કળશ ૪

વિશ્રામ ૧૨

પૂર્વછાયો

કહું કથા રામાનંદની, વળી તેણે કર્યાં જે કામ;

બાંધ્યાં સદાવ્રત બહુ ભલાં, ગણી કહું તે ગામનાં નામ. ૧

ચોપાઇ

ગામ લોજ તથા માંગરોળ, આપે ત્યાં લોટ દાળ ઘી ગોળ;

માણાવદર ને અગત્રાઈ, મેઘપર ને ધોરાજી માંઈ. ૨

ગામ સાંકળી ને પીપલાણું, જામવાળી ને ભાડેર જાણું;

ફણેણી જેતપર સરધાર, સદાવ્રત નવાનગર મોઝાર. ૩

કોટડું ગઢડું કારિયાણી, આપે પુષ્કળ ત્યાં અન્ન પાણી;

ગામ માણકવાડા મેથાણ, ગુજરાતે જેતલપુર જાણ. ૪

અમદાવાદમાં કર્યું જેમ, બીજાં પણ બહું ગામમાં તેમ;

રાખ્યા સાધુઓને અન્ન દેવા, આવે તીરથવાસીયો લેવા. ૫

આપી અન્ન ને દે ઉપદેશ, દૈવીને દિલ થાય પ્રવેશ;

વસ્તુ નિત્ય અનિત્યનું જ્ઞાન, પામી થાય તે વૈરાગ્યવાન. ૬

સુણી સ્વામીનો મહિમા વિશેષ, રહે કૈંક તો ત્યાં જ હંમેશ;

દીક્ષા વૈષ્ણવી લેવા ચહે છે, સાધુ થૈ સ્વામી પાસ રહે છે. ૭

અયોધ્યામાં અખાડો છે જેહ, નામે રામગલોલાનો તેહ;

રહે વેરાગી તેમાં અનેક, ઉપરી તો મહાંત છે એક. ૮

મુખ્ય શિષ્ય તો લક્ષ્મણદાસ, તેને દ્વારિકા જાવાની આશ;

સાથે વૈરાગી પચાશ લીધા, ઊંટ ઘોડા ગુરુજીયે દીધા. ૯

સૌયે હથિયાર પકડ્યાં હાથે, બીજો સામાન બહુ લીધો સાથે;

ચાલ્યા દ્વારિકા જાત્રાને કામ, સુણ્યું રસ્તે રામાનંદ નામ. ૧૦

જ્યાં છે સુંદર સોરઠ દેશ, લોજમાં તે વસે છે વિશેષ;

એ છે ઈશ્વરનો અવતાર, તેના સામર્થ્યનો નથી પાર. ૧૧

પર અંતરની વાત જાણે, મન ચંચળ તે સ્થિર આણે;

એનો આશ્રય જેને મળે છે, કામવાસના તેની ટળે છે. ૧૨

એનું પૂરણ તેજ પ્રકાશે, ભાળતાં ભલું ઐશ્વર્ય ભાસે;

મહિમા એવો સાંભળ્યો જ્યારે, ઇચ્છા દર્શનની થઈ ત્યારે. ૧૩

પછી તેહનાં દર્શન કાજ, લોજ ગામે ગયો તે સમાજ;

રામાનંદનું દેખી સ્વરૂપ, થયો આધીન વેરાગી ભૂપ. ૧૪

પાંચ દિવસ કર્યો ત્યાં નિવાસ, કથા સાંભળી સ્વામીની પાસ;

ઉરમાં ઉપજ્યો વૈરાગ, થઈ મનથી તો વાસના ત્યાગ. ૧૫

જવા સોબતી આકળા થાય, ચોટ્યું ચિત્ત તે કેમ જવાય;

કહે ચાલશું સાંઝે પ્રભાત, એમ કરતાં વિત્યા દિન સાત. ૧૬

જવા બીજાયે બહુ હઠ લીધો, તેને છેલ્લો ઉત્તર એવો દીધો;

જાઓ જો જવું હોય તમારે, અઠે દ્વારિકા છેજી1 અમારે. ૧૭

ઉપજાતિવૃત્ત (જેનો જીવ જેમાં જોડાયા વિષે)

જોડાય જેનું મન જેની જોડે, છોડાવતાં તે કદીયે ન છોડે;

લે કાષ્ઠ જે હાલર2 હાથમાંય, છોડાવતાં પ્રાણ છુટે જ ત્યાંય. ૧૮

પ્રીતિ કરે દીપકમાં પતંગ,3 બળે તથાપિ અરપે જ અંગ;

જો ચંદ્રમાં પ્રીતિ કરે ચકોર, પ્રીતિ કરે છે ઘન4 માંહિ મોર. ૧૯

વૈરાગ્ય સાચો ઉપજે જ જેને, સંસારનો સંગ ગમે ન તેને;

જો તુંબડીને જળમાં દબાવે, તથાપિ તે ઊપર પાછી આવે. ૨૦

જો વ્યાઘ્ર બચ્ચું ઉછરે અજામાં,5 તે વૃંદ મધ્યે વિચરે મજામાં;

સ્વજાતિની સંગત થાય જ્યારે, જતું રહે જાતિ વિષે જ ત્યારે. ૨૧

જો આસુરીમાં જન દૈવી કોય, મળી રહેલો બહુ કાળ હોય;

જો તેહને સદ્‌ગુરુ સંગ થાય, ન આસુરી સાથે રહી શકાય. ૨૨

જો યેળ6 પામે ભ્રમરી પ્રસંગ, તો ઉડવા પાંખ પમાય અંગ;

સ્વયં સ્વરૂપે ભ્રમરી જ થાય, તે યેળ મધ્યે વસવા ન જાય. ૨૩

તેવી રીતે જો સતસંગ થાય, કુસંગમાં કેમ રહી શકાય;

સત્સંગીને સત્ય સગાં પ્રમાણે, કુસંગીને નિત્ય વિજાતી જાણે. ૨૪

સ્વજાતિ મધ્યે વસવું ગમે છે, વિજાતિમાંથી ખસવું ગમે છે;

જો શ્વાનને તો ભસવું ગમે છે, મનુષ્યને તો હસવું ગમે છે. ૨૫

ચોપાઇ

જુદી જાતિના જુદા સ્વભાવ, રહી ભેળા ન થાય નિભાવ;

જેને સદ્‌ગુરુનો રંગ લાગે, તે તો સંસારીનો સંગ ત્યાગે. ૨૬

એવું જાણીને લક્ષ્મણદાસે, કહ્યું પોતાના સોબતી7 પાસે;

હું તો આંહિ રહીશ હંમેશ, તમે જાત્રા કરી જાઓ દેશ. ૨૭

હું તો દ્વારિકા ને હરદ્વાર, ગયો પુષ્કર કાશી કેદાર;

વડાં અડસઠ તીર્થ વખાણું, રામાનંદના ચરણમાં જાણું. ૨૮

બીજાં તીર્થે તો તન ધોવાય, મનનો મળ આ સ્થળે જાય;

એમ કહી શણગાર ઉતાર્યો, ખરા વૈરાગ્યનો વેષ ધાર્યો. ૨૯

હતી કંઠમાં કનકની માળા, કડાં વીંટી ને વેઢ રુપાળા;

લ્યો આ જૈને ગુરુજીને દેજો, મારા છેલ્લા પ્રણામ કહેજો. ૩૦

એવાં વાક્ય વિશેષ સુણાવ્યાં, સુણી સર્વને આંસુડાં આવ્યાં;

હતા દૈવી તે તો ત્યાં જ રહ્યા, બીજા દ્વારિકા તીરથે ગયા. ૩૧

રામાનંદ ગુરુજીની પાસે, લીધી દીક્ષા તે લક્ષ્મણદાસે;

નામ ધાર્યું તે આનંદાનંદ, મહામુક્ત થયા જગવંદ. ૩૨

બીજા પણ જન ઉત્તમ એવા, સ્વામી પાસે રહ્યા આવી કેવા;

તેની વાત કહું છું વિશેષ, સુણો સ્નેહ સહિત નરેશ. ૩૩

ગુજરાતમાં મછિયાવ ગામ, વસે ઔદીચ વિપ્ર તે ઠામ;

નામે તે મધ્ય મૂળજી એક, જેમાં સદ્‌ગુણ શોભે અનેક. ૩૪

બાળપણથી પ્રભુભક્તિ ગમે, નહિ રમત રમે કોઈ સમે;

જન જોઈને કરતાં વિચાર, આ છે મુક્ત તણો અવતાર. ૩૫

આઠ વરષે તો ઉપવીત દીધું, તાતે પરણાવવાનું મન કીધું;

તાત આગળ બોલ્યા તે આમ, મેં તો સંસાર કીધો હરામ. ૩૬

હું તો નૈષ્ઠિકવ્રત દૃઢ ધારી, રહું અંત સુધી બ્રહ્મચારી;

મને ક્યાંઈ મળે જગદીશ, ખાંતે ખૂબ તે ખોળ કરીશ. ૩૭

એવું સાંભળીને કહે તાત, સુત સાંભળો સ્નેહની વાત;

જ્યારે જગતમાં કળિજુગ હોય, નહિ રહી શકે નૈષ્ઠિક કોય. ૩૮

જુવાની વયમાં જ્યારે થાશો, પછી પુત્ર પુરા પસતાશો;

માટે આગળથી જ વિચારો, શુભ ધર્મ ગૃહસ્થનો ધારો. ૩૯

કહે મૂળજી સાંભળો તાત, તમે જે કહી તે સત્ય વાત;

પણ વૈરાગ્ય જો હોય સાચો, તે તો કદીયે પડે નહિ કાચો. ૪૦

દૃઢ વૈરાગ્ય એમ દેખાડી, પોતે પરણવાની ના પાડી;

ખરા સદ્‌ગુરુની ખોળ કરવા, ચાલ્યા દ્વારિકા તીર્થ વિચરવા. ૪૧

સુણ્યું રસ્તે રામાનંદ નામ, ગયા તેથી પોતે લોજ ગામ;

નમ્યા સ્વામીને જૈ સાક્ષાત, વળી સાંભળી જ્ઞાનની વાત. ૪૨

ગળે દૂધમાં સાકર જેમ, ગળ્યું જ્ઞાન વિષે મન તેમ;

કરુણા ઘણી સ્વામીયે કીધી, મહાદીક્ષા તે વૈષ્ણવી દીધી. ૪૩

રાખ્યા વર્ણીરૂપે જગવંદ, નામ ધાર્યુ શ્રીમુકુંદાનંદ;

અંત સુધી રહ્યા ઊર્ધ્વરેતા, વખણાયા વળી બ્રહ્મવેત્તા. ૪૪

એવા કેટલાકની કહું વાત, કે’તા પાર ન પામિયે ભ્રાત;

અતિ એવા સમર્થ તે સ્વામી, જેની કીર્તિ દશે દિશ જામી. ૪૫

દેખી દાઝે અદેખા8 વેરાગી, એના અંતરમાં લાય લાગી;

પછી લાગ્યા તે હરકત કરવા, રામાનંદ તણું માન હરવા. ૪૬

જાણ્યું આ જે સદાવ્રત દે છે, તેનું માન તો તેથી વધે છે;

માટે આપણે સૌ કરો એમ, તેનાં તુટે સદાવ્રત તેમ. ૪૭

એવો નિશ્ચય કરી નિરધાર, પીડા કરવાને માંડી અપાર;

ઝુંડ વેરાગીનાં બહુ આવે, આપનારને તે અકળાવે. ૪૮

રહે સાધુ સદાવ્રત દેવા, તેને લાગે તે તો જમ જેવા;

કોઈ ગાળો ઉચ્ચારે ગમાર, મારે ચીપિયાનો કોઈ માર. ૪૯

કોઈ માંગે તમાકું અફીણ, માંગે ગાંજો કોઈ મતિહીણ;

કોઈ તો માંગે સાકર ખાંડ, ન મળે તો બોલે જેમ ભાંડ.9 ૫૦

કહે કોઈ વળી અહંકારી, એક ગામમાં છે મઠધારી;

તેનો દંડ અમે લીધો જેમ, લેશું દંડ તમારોય તેમ. ૫૧

નહી આપો તો મારશું માર, લૂંટી લેશું ભરેલો ભંડાર;

સંતોયે એવા સંકટ સહી, સ્વામી આગળ જૈ વાત કહી. ૫૨

બાંધ્યો સ્વામીયે એવો પ્રબંધ, કર્યાં સર્વે સદાવ્રત બંધ;

પછી પ્રકરણ તપનું ચલાવ્યું, તેનું કારણ તમને સુણાવું. ૫૩

પૂર્વછાયો

એક સમે યુથ10 સંતનું, આવ્યું ફરીને સોરઠ દેશ;

સ્વામીયે તેમાં એકનું, દીઠું શરીર પુષ્ટ વિશેષ. ૫૪

ચોપાઇ

સ્વામી તેહ પ્રત્યે કહે ત્યાંય, તમે જૈ આવ્યા સોરઠમાંય;

ત્યાંના ભક્ત છે ભાવિક સહુ, લાડુ તમને જમાડિયા બહુ. ૫૫

જમી પુષ્ટ શરીર જણાય, આમ ઇંદ્રિયો કેમ જીતાય;

કામ આદિકનાં બીજ જેહ, સદા દેહ વિષે રહે તેહ. ૫૬

જેમ અવનિ ઉપર ઉષ્ણકાળે,11 બીજ ઘાસનાં કોઈ ન ભાળે;

પણ વૃષ્ટિ ભલી થાય એક, ઉગી નીકળે ઘાસ અનેક. ૫૭

તેમ રસકસ ભોજન થાય, ત્યારે ઇંદ્રિયો પુષ્ટ જણાય;

તેથી ત્યાગીનો નવ રહે ધર્મ, એ તો સમઝો ખરેખરો મર્મ. ૫૮

માટે આજથી સંતો અમારા, થાઓ પાશેર12 અન્ન લેનારા;

એથી કદીયે ન જમવું વિશેષ, રસકસ નવ ચાખવો લેશ. ૫૯

એવું વ્રત જ્યારે સંતોયે ધાર્યું, હરિભક્તોયે એમ વિચાર્યું;

જ્યારે સંતે લીધું વ્રત એવું, ત્યારે આપણે તે વ્રત લેવું. ૬૦

હરિભક્તે લીધું વ્રત જ્યારે, આવી સ્વામીને ઉર દયા ત્યારે;

વ્રત સંતોને તે તો તજાવ્યું, ત્યારે ભક્તોને પણ અન્ન ભાવ્યું. ૬૧

ધન્ય સંત ને હરિજન ધન્ય, એવા હોય નહીં સ્થળ અન્ય;

સુણો ભૂપ ક્ષત્રીકુળચંદ,13 સ્વામી પૂજતા બાળમુકુંદ. ૬૨

મોડા ગામ પાસે એક ગામ, ગંગાજળિયું છે તેહનું નામ;

નાતે રાવળ ત્યાં બાઈ પાલી, તેને મૂર્તિ તે સ્વામીયે આલી. ૬૩

જલો ભક્ત તે પાલીનો પુત્ર, તેના ઘરમાં તે મૂર્તિ છે તત્ર;

પાલીબાઈને તે પછી જ્યારે, મળ્યા શ્રીસહજાનંદ ત્યારે. ૬૪

જલાભક્તને કરવાને ત્યાગી, સોંપ્યા શ્રીહરિને પગે લાગી;

ધન્ય ધન્ય તે ભક્તની માતા, થઈ પુત્રને કલ્યાણદાતા. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રથમ પ્રગટ સંપ્રદાય કીધો, સદ્‌ગુરુ થૈ ઉપદેશ શુદ્ધ દીધો;

નહિ કદી વિસરે જ નામ જેનું, નૃપ તુજ પાસ કહ્યું ચરિત્ર તેનું. ૬૬

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સદ્‌ગુરુશ્રીરામાનન્દ-સ્વામીઆખ્યાનકથનનામા દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે