ન કાળ ઝાળમાં. ૪૩
વિકરાળ જ કાળ ઝાળ છે, સઘળે વ્યાપિ રહી વિશાળ છે;
જન દેવ અદેવ જોઇયે, પણ અંતે ઉગરે ન કોઇયે. ૪૪
નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતાં દિલ દુઃખ થાય છે;
મમતા મનમાં ન હોય તો, દિલમાં દુઃખ ધરે ન કોઇ તો. ૪૫
સુત જન્મ સમે સુજોષીયે, ગ્રહ જોયા હરિભટ્ટ હોંશિયે;
ગ્રહનું ફળ જાણીયું અરે, મુખ જોતાં સુત કે પિતા મરે. ૪૬
પછી તે દ્વિજ કાશિયે જઈ, લીધ સન્યાસ ઉદાસ તો થઈ;
સુત ષોડશ15 વર્ષનો થયો, રમવા બાલક મંડળે ગયો. ૪૭
રમતાં દડી વાગી ડોશીને, દિધિ ગાળો રમનાર જોષીને;
કહ્યું કે ઉનમત્ત તૂં થયો, પણ જૈ જો તુજ બાપ ક્યાં ગયો. ૪૮
ન રહ્યું સુણી ચિત્ત ધારણે,16 સુત ચાલ્યો પિતુ શોધ કારણે;
જનની કલ્પાંત જ્યાં કર્યો, સુતની સાથ પડોશી સંચર્યો. ૪૯
શત પંચક કોશ જ્યાં ગયા, રજની વાસ સુગામમાં રહ્યા;
ઉતર્યા ભય ભ્રાંતિ ટાળિને, મઠ સન્યાસી તણો નિહાળિને. ૫૦
સુત કોગળિયું17 જ આવિયું, મન સંન્યાસી તણું ડરાવિયું;
લઠ18 લૈ જતિ તેહ ઊઠિયો, જણ બે શીશ વિશેષ રૂઠિયો. ૫૧
મઠ બાહિર મારી કાઢિયો, સુખથી વાશિ કમાડ પોઢિયો;
પછી તે સુત ત્યાં ગયો મરી, નહિ સંન્યાસી દયા દિલે ધરી. ૫૨
જળ રે જળ બોલતો મુવો, નહિ પાસે નદી કે નહીં કુવો;
જતિયે નહિ નીર આપિયું, મન કીધું અતિ ક્રૂર પાપિયું. ૫૩
નભમાં રવિ દેવ ઊગિયો, દ્વિજ રોવા અતિશે જ લાગિયો;
મળિને જનજૂથ પૂછિયું, પછી વૃત્તાંત દ્વિજેન્દ્ર ભાખિયું. ૫૪
નિજ પુત્રનું નામ સાંભળ્યું, જતિનું ધૈર્ય બધું પછી ટળ્યું;
કુટિ છાતિ વિશેષ રોઈને, જન આશ્ચર્ય ધરે જ જોઈને. ૫૫
નિજનો ન ગણ્યો જ જ્યાં સુધી, દિલમાં દુઃખ થયું ન ત્યાં સુધી;
નિજનો સુત જ્યાંથી જાણીયો, પ્રજળ્યો19 પૂર્ણ પિડાથી પ્રાણીયો. ૫૬
મમતા મનમાંથી જો તજે, સુખ શાંતિ જન તો સદા સજે;
મમતા દૂઃખ કેરું મૂલ છે, મમતામાં જ સહસ્ર શૂલ20 છે. ૫૭
નૃપ વાત બીજી કહું વળી, કરજો ચિત્ત વિચાર સાંભળી;
કદી ભૂષણ કોઈનું ભલું, ધરવા માગી લીધા થકી મળ્યું. ૫૮
પછી પાછું જરૂર માંગશે, સમઝુને નહિ દુઃખ લાગશે;
પ્રભુયે સુત ઊછીનો દીધો, વળી પાછો મરજી થકી લીધો. ૫૯
દિલમાં નહિ દુઃખ આણવું, પરનું દ્રવ્ય હતું પ્રમાણવું;
હતું જેહનું તેહને ગયું, નથી તે કાંઈ અયોગ્ય તો થયું. ૬૦
ઉપદેશ સુ એ રીતે કર્યો, મુનિયે શોક નરેશનો હર્યો;
મુનિના વચનો વિચારીને, સુખ પામ્યા નૃપ ધૈર્ય ધારીને. ૬૧
પુષ્પિતાગ્રા
નૃપસુત ગત મૃત્યુની ગતિને, કૃત ઉપદેશ મુનીશ ભૂપતિને;
સુણી જન મન માંહિ જો વિચારે, ધીરજ ધરે વળી શોક સૌ વિસારે. ૬૨
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમ કલશે
ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે રાજકુમારમરણેગુણાતીતાનંદ
સ્વામીકૃત ધૈર્યોપદેશનામા નવમો વિશ્રામઃ ॥૯॥