વિશ્રામ ૧૭
પૂર્વછાયો
વર્ણી કહે નૃપ સાંભળો, કહું કૃષ્ણકથા સુખકંદ;
જે સુણતાં જન જાતિના, ટળે જન્મ મરણના ફંદ. ૧
ચોપાઈ
લાલદાસનું કલ્યાણ કરી, મહીકાંઠેથી ચાલિયા હરિ;
આવ્યા બામણગામની પાસ, ઊભા ભાગોળમાં અવિનાશ. ૨
વિપ્ર ખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાંય;
તેણે ભાળ્યા તપસ્વી તે ભારી, પદ વંદીને વિનતિ ઉચારી. ૩
મારે ઘેર ચાલો મહારાજ, મારા પૂરો મનોરથ આજ;
એવું સાંભળી દેવના દેવ, તેને ઘેર ગયા તતખેવ. ૪
પંડ્યે પાટ ઉપર પધરાવ્યા, પછી નીર ઉને નવરાવ્યા;
હેતે પૂજીને હાર ચડાવ્યો, ભાવે ભોજનથાળ ધરાવ્યો. ૫
રોટલો અને મઠની દાળ, જમ્યા ભાવથી જનપ્રતિપાળ;
કોટિ જજ્ઞ તણું ફળ આપ્યું, જન્મમરણનું સંકટ કાપ્યું. ૬
ત્યાંથી સંચર્યા શ્રીઘનશામ, આવ્યા ગુણનિધિ આણંદગામ;
ત્યાંથી નાથ ગયા છે ડાકોર, દીઠા ડાકોરના તે ઠાકોર. ૭
કરી રણછોડરાયની ભેટ, ત્યાંથી નાથ ગયા ઉમરેઠ;
જાગનાથની જગ્યા છે જ્યાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય. ૮
શિવદર્શને સાયંકાળ, આવ્યા વિપ્ર ત્યાં બે ખેડાવાળ;1
એક તો દવે નરભેરામ, બીજા ઠાકર તે રૂપરામ. ૯
પ્રેમે શંકરને પગે લાગે, ભગવાનને મળવાનું માગે;
દીઠા તેઓએ શ્રીઘનશામ, મનવૃત્તિ તણાણી તે ઠામ. ૧૦
જેમ લોહ ચમકભણી ચળે,2 સરીતા તો સાગર ભણી વળે;
તેમ જીવ જે દૈવી જણાય, પ્રભુમાં તેનું ચિત્ત તણાય. ૧૧
બન્ને બ્રાહ્મણોએ તેહ ઠામ, પ્રેમે કીધો પ્રભુને પ્રણામ;
ફળાહાર મંગાવીને દીધો, કૃપાનાથે અંગીકાર કીધો. ૧૨
બીજે દિવસ તજી તેહ સ્થાન, આવ્યા ભાળજ3 શ્રીભગવાન;
વળી ત્યાંથી આવ્યા વરતાલે, પ્રભુ બેઠા તળાવની પાળે. ૧૩
પગી જોબને તે જોગી જાણી, પદ વંદી કહી એમ વાણી;
આપું ઓરડી કરી આ ઠામ, જોગીરાજ રહો આ જ ગામ. ૧૪
સુણી શ્રીહરિ લાગ્યા ઉચરવા, મારે જાવું છે તીરથ કરવા;
અમે આવશું વળતાં જ્યારે, ગામ રહેશું તમારે જ ત્યારે. ૧૫
પછી જઈ તે પગીને ભવન, ભાવે રાંધીને કીધું ભોજન;
દેવકરણ પગી તણે ઘેર, પોઢ્યા એકાંતની જાણી પેર.4 ૧૬
બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કથા એટલી પરમ અનૂપ;
પગી જોબન મુખ સાક્ષાત, એ તો સાંભળેલી છે મેં ભ્રાત. ૧૭
મારા અંતરમાં સ્મૃતિ રહી, તેથી મેં તમને આજ કહી;
ચાલ્યા ત્યાંથકી ધૈર્યનિધાન,5 ગયા બોચાસણે બળવાન. ૧૮
જોઈ ત્યાંના તળાવની પાળ, એક બાવાની જગ્યા વિશાળ;
પ્રભુ ઉતર્યા જઈ તેહ ઠામ, પ્રેમે બાવાએ કીધો પ્રણામ. ૧૯
પાટીદાર રુડા કાનદાસ, બોચાસણ માંહી તેનો નિવાસ;
તેણે તે દિવસે રુડી પેર, સર્વ વિપ્ર જમાડિયા ઘેર. ૨૦
દેવા નોતરું બાવાની પાસ, સુત મોકલ્યો જે કાશીદાસ;
તેણે બાવાજીને નોતરીને, વળી નોતરું દીધું હરીને. ૨૧
તેને ઘેર તે બાવાની સાથ, ગયા જમવા મુનિજનનાથ;
બાવો જઈ ફળીયા માંહિ બેઠા, ઘર ઓસરી આગળ હેઠા. ૨૨
કાશીદાસની મા નાનીબાઈ, દૈવી જીવ તે દિલની ડાઈ;
તેણે શ્રીહરિની છબી દીઠી, મનડામાં લાગી બહુ મીઠી. ૨૩
તેણે મુક્ત મોટા કોઈ ધાર્યા, તેથી ઓશરી માંહી બેસાર્યા;
પીરસાવી રસોઈ મંગાવી, લાડુ બે પીરસ્યા દ્વિજે લાવી. ૨૪
ભલાં પિરસિયાં દાળ ભાત, ઘણાં શાક જુદી જુદી જાત;
ભગવાને ભર્યા બે જ ગ્રાસ, પછી ઊઠવાની કરી આશ. ૨૫
કાશીદાસ તણી કાકી જેહ, ગાય દોતી હતી તહાં તેહ;
તેની સામું જોયું હરિ જ્યારે, કાશીદાસની માતાએ ત્યારે. ૨૬
પીરસાવ્યું પ્રભુજીને દૂધ, જમ્યા ભાત ને દૂધ તે શુદ્ધ;
જમીને ગયા હરિ સાક્ષાત, રહ્યા બાવાની જગ્યામાં રાત. ૨૭
ભાનુ6 ઉગતાં ભવભયહારી, ગયા દેવાણ દેવ મુરારી;
નાનીબાઈ તણી કહું વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૨૮
પૂર્વછાયો
નિર્મળ મન નાનીબાઈનું, તેમાં શ્રીહરિ છબી સાક્ષાત;
નિશ્ચળ થઈને ઠરી રહી, જેમ પડે પટોળે7 ભાત્ય. ૨૯
ચોપાઈ
રટના તો રહી આખી રાત, જાણે પ્રગટશે ક્યારે પ્રભાત;
જોગીરાજને ઘેર તેડાવું, ફરી ભોજન ભારે કરાવું. ૩૦
વારે વારે જઈ ઘર બહાર, જુવે તારામંડળનો આકાર;
બાકી જામિની8 ઝાઝી જણાય, જઈ સજ્યા ઉપર સુઈ જાય. ૩૧
પણ નેણમાં નિદ્રા ન થાય, અતિ અંતરમાં અકળાય;
થઈ જામિની તો જુગ જેવી, મોટી કદીયે દીઠી નહિ એવી. ૩૨
વળી અંતરમાં એમ આણે, રાત મોટી હતી રાસ ટાણે;9
એમ આજ વિધાતાએ આવી, ખટ માસની રાત ઠરાવી. ૩૩
એવું ધારી નાખે તે નિશ્વાસ, જાણે ક્યારે વિતે ખટ માસ;
એવામાં સુણ્યો કુર્કટરાગ, એથી આનંદ ઉપજ્યો અથાગ. ૩૪
કાશીદાસને જાણે બોલાવું, જોગીદાસને જમવાનું કહાવું;
વળી ઉરમાં વિચારે છે એમ, બાળો જોગી જગાડીયે કેમ. ૩૫
એમ કરતાં સમો થયો પ્રાપ્તઃ, કાશીદાસ પ્રત્યે કહે માત;
પુત્ર જાઓ તે જોગીની પાસ, કહો જમવાનું આપણે વાસ. ૩૬
કાશીદાસ સુણીને સિધાવ્યા, એ તો બાવાની જગ્યામાં આવ્યા;
જોગીરાજ ગયા એવું જાણી, એની આંખમાં આવિયાં પાણી. ૩૭
નાનીબાઈને નવ રહી ધીર, ગયાં તેહ તળાવને તીર;
એણે પણ સાંભળી એવી વાત, ગયા જોગી ઊઠીને પ્રભાત. ૩૮
જ્યાં જ્યાં હરિએ ભરેલાં છે ડગલાં, પડ્યાં પાતળી રેતીમાં પગલાં;
સોળે ચિહ્ન દીઠાં સુખકારી, તેથી જાણિયા દેવ મુરારી. ૩૯
ખૂબ ખોળ ચારે દીશ કરી, નવ જાણ્યું જે ક્યાં ગયા હરી;
નાનીબાઈ થયાં તે નિરાશ, આવ્યાં આંસુ ને નાખે નિશ્વાસ. ૪૦
કાશીદાસ કહે હે માત! ધરો ધૈર્ય રહો રળિયાત;10
કૃપાનાથે જો કૃપા છે કરી, તો તે આવીને મળશે ફરી. ૪૧
રાખે આપણને હરિ જેમ, રાજી થૈને રહેવું જ તેમ;
રાખે કોઈ સમે તો હજૂર, વળી કોઈ સમે કરે દૂર. ૪૨
તોય મનમાં કદી ન મૂંઝાવું, રાખે તેમ સદા રાજી થાવું;
એવામાં થઈ આકાશવાણી, મળશે ફરી સારંગપાણી.11 ૪૩
એવું સાંભળી ધીરજ ધારી, દિલમાંથી ઉદાસી વિસારી;
ઉરમાં અતિ આનંદ લાવ્યાં, માતા પુત્ર મળી ઘેર આવ્યાં. ૪૪
કથા કૃષ્ણની કહું હવે ધારી, ગયા દેવાણ દેવ મુરારી;
રાજા બાદરસિંહજી જ્યાંય, ગયા શ્રીહરિ દરબારમાંય. ૪૫
બોલ્યા ભૂપ પ્રત્યે મહારાજ, કેણે આપ્યું છે તમને રાજ;
સુણી ભૂપે કર્યો ત્યાં ઉચ્ચાર, મને રાજ્ય તમે આપનાર. ૪૬
સુણી હેતે બોલ્યા પછી હરિ, રાજ્ય કરજો પ્રભુ થકી ડરી;
સુણી ભૂપ કહે બહુ સારું, શિર ધારીશ વચન તમારું. ૪૭
નાથે આપ્યું તેને નિજજ્ઞાન, કર્યું ભોજન ત્યાં ભગવાન;
અનુકંપા કરી અવિનાશ, કર્યો ત્યાં એક રાત નિવાસ. ૪૮
વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, પ્રભુ ત્યાંથી પધાર્યા ખંભાત;
હરિદાસનો જ્યાં છે અખાડો, રહ્યા ત્યાં હરિ રાત દહાડો. ૪૯
હરિદાસ એવું વ્રત ધરે, કોઈ આપે તો ભોજન કરે;
હતો તે દિન તો ઉપવાસ, આપનાર મળ્યો નહિ દાસ. ૫૦
અન્ન જાચ્યું જઈ મહારાજે, કહ્યું કોરા કડાકા છે આજે;
સુણી બોલિયા શ્રીઅવિનાશ, અમે પણ કરશું ઉપવાસ. ૫૧
નારેસર છે સરોવર નામ, નાહ્યા ત્યાં જઈ સુંદરશામ;
ત્યાંથી નગરે ગયા મુનિનાથ, ભેટ્યા બ્રહ્માની મૂરતી સાથ. ૫૨
ગયા બુધેજ તે બળવાન, કર્યું ત્યાંના તળાવમાં સ્નાન;
એક દૈવી જને ત્યાં તો આવી, ઘૌંનો પોક આપ્યો તાજો લાવી. ૫૩
સંધ્યા પૂજા આદિક ક્રિયા કરિ, ઘણે હેતે જમ્યા પોતે હરિ;
જળ કાઢી કુવામાંથી પીધું, પછી ગામને પાવન કીધું. ૫૪
ગયાં સંવત શતક અઢારે, પંચાવનની હુતાશની જ્યારે;
ગયા બુધેજમાં બહુનામી, જે છે અક્ષરધામના ધામી. ૫૫
હતા રાઠોડ ત્યાં ખોડાભાઈ, ગયા તેહના દરબારમાંઈ;
બેઠા લખતા હતા તે તો નામુ, પૂછ્યું શામે જોઈ તેના સામું. ૫૬
સદાવ્રત અહીં ક્યાંથી મળે છે, કહ્યું જાઓ સામે ઘેર દે છે;
એવું સાંભળીને શુભ પેર, ગયા નાથ તેને સામે ઘેર. ૫૭
જાચ્યું અન્ન તહાં અવિનાશી, ત્યારે બોલી ત્યાં રળિયાત દાસી;
હું છું કામમાં ધીરજ ધરો, હમણાં અહિંયા ફેરા ફરો. ૫૮
સાત ફેરા ફર્યા ત્યારે હરિ, એમ ઓશરી પાવન કરી;
કડું લોઢાનું લટકતું ભાળી, ઝાલી ઊભા રહ્યા વનમાળી. ૫૯
ત્યારે દાસીએ દીધી જુવાર, નવ જાણ્યા જગતકરતાર;
કહે કૃષ્ણ અમે આ શું કરીએ? સિધું આપો રસોઈ આદરીએ. ૬૦
ત્યારે દાસી તે લાગી કહેવા, ઘણા આવે જોગી તમ જેવા;
સિધાં સૌને પૂરાં કેમ થાય? અપાતું હોય એ જ અપાય. ૬૧
કહે કૃષ્ણ છે જોગી અનેક, અમો જેવા છૈયે અમે એક;
સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુ બહુ બાવા. ૬૨
ઉંચા તમથી ને તમ થકી જાડા, જેવા પાળેલા ઉન્મત્ત પાડા;
મોટા મોટા તે ચીપિયાવાળા, માથા ઉપર મોટી જટાળા. ૬૩
કોટે બાંધે મોટા મોટા પારા, રોજ પાશેર12 ગાંજો પિનારા;
આખે અંગે ભભૂત લગાવે, નાના બાળકને બિવરાવે. ૬૪
એવો વેષ દિસે વિકરાળ, મોટાં ટીલાં કરેલાં કપાળ;
વાંઝિયાને તે છોકરાં આપે, દોરા ચીઠી કરી દુઃખ કાપે. ૬૫
જોગી આવે છે અવધૂત13 એવા, તમે જોગી નથી એહ જેવા;
લેવી હોય તો લ્યો તે જુવાર, નહિ તો જાઓ અહીંથી બાર. ૬૬
એવી દાસીની સાંભળી વાણી, પાંચ દાણા જમ્યા પદ્મપાણી;
કુવા કાંઠે ગયા ગામ બાહાર, પાણી પીધું હતું જેહ ઠાર. ૬૭
શમી14 ઝાડ ઉપર પારેવાં, બોલતાં હતાં જાચક15 જેવાં;
માવે જાણ્યું માગે છે આહાર, તેથી તેઓને નાખી જુવાર. ૬૮
ભાવે સાંભળો તમે ભૂપાળ, હરિકૃષ્ણ છે એવા કૃપાળ;
સૌના અંતરની ગતિ જાણે, દુઃખી દેખી દયા દિલ આણે. ૬૯
પુષ્પિતાગ્રાવૃત્ત
અવગુણ ઉર જીવના ન આણે, હરિગુણ એહ મુનીશ્વરો વખાણે;
જન ગુણ લવ શ્રેષ્ઠ માનિ લે છે, કરી કરુણા અવિનાશી સુખ દે છે. ૭૦
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીંદ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિબુધેજગ્રામ-પ્રાપ્તનામા સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥