☰ kalash

કળશ ૫

વિશ્રામ ૧૧

પૂર્વછાયો

ઓગણસાઠની સાલની, આવી દિવાળી ઢુંકડી જ્યાંય;

લોજના હરિજન તેડવા, આવ્યા શ્રીહરિ આગળ ત્યાંય. ૧

ચોપાઈ

કાલવાણીમાં કૃષ્ણ બિરાજે, આવ્યા હરિજન તેડવા કાજે;

કર જોડીને વાણી ઉચ્ચારી, સુણો અરજ અમારી મુરારી. ૨

આદિસ્થાન રામાનંદ કેરું, લોજધામ છે જૂનું ઘણેરું;

જેમાં પ્રથમ પધારીને આપ, મુનિ મુક્તનો કીધો મેળાપ. ૩

ગાદી પામ્યા પછી કોઈ વાર, તમે આવ્યા નથી એહ ઠાર;

અન્નકૂટ ત્યાં આવીને કરો, અરજી એટલી ઉર ધરો. ૪

સુણી બોલિયા શ્રીમહારાજ, સુણો સૌ સતસંગી સમાજ;

કાલવાણીના જે હરિજન, અમે આપ્યું છે તેને વચન. ૫

એક આવે પ્રબોધિની જેહ, અહીં કરશું સમૈયો તેહ;

માટે શી રીતે અહિંથી જવાય? મારું વેણ મિથ્યા કેમ થાય? ૬

સતસંગી બોલ્યા સુણી વાણી, પ્રભુ સાંભળો સારંગપાણી;

અન્નકૂટ કરો લોજ માંહી, પછી કરજો પ્રબોધિની આંહીં. ૭

વાત શ્રીહરિને લાગી સારી, મોકલ્યા સંત ને બ્રહ્મચારી;

હતા પ્રથમ રામાનંદ પાસ, સાધુ તે રામચરણદાસ. ૮

સાથે બ્રહ્મચારી જયરામ, બેને મોકલિયા લોજગામ;

કહ્યું જૈને તમે ત્યાં ઠરજો, અન્નકૂટનો સામાન કરજો. ૯

ધનતેરશ આવશે જ્યારે, અમે ત્યાં આવશું તેહ વારે;

સંત સાંભળી ચાલ્યા ઉમંગે, ત્યાંના સતસંગી પણ ગયા સંગે. ૧૦

જૈને સામાન સર્વ કરાવ્યો, ત્યાં તો દ્વાદશીનો દિન આવ્યો;

કર્યું પારણું શ્રીઘનશામે, પછી પરવરિયા લોજ ગામે. ૧૧

ધનતેરશ ત્યાં કરી ધીર, પૂજ્યા ચૌદશે હનુમંત વીર;

પૂરી દીપોત્સવે દીપમાળ, રીઝ્યા જનશિર દીનદયાળ. ૧૨

અન્નકૂટ તણો દિન આવ્યો, ભલો તે હરિજન મન ભાવ્યો;

કર્યો ગોમય1 ગોવરધન, કર્યું પ્રેમથી તેનું પૂજન. ૧૩

પૂર્યા પાક શાક પકવાન, કરે મુનિજન હરિગુણ ગાન;

વાજે ભુંગળ તાલ મૃદંગ, સૌને આનંદ ઉપજ્યો અંગ. ૧૪

જમ્યા સંત ને શ્રીગિરધારી, પછી સાંજે સભા સજી સારી;

હતા પરદેશી સંઘ અપાર, બેઠા સર્વે સભાની મોઝાર. ૧૫

પૂર્વછાયો

એવે સમે એક વાણિયો, જેનો દિવબંદરમાં વાસ;

આવ્યો પ્રભુની આગળે, હવે એનો કહું ઇતિહાસ. ૧૬

ચોપાઈ

દિવબંદરનો રહેનાર, કરે વા’ણવટીનો2 વેપાર;

એક અવસરે તેહનું વા’ણ, લાગ્યું ડૂબવા મધ્ય મે’રાણ. 3 ૧૭

ઘણો તેમાં ભર્યો હતો માલ, તેની ચિંતા થઈ તેહ કાળ;

વા’ણ બૂડશે તો માલ જાશે, મારા જીવનું જોખમ થાશે. ૧૮

એવું જાણીને જોડિયા હાથ, દિલે સંભાર્યા દ્વારિકાનાથ;

કહ્યું હે પ્રભુ ઊગારો અમને, અર્ધ ભાગ હું અર્પિશ તમને. ૧૯

કૃષ્ણની એવી માનતા કરી, તે તો વા’ણ આવ્યું તીરે તરી;

માલ વેચી તેનું નાણું કીધું, પોતે અર્ધ એમાં થકી લીધું. ૨૦

અર્ધ રણછોડજી આગે ધરવા, ચાલ્યો દ્વારકા તીરથ કરવા;

આવ્યો સોરઠ દેશમાં જ્યારે, તેણે વાત એવી સુણી ત્યારે. ૨૧

આજ છે ગામ લોજ મોઝાર, રામાનંદ પ્રભુ અવતાર;

ઇચ્છા અંતરમાં એવી થઈ, મળું તેને હું લોજમાં જઈ. ૨૨

પછી આવ્યો રામાનંદ ધામ, પદપદ્મને4 કીધો પ્રણામ;

શેઠ બેઠા સભા મધ્ય જ્યારે, તર્ત બોલ્યા રામાનંદ ત્યારે. ૨૩

તમે વા’ણનો કીધો વેપાર, ડુબતા હતા દરિયા મોઝાર;

પછી કૃષ્ણની માનતા કરી, એથી આવ્યા છો આપ ઉગરી. ૨૪

એમ કહીને વળી સાક્ષાત, એના અંતરની કહી વાત;

સુણી નિશ્ચે થયો નિરધાર, આ તો ઈશ્વરનો અવતાર. ૨૫

જાણ્યું દ્વારિકાં છે જ આ ઠામ, દીધાં વાવરી સર્વે દામ;

જમાડ્યા દ્વિજ સંત સમાજ, કાંઈ આપ્યું સદાવ્રત કાજ. ૨૬

જાત્રા ત્યાં જ કરી રુડી પેર, ગયો પાછો તે પોતાને ઘેર;

રામાનંદ જાણી ભગવાન, ભજે તેને ધરે તેનું ધ્યાન. ૨૭

એમ કરતાં વરષ કાંઈ વીત્યાં, તજ્યો દેહ રામાનંદજી ત્યાં;

તેને પાટે બેઠા પ્રભુ જ્યારે, સુણી વારતા તે સાહુકારે. ૨૮

સુણ્યો શ્રીજીનો પરમ પ્રતાપ, રામાનંદથી અધિક અમાપ;

ધરી અંતરે દર્શન આશ, આવ્યો લોજમાં શ્રીપ્રભુ પાસ. ૨૯

જાણ્યું અંતરની કહે વાત, તો હું માનું પ્રભુ સાક્ષાત;

પગે લાગી બેઠો સભામાંય, હતો બાળક બેઠેલો ત્યાંય. ૩૦

વર્ષ પાંચની ઉમ્મર હતી, તેની પ્રત્યે બોલ્યા મુનિપતી;

કહો શેઠના મન તણી વાત, કેવા ઘાટ ઘડે છે તે ભ્રાત. ૩૧

પછી શેઠના મનમાં જે હતું, તે તો બાળકે ત્યાં કર્યું છતું;

વાત સરવ કહી વિસ્તારી, ભાસ્યું શેઠને અચરજ ભારી. ૩૨

હરિને કહ્યું જોડીને હાથ, સરવેશ તમે સત્ય નાથ;

રામાનંદ તો અન્તરજામી, હતા પોતે તેમાં નહિ ખામી. ૩૩

આપના શિષ્ય બાળક જેવા, દિસે અંતરજામી તો એવા;

તમે સરવોપરી પરમેશ, તેમાં સંશય નહીં લવલેશ. ૩૪

દીઠા બાળકમાં ગુણ એવા, હશે મોટા સમર્થ તો કેવા;

મોટા હરિજન ને મોટા સંત, હશે તેમાં તો શક્તિ અનંત. ૩૫

સુણી બોલ્યા શ્રીહરિ આપ, કહું મોટાનો કેવો પ્રતાપ;

જાણે ભૂત ભવિષ્યની વાત, કહે પર મનની સાક્ષાત. ૩૬

વળી પરને સમાધિ કરાવે, સમાધિમાંથી દેહમાં લાવે;

ભલાં દેખાડે ભગવતધામ, એવાં એવાં કરી શકે કામ. ૩૭

સુણી શેઠ તે આશ્રિત થયો, પછી ગામ પોતા તણે ગયો;

જપે સ્વામિનારાયણ નામ, ધરે ધ્યાન ઠરી એક ઠામ. ૩૮

એમ વર્ષ વિત્યાં ત્રણ્ય ચાર, પછી તેણે તજ્યો સંસાર;

દીધી દીક્ષા તેને સુખકંદ, પાડ્યું નામ ભલું પ્રભાનંદ. ૩૯

કરે શ્રીહરિ એવાં ચરિત્ર, સુણી પાપીયે થાય પવિત્ર;

માટે ગાતાં ને સુણતાં સદાય, મોટા મુક્ત તો તૃપ્ત ન થાય. ૪૦

પૂર્વછાયો

એક સમે લોજ ગામમાં, એક વેરાગી શીતળદાસ;

આવ્યો તે શ્રીહરિ આગળે, હવે એનો કહું ઇતિહાસ. ૪૧

ચોપાઈ

રામાનંદસ્વામી હતા જ્યારે, તીર્થવાસી બે વેરાગી ત્યારે;

આવ્યા રામાનંદસ્વામી પાસ, રહ્યા મંદિરમાં એક માસ. ૪૨

ગુરુ જાનકીદાસ છે બેમાં, શિષ્ય શીતળદાસ છે તેમાં;

એક પુસ્તક પોતાનું જેહ, સોપ્યું ત્યાંના કોઠારીને તેહ. ૪૩

કહ્યું તીરથ કરવાને જૈશું, પોથી વળતાં અમે પાછી લૈશું;

પછી દ્વારિકાની વાટે ચડિયા, ગુરુ મારગમાં માંદા પડિયા. ૪૪

એક નગરમાં કીધો નિવાસ, ગુરુ માંદા રહ્યા ઘણા માસ;

કાળ તેનો તે નગરમાં થયો, પછી શિષ્ય તે દ્વારકા ગયો. ૪૫

આવ્યો વળતાં ફરી લોજ ગામ, જહાં રાજે છે શ્રીઘનશામ;

નમી બેઠો સભા મધ્ય આવી, ગુરુ મરણની વાત સુણાવી. ૪૬

માગ્યું પોતાનું પુસ્તક જ્યારે, આપ્યું કોઠારીએ લાવી ત્યારે;

છોડી પુસ્તક જોયું તપાશી, દીઠી ડાબલી મૂકેલી વાશી. ૪૭

સભા માંહી તે ઉઘાડી જ્યારે, દીઠું અદ્‌ભુત અચરજ ત્યારે;

માંહી અરધો રુપૈયો દેખાણો, કણો સાપનો5 તેને વીંટાણો. ૪૮

ગુરુની રહી વાસના એમાં, તેથી સર્પ થઈ બેઠો તેમાં;

જળ છાંટ્યું તેને મુનિ ભૂપે, તજી દેહ થયો દિવ્ય રૂપે. ૪૯

પ્રભુને પદ કીધો પ્રણામ, ઘણી વિનતિ કરી એહ ઠામ;

વળી ઉચાર્યું નિજ વૃત્તાંત, ભાંગી સર્વના મનની ભ્રાંત. ૫૦

એને આજ્ઞા કરી ઘનશામે, ગયો તેથી તે ગોલોક ધામે;

દીનબંધુ દયાસિંધુ એવા, કહો કોણ ધરમસુત જેવા! ૫૧

એનું અધમઉદ્ધારણ નામ, નકી જાણ્યું જનોએ તે ઠામ;

પછી શ્રીહરિએ સઉ પાસ, કહ્યું વાસના કરજો વિનાશ. ૫૨

ઉપજાતિવૃત્ત (વાસના તજવા વિષે)

જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે;

માટે થજો સૌ નિરવાસનીક, જો જન્મમૃત્યુ તણી હોય બીક. ૫૩

અર્ધો રુપૈયો અતિ તુચ્છ આ તો, વૈરાગીની જો રહિ વાસના તો;

જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો? ૫૪

જે ભક્તને કારણ અંતકાળે, આવે પ્રભુ તે જન કૈંક ભાળે;

જો વાસના કોઈ વિષે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય. ૫૫

ગૃહસ્થ ને ત્યાગી સમસ્ત ભક્ત, થશો નહિ માયિકામાં પ્રસક્ત;6

જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. ૫૬

રહે રસાસ્વાદની વાસનાય, તે તો કીડા તે રસના જ થાય;

નિઃસ્વાદી થાજો નર સર્વ નારી, ભવિષ્યનું દુઃખ દિલે વિચારી. ૫૭

અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોટ્યો રસ કોઈ રાખ્યો;

તથાપિ જો તૃપ્તિ થઈ ન ભાસે, તો આ ભવે શું મન તૃપ્ત થાશે? ૫૮

જો કામ કેરી રહી વાસનાય, તો મૂત્રવિષ્ઠા કૃમિ દેહ થાય;

દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુક્ત થઈ અક્ષરધામ માગો. ૫૯

મનુષ્યનું આયુષ્ય અલ્પ કાળ, કાપે સદા તે પણ કાળવ્યાળ;

ચેતી શકો તો ચિત માંહી ચેતો, થશે પછીથી નહિ તો ફજેતો. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિ અતિ શુભ વાત એવી કીધી, સુણી સતસંગી સમસ્ત ધારી લીધી;

તૃણવત સુખ સ્વર્ગનાય જાણે, નરસુખ કેમ કદાપિ ઊર આણે. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિલોજગ્રામે અન્નકૂટોત્સવકરણનામા એકાદશો વિશ્રામઃ ॥૧૧॥

×

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે