☰ kalash

કળશ ૫

વિશ્રામ ૧૯

પૂર્વછાયો

થોડાક માસ ગયા પછી, આવ્યા બોચાસણે અવિનાશ;

વાત સુણી વરતાલમાં, બાપુભાઈ ને રણછોડદાસ. ૧

ચોપાઈ

બાપુભાઈનું નામ પ્રકાશ, કહું જન્મનું કુબેરદાસ;

પિતા પુત્ર મળીને સિધાવ્યા, બેય ગામ બોચાસણે આવ્યા. ૨

કાશિદાસને ઘેર તે ગયા, પ્રભુ નિરખીને પાવન થયા;

પદમાં પડી કીધો પ્રણામ, પ્રભુએ પુછ્યું ગામ ને નામ. ૩

સર્વ જાણે છે અંતરજામી, જન રીતિ કરી બહુનામી;

કાશિદાસે કહ્યાં નામ ઠામ, કહ્યું આવ્યા છે દર્શન કામ. ૪

પ્રભુપદતળ બેય નિહાળ્યાં, પિતા પુત્રે સોળે ચિહ્ન ભાળ્યાં;

રુડું દીઠું ચમત્કારી રૂપ, જાણ્યા કોટિ ભુવનના ભૂપ. ૫

નિજ ભાગ્ય તણો મહિમાય, જાણી હૈયામાં હરખ ન માય;

થયાં પુલક્તિ બેનાં શરીર, નેણે આવિયાં નેહનાં નીર. ૬

અમે ક્યાં અલ્પ જીવ ગમાર, અને ક્યાં કોટિ જગકરતાર!

એનાં દર્શન અમને ક્યાંથી, એવા તર્ક ઉઠે મનમાંથી. ૭

પણ મુખથી ન બોલાય બોલ, સ્નેહસાગર ઉલટ્યો અતોલ;

કર્યો વર્ણિ મુકુંદે થાળ, ઉઠ્યા જમવાને દીનદયાળ. ૮

બેઠા આરોગવા અવિનાશ, બેય જણને બોલાવિયા પાસ;

આપી શિષ્ટ1 પ્રસાદી મુરારી, જમ્યા બેય તે મહિમા વિચારી. ૯

કથા વાત સુણી રહ્યા રાત, પછિ પ્રગટિયું જ્યારે પ્રભાત;

સ્નાન આદિ ક્રિયા નિત્ય કરી, ચાલ્યા દર્શન કરવા ફરી. ૧૦

બેઠા સભા સજી સુખરાશી, બેઠા ત્યાં વરતાલ નિવાસી;

કાશિદાસ પિતા કાનદાસ, બેઠા તે પણ તેઓની પાસ. ૧૧

જુવે છે વરતાલ નિવાસી, તેજોમય પ્રભુની છબિ ભાસી;

તેઓ બેયને થૈ ત્યાં સમાધી, જેમ જોગકળા હોય સાધી. ૧૨

જૈને જોઇયું અક્ષરધામ, દીઠા ત્યાં પણ શ્રીઘનશામ;

દીઠા ચિંતામણિમય મોલ, કલ્પવૃક્ષ તણી ઘણી ઓળ. 2 ૧૩

નર અક્ષર સમ કોટિ દાસ, ઉભા સેવામાં શ્રીહરિ પાસ;

બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર ગણાય, એવાને તો ન દર્શન થાય. ૧૪

ગુણગાન કરે વેદ ચાર, એવું ઐશ્વર્ય દીઠું અપાર;

ત્યાં તો તેઓ સમાધિથિ જાગ્યા, પ્રભુને પગે પ્રેમથી લાગ્યા. ૧૫

કરી અક્ષરધામની વાત, પામ્યા અચરજ સૌ જનજાત;

વળી વિનતિ કરી જોડી હાથ, વરતાલ ચાલો મુનિનાથ. ૧૬

અમે આવિયા તેડવા આજ, ઇચ્છા પૂર્ણ કરો મહારાજ;

સુણી એવું કહે કાનદાસ, ત્યાં છે ચોર ધારાળાનો3 ત્રાસ. ૧૭

પરદેશી આવી ઉતરે છે, તેનાં વસ્ત્ર વાહન ચોરી લે છે;

ત્યારે બોલિયા રણછોડદાસ, તેનો અમને નહીં કાંઈ ત્રાસ. ૧૮

આવી ઘેર અમારે ઉતરે, તેને હરકત કોઈ ન કરે;

ગામ માંહિ અમારી આજ, કોઈ લોપી શકે નહિ લાજ. ૧૯

સુણી બોલિયા સુંદર શામ, તમે જાઓ તમારે ગામ;

આવતી કાલે આવશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. ૨૦

આપી વચન ને કીધા વિદાય, ગયા તે પ્રણમી પ્રભુપાય;

રાત પાછલિયે બળવંત, કહે સાધુને સાંભળી સંત. ૨૧

સાધુ પાંચ રહો આ ઠામે, બિજા જાઓ જેતલપુર ગામે;

પણ સ્વામિ આનંદાનંદ, સાથે લૈ એક સંતનું વૃંદ. ૨૨

એ તો આંહિથી ડાકોર થૈને, ફરે કાનમ પ્રાંતમાં જૈને;

એવી આજ્ઞા પ્રભુ તણી પામી, ચાલ્યા સંત તે સૌ શિર નામ. ૨૩

જવા શ્રીજી થયા તૈયાર, થયા ઘોડી ઉપર અસવાર;

ઉમોભાઈ ને ગોવિંદસ્વામી, શ્રીજી સાથે ચાલ્યા મુદ પામી. ૨૪

બીજા સંત લઈ સંગ ચાર, વિચર્યા ત્યાંથી વિશ્વઆધાર;

છ ઘડી દિન ચડિયો જ્યારે, વરતાલે આવ્યા પ્રભુ ત્યારે. ૨૫

બદરી તરુ સુંદર ભાળી, જઈ ત્યાં ઉતર્યા વનમાળી;

દીઠો કૂપ તે પશ્ચિમ ઠામ, ગંગાજળિયો છે તેનું નામ. ૨૬

સંતસહિત મહાપ્રભુ નાહ્યા, બેઠા જ્યાં શુભ બદરીની છાયા;

ત્યાં જ કર્મ સંધ્યાદિક કર્યાં, બદરી ફળ દેવને ધર્યાં. ૨૭

જમ્યા તે ફળ સારંગપાણી, બદરીને બહુ જ વખાણી;

ત્યાં તો પુરજન આવ્યા અપાર, વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર. ૨૮

કહે હે પ્રભુ પુરમાં પધારો, અમે આપિયે સારો ઉતારો;

સુણી બોલિયા શ્રીભગવાન, અતિ વાલું લાગે છે આ સ્થાન. ૨૯

થોડી વાર તો બેસિયે આંહીં, પછી ઉતરશું પુર માંહી;

આસપાસ પ્રભૂજી નિહાળે, વારે વારે તે બદરીને ભાળે. ૩૦

બાપુભાઈયે વાત પ્રકાશી, એક આવ્યા હતા સંન્યાસી;

તેણે પણ આ જગ્યા વખાણી, બદરી સુરતરુ જેવી જાણી. ૩૧

કથા વારતા આ સ્થાન કરતા, મહિમા આ ભૂમિનો ઉચરતા;

એણે અમને દીધું વરદાન, ભેટશે તમને ભગવાન. ૩૨

એ તો સુફળ થઈ એની વાણી, મળિયા તમે સારંગપાણી;

સુણી શ્રીજી હસ્યા મંદ મંદ, પછી ત્યાંથી ઉઠ્યા જગવંદ. ૩૩

બાપુભાઈને આંગણે આવ્યા, ખડકીને મેડે પધરાવ્યા;

ઉતર્યા તહાં શ્રીજી ને સંત, આવે દર્શને લોક અનંત. ૩૪

શ્રીજી જ્ઞાનની વાત સુણાવે, કોઈને તો સમાધિ કરાવે;

એમ આપે અતિશે આનંદ, સુખદાઈ શ્રીસહજાનંદ. ૩૫

પૂર્વછાયો

આઠ તનુજ બાપુભાઈને, સેવે શ્રીજીને મળી સૌ સાથ;

ભલા તે આઠે ભાઈનાં, કહું નામ સુણો નરનાથ. ૩૬

ચોપાઈ

દાસ રણછોડ બેચરદાસ, દાજીભાઈ તથા કાનદાસ;

ભાઈજી રાઈજી વ્રજભાઈ, મૂળજી પણ ત્યાં આવે ધાઈ. ૩૭

સતી રણછોડદાસની નારી, રંગબાઈ તે સદ્‌ગુણી સારી;

કહ્યું તેહને રણછોડદાસે, શુદ્ધ રંધાવો ગોરની પાસે. ૩૮

પુરુષોત્તમ પરબ્રહ્મ જેહ, જમશે આપણે ઘેર એહ;

પછી તેણે રસોઈ કરાવી, જમ્યા નાથ નૈવેદ્ય ધરાવી. ૩૯

જમ્યા સંત ને પાર્ષદ આદી, પછી આપી તે સૌને પ્રસાદી;

ગાડું આંગણામાં હતું ત્યાંય, પ્રભુ પોઢિયા માંચડા માંય. ૪૦

દાજીભાઈ તો વિચારે છાનું, સોળે ચિહ્ન દિઠે પ્રભુ માનું;

પગ લાંબા કર્યા પ્રભુ જ્યારે, સોળે ચિહ્ન તેણે દીઠાં ત્યારે. ૪૧

દાજીભાઈનો સંશય ગયો, ભગવાનનો નિશ્ચય થયો;

આઠે ભાઈ થયા સતસંગી, સેવે શ્રીજીને અંગે ઉમંગી. ૪૨

ઢાળ્યો ખડકીને મેડે પલંગ, પોઢે રાત્રિયે ત્યાં જ શ્રીરંગ;

કરે દિવસે તો જ્ઞાનની વાત આવે સાંભળવા જનવ્રાત. ૪૩

સારા સુતાર વાસણ નામ, આવ્યા તે કથા સુણવા કામ;

દૈવી જીવ મુમુક્ષુ છે તેહ, થયા તરત જ આશ્રિત એહ. ૪૪

કર જોડિને વિનતી કરી, મારે ઘેર પધારો શ્રીહરિ;

ત્યારે ભક્તવત્સલ ભગવાન, ગયા તેહ સુતારને સ્થાન. ૪૫

ઘર પાછળ કીધેલી વાડ્ય, હતું દાડમડીનું ત્યાં ઝાડ;

તળે તેને પલંગ બિછાવી, પૂજ્યા ત્યાં પ્રભુને પધરાવી. ૪૬

ચર્ચી ચંદન હાર ચડાવ્યા, તોરા પાગમાં સરસ ધરાવ્યા;

ધૂપ દીપ ને આરતી કરી, ભાવે ભેટ પ્રભુ પાસે ધરી. ૪૭

પછી પ્રેમથી કીધો પ્રણામ, પૂજ્યા સંતને પણ તેહ ઠામ;

મુખે માગ્યું વળી વરદાન, પ્રભુ તવ પદનું રહે ધ્યાન. ૪૮

તથા અસ્તુ કહી મુનિનાથે, મુક્યો હાથ સુતારને માથે;

એનો અર્થ એ રીતે સુધારી, ગયા ઉતારે શ્રીગિરિધારી. ૪૯

હવે પામી કથાનો પ્રસંગ, કહું એક કથા તણું અંગ;

રૂડી રીતે સુણો રાજાન, પગી જોબનનું આખ્યાન. ૫૦

વસે જોબન વરતાલ વાસે, જેના ત્રાસે મોટા ભૂપ ત્રાસે;

ચોરી કરવા ચારે દિશ જાય, નહીં કોય થકી પકડાય. ૫૧

મોટા મહિપતિના મો’લ ફાડે, લૂંટે વાટમાં ધોળે દહાડે;

સો સો ગાઉ સુધી જેનું નામ, જાણે રંક ને રાય તમામ. ૫૨

પગી સુંદર શકરો ને દલો, ચારે ભાઈ વિષે સંપ ભલો;

સગાવાલાનો જથો વિશેષ, તેથી કોઈથી નવ ડરે લેશ. ૫૩

ભાઈ સુંદરને જ બોલાવી, પગી જોબને વાત સુણાવી;

પાટીદારના ફળિયા માંહી, એક બાવો આવેલો છે આંહીં. ૫૪

પાટીદાર મોટા જન જ છે, પરમેશ્વર તેને કહે છે;

માટે જોવી તેની પ્રભુતાઈ, એવો નિશ્ચે કર્યો છે મેં ભાઈ. ૫૫

રાતે સર્વ ઉંઘી જાય જ્યારે, તેની ઘોડી છોડી લેવી ત્યારે;

ક્યાંઈ કાઢવી દેશ વિદેશ, જોશું કેવા છે તે પરમેશ. ૫૬

મારું વચન તમે મન ધરો, કામ એટલું તો આજ કરો;

સુણી બોલ્યા પગી સુંદરજી, એવું કરવા નથી મારી મરજી. ૫૭

એનાં દર્શન કીધાં છે મેંય, મહામૂર્તિ ચમત્કારી છેય;

તેનું પોતાનું તેજ પ્રકાશે, ભાળતાં જ તે ભગવાન ભાસે. ૫૮

મોટાપુરુષની છેડ ન કરિયે, એવાથી તો અંતર માંહિ ડરિયે;

એમ કહિને સુંદરજી ગયો, પગી જોબન શાંત ન થયો. ૫૯

રાત અરધ વીતી ગઈ જ્યારે, પગી જોબન ચાલિયો ત્યારે;

ઠેલી કુબેરદાસની ખડકી, ભાઈ રાયજી ત્યાં ઉઠ્યા ભડકી. ૬૦

કુદ્યા લે હાથમાં તરવાર, ઝટ ઉઘાડિયું જઈ દ્વાર;

પગી જોબનને જોયો જ્યારે, કહે રાયજી ક્રોધથી ત્યારે. ૬૧

આવી રીતે છંછેડો છો અમને, તેથી લાભ થશે નહિ તમને;

જથાવાળા4 અમે પણ છૈયે, અમે તમથી નહીં ડરી જૈયે. ૬૨

ભાખે તે સમે જોબનભાઈ, જોવી છે પ્રભુની પ્રભુતાઈ;

તમે આજ કદી આડા ફરશો, બીજે ગામ જશે ત્યાં શું કરશો? ૬૩

કહી એવું પગી ઘેર ગયા, પછી રાયજી તો પોઢી રહ્યા;

ત્રણ દિવસ રહ્યા પ્રભુ ત્યાંય, થયા ચોથે દિ જમી વિદાય. ૬૪

જતાં પણ પ્રભુ બદરીને ભાળે, આસપાસની જગ્યા નિહાળે;

વખાણી બદરી બહુ વાર, જાણે છે શ્રીહરિ તેનો સાર. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન વરતાલના નિવાસી, પ્રભુ વિચર્યાથિ થયા દિલે ઉદાસી;

ફરિ હરિ વિનવે કરી પ્રણામ, પ્રભુજિ રહો અહિયાં કરી સ્વધામ. ૬૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વૃત્તાલયે શ્રીહરિ કુબેરદાસગૃહે આગમનનામા એકોનવિંશો વિશ્રામઃ ॥૧૯॥

×

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે