☰ kalash

કળશ ૭

વિશ્રામ ૨૪

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ ધરીને સ્નેહ;

સારંગપુરમાં શ્રીજીયે, કરિ લીલા કહું હવે તેહ. ૧

ચોપાઈ

એવામાં હતી વૃષ્ટિની તાણ, પશુ ઘાસ વિના તજે પ્રાણ;

હરિભક્ત ભેળા સહુ થૈને, કરી વિનતિ પ્રભુ પાસ જઈને. ૨

દયાસિંધુ દયા દિલ આણો, પ્રાણી પીડા પામે છે તે જાણો;

ઇન્દ્ર આદિક દેવતા જે છે, આપના વશમાં સર્વ એ છે. ૩

તમથી દિલમાં સહુ ડરે, કરો આજ્ઞા તો વૃષ્ટિ તે કરે;

સુણી ધર્મસુતે દયા ધરી, પછી ચોક વચ્ચે સભા કરી. ૪

ઢોલિયો ગાડા ઉપર ઢળાવી, બેઠા તે પર શ્રીહરિ આવી;

ધ્યાન પોતાનું સૌને ધરાવ્યું, ભલી ભાતથી ભજન કરાવ્યું. ૫

કર જોરથી તાળી વજાડી, નારાયણધુનિ સૌએ ઉપાડી;

એવામાં તો ઈશાનમાં ભ્રાત્ર,1 ચડી વાદળી ગોપદમાત્ર.2

દીઠી સૌએ પ્રથમ છેક છોટી, પણ ચડતી થતી આવિ મોટી;

આખો એથી છવાયો આકાશ, ચમકે વીજળી ચારે પાસ. ૭

ઘણી ગર્જના થૈ ઘન કેરી, પછી થૈ તહાં વૃષ્ટિ ઘણેરી;

નિરખી હરખ્યાં નરનાર, કહ્યો કૃષ્ણનો જય જયકાર. ૮

પોઢ્યા ઓરડામાં પ્રભુ રાતે, જીવો ભક્ત સેવે ભલી ભાતે;

ઇન્દ્રને હરિએ ધમકાવ્યો, નોતું વરસવું ને વરસાવ્યો. ૯

તેથી ક્રોધ ચડ્યો ઘણો તેને, જાણે બોળી મારું આજ એને;

જેમ વ્રજ પર રીસ ચડાવી, ઇન્દ્રે વૃષ્ટિ કરી અતિ આવી. ૧૦

થાય આકાશ માંહી કડાકા, ભારે તોપના જેવા ભડાકા;

થાય વીજળીના ચમકારા, જાણે વરસતા હોય અંગારા. ૧૧

પ્રલેકાળ ભયંકર ભાસે, તેથી માણસનાં મન ત્રાસે;

વરસે મેઘ મુશળધાર, જાણે આવ્યા ચડી મેઘ બાર. ૧૨

નીર નેવમાં તો ન સમાય, આખા ઘરમાં પાણી પાણી થાય;

પાડોસે ઘર પડવાને લાગ્યાં, કળાહોળ થઈ જન જાગ્યાં. ૧૩

જીવા ખાચરનું ઘર જેહ, પડવા માંડ્યું તે સમે તેહ;

કહે શ્રીજી કહ્યું હતું તમને, તમે તેડી જાશો નહીં અમને. ૧૪

તોય માની નહીં તમે વાત, જુઓ કેવો થયો ઉતપાત;

હવે આ ઘર તો નકી પડશે, ત્યારે માગ જવાનો ન જડશે. ૧૫

કહે ભક્ત સુણો હરિ તમે, નવી ડેલી ચણાવી છે અમે;

માટે તેને મેડે તમે ચાલો, સુણી ત્યાં ગયા ધર્મનો લાલો. ૧૬

ત્યારે ઘર તો બધું પડી ગયું, ડેલીમાં પણ રસબસ થયું;

પ્રેમી જનનો પરખવાને પ્રેમ, એવે ટાણે બોલ્યા હરિ એમ. ૧૭

ક્ષુધા તો લાગી છે બહુ અમને, કહું વાત ખરેખરી તમને;

વર્ણિ પાસે રસોઈ કરાવો, અમને જમવા પીરસાવો. ૧૮

એવું સાંભળીને નરનારી, ઘણી અંતરે ધીરજ ધારી;

જોયા ચૂલા તો પલળી ગયેલ, રસબસ છાણાં કાષ્ટ થયેલ. ૧૯

કોઠી ભાંગી નવા ચૂલા કર્યા, ભાંગી ખાટલો છોડીયાં કર્યાં;

વર્ણિ પાસે રસોઈ કરાવી, સ્નેહે શ્રીહરિને તે ધરાવી. ૨૦

ભક્તનો એવો ભાવ નીહાળી, રુદયામાં રીઝ્યા વનમાળી;

ડેલીનો મેડો પડવાને લાગ્યો, ત્યારે જનમનમાં ભય જાગ્યો. ૨૧

જીવો ખાચર ત્યારે કહે છે, દેવો ખાચર પાસે રહે છે;

તેણે ઘર તો કરાવ્યું છે નવું, માટે હમણાં તમારે ત્યાં જવું. ૨૨

ત્યારે શ્રીહરિ તતપર થયા, દેવા ખાચરને ઘેર ગયા;

જીવા ખાચરની પડી ડેલી, તોય ધીરજ તેણે ન મેલી. ૨૩

તેને જ્યાન3 ઘણું થવા લાગ્યું, પ્રભુ પાસે ન રક્ષણ માગ્યું;

પ્રેમભક્તિ જેને પ્રિય લાગે, તે તો માયિક સુખ ન માગે. ૨૪

વિત્યો દિવસ પડી ગઈ રાત, એવામાં તો બની એક વાત;

વૃષ્ટિયે તો ન લિધો વિરામ, પડે ઘર પલળી ઠામઠામ. ૨૫

લખો દેવો પાટીદાર ભાઈ, હરિભક્ત ભલા ગામમાંઈ;

તેનું ઘર તો પડ્યું મધ્ય રાતે, દબાયાં તેમાં ઢોર હતાં તે. ૨૬

તથા માણસો ઘરનાં દબાયાં, છૈયાં છોકરાં પણ ન રખાયાં;

બુમો પાડી બહુને બોલાવ્યાં, પણ માણસ કોઈ ન આવ્યાં. ૨૭

વરસાદની ગર્જના થાય, સાદ કોઈનો નહિ સંભળાય;

નહીં કોઈને જીવ્યાની આશ, રાખે પરનો ત્યાં કોણ તપાસ. ૨૮

પ્રભુની ત્યારે પ્રાર્થના કરી, કરો આવી સહાયતા હરી;

ઊંચો મોભ રહ્યો એક ટકી, પડી જાશે એ તે તહાં થકી. ૨૯

ઘરનાં જન સૌ મરી જાશે, બીજું પણ બહુ નુકશાન થાશે;

તમે કૈક છોડાવીયાં દુઃખથી, છોડાવ્યા ગજ ગ્રાહના મુખથી. ૩૦

તમે પક્ષીનાં બચ્ચાં બચાવ્યાં, ગજઘંટની હેઠે રખાવ્યાં;

લાખાગૃહમાં પુરી સળગાવ્યા, તમે પાંડવોને ત્યાં બચાવ્યા. ૩૧

બુડતાં હરિભક્તનાં વહાણ, તમે તાર્યાં તે શ્યામ સુજાણ;

નાવ બોળત મહાનદી નીર, તમે ઉગારિયા રઘુવીર. ૩૨

તમે દ્રૌપદીની રાખી લાજ, એવાં એવાં કર્યાં ઘણાં કાજ;

દીનબંધુ દયા દીલ ધરો, આજ મારી સહાયતા કરો. ૩૩

કોપ્યો વ્રજ પર દેવનો નાથ,4 તમે ધાર્યો ગોવર્ધન હાથ;

એવી રીતે પધારીને આજ, મારી રક્ષા કરો મહારાજ. ૩૪

આવે વહારે આવું દુઃખ જોઈ, તમ વગર નથી એવું કોઈ;

માટે આ સમે આવવું પડશે, નહીં આવો તો અપજશ ચડશે. ૩૫

એવી સાંભળ્યો એનો ઉચ્ચાર, ધાયા5 ઉઠીને ધર્મકુમાર;

ખભા ઉપર મોભને ધાર્યા, ભક્તને એવી રીતે ઉગાર્યો. ૩૬

વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, વરસીને થાક્યો વરસાદ;

આસપાસનાં માણસ આવ્યાં, પશુને તથા જનને કઢાવ્યાં. ૩૭

ત્યાં સુધી મોભ ખભે જ ધરી, એક ઠામ6 ઉભા રહ્યા હરી;

જન દેખે નહીં કોઈ જેમ, જઈને સુતા ઉતારામાં તેમ. ૩૮

જને જોયું પ્રભાતમાં જ્યારે, દીઠો કાપો ખભા પર ત્યારે;

કરી વિનતિ પુછી લીધી વાત, શ્રીમુખે બધિ કહી સાક્ષાત. ૩૯

નાયી નિત્યક્રિયા કરી નાથે, પછી વાત કરી સંત સાથે;

આજ ઇચ્છા છે એવી અમારી, ભીક્ષા લેવા જવું ઝોળી ધારી. ૪૦

ઘેર ઘેર ફરું થઈ એવો, જોવું વસ્તીનો ભાવ છે કેવો;

કહે સંત રહો આંહિ તમે, ઝોળિ માગીને લાવશું અમે. ૪૧

ઘણો કાદવ કચરો છે વાટે, માનો વિનતી હરી એહ માટે;

વાત માની નહિ કાંઈ નાથે, ઝોળી ઝાલી પોતાને જ હાથે. ૪૨

જીવો ખાચર બોલિયા વાણી, સ્નેહે સાંભળો સારંગપાણી;

હું તો આવીશ આપની સાથે, ઝોળી હેતથી ઝાલીશ હાથે. ૪૩

તોય ઝોળી તેને નહિ આલી, ચાલ્યા માગવા શ્રીવનમાળી;

પુરમાં દિશા દક્ષિણમાંય, બોઘા શેઠનું ઘર છે જ્યાંય. ૪૪

જૈને ઉચ્ચરિયા જગવંદ, નારાયણ હરે સચ્ચિદાનંદ;

શેઠના ઘર માંહિ ધરેલા, હતા મેથીના લાડુ કરેલા. ૪૫

દીનબંધુને તે લાડ દીધા, જગજીવને ઝોળીમાં લીધા;

ગયા ત્યાંથી પાછા પરવરી, હીરા શેઠ તણે ઘેર હરી. ૪૬

નારાયણ હરે કીધો ઉચ્ચાર, આપી ત્યાં અતિ સુખડી સાર;

ઘનશ્યામ ફર્યા ઘણે ઘેર, પકવાન લાવ્યા રુડી પેર. ૪૭

પ્રભુ ચાલીને ચોરામાં આવ્યા, સર્વ સંતને જમવા બોલાવ્યા;

દહીં દુધનાં દોણાં ભરેલાં, જીવે ખાચરે લાવીને મેલ્યાં. ૪૮

બીજા હરિજન પણ એવું જોઈ, લાવ્યા રોટલા રોટલી કોઈ;

થઈ પંગત ચોરા મોઝાર, પ્રીતે પીરસ્યું પ્રાણઆધાર. ૪૯

સાધુ પાર્ષદ સૌને જમાડ્યા, શ્યામે સૌને સંતોષ પમાડ્યા;

બ્રહ્મચારિએ કીધેલો થાળ, પછી તે જમ્યા જનપ્રતિપાળ. ૫૦

વળી સાંજ સમો થયો જ્યારે, સભા શ્રીજીએ ત્યાં ભરી ત્યારે;

જોઈ ગામના ભાવિક જન, થયા શ્રીહરિ પૂર્ણ પ્રસન્ન. ૫૧

આખું ગામ પવિત્ર છે જાણી, જીવા ખાચરને કહી વાણી;

ગામ ઉપર હું છું પ્રસન્ન, માટે માગો તે આપું વચન. ૫૨

જીવે ખાચરે માગીયું ત્યાંય, જમ આવે નહીં ગામમાંય;

રાજી જો થયા છો ભગવાન, આપો એટલું એ વરદાન. ૫૩

એમ માગ્યું ત્યારે કહ્યું માવે, ગામમાં કદિ જમ નહિ આવે;

વસ્તો ખાચર બોલિયા વેણ, દીનબંધુ સુણો સુખદેણ. ૫૪

ગામના જન સીમમાં જાય, ત્યારે ત્યાં તેની શી ગતિ થાય;

માટે એવો આપો વર બેશ,7 સીમમાં જમ ન કરે પ્રવેશ. ૫૫

પછી એવું કહ્યું પરમેશે, સીમમાં પણ જમ નહિ પેસે;

સુણી રાજી થયાં જન સહુ, બહુનામીને પદ નમ્યા બહુ. ૫૬

એવામાં એક થૈ બીજી વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

ગામ છાસરિયાના નિવાસી, આવ્યા અમરો ભગત ત્યાં હુલાસી. ૫૭

મોટાં ચીભડાં બે શુભ લાવી, કર્યાં ભેટ તે શીશ નમાવી;

જોઈ શ્રીજીએ તેને વખાણ્યાં, કહ્યું આવાં મોટાં ક્યાંથી આણ્યાં? ૫૮

ભક્ત અમરે ત્યાં ભેદ સુણાવ્યો, મારા વાઢમાંથી જ હું લાવ્યો;

પછી વર્ણિએ તેને સુધારી, માંહિ સાકર ભેળવી સારી. ૫૯

જમ્યા શ્રીપ્રભુ પરમ પ્રતાપી, પછી સૌને પ્રસાદી તે આપી;

અહો ભાગ્ય અહો ભાગ્ય એનાં, જમ્યા શ્રીહરિ ચીભડાં જેનાં. ૬૦

કોટી જશે પ્રસન્ન ન થાય, રીઝ્યા તે પ્રભુ ચીભડામાંય;

એવા ભક્તવત્સલ ભગવાન, માને અલ્પને મેરુ સમાન. ૬૧

વળી લીલા કહું એક અન્ય, ધરણીશ તમે શ્રોતા ધન્ય;

એક દિવસ પ્રભુ શુભ પેર, હતા રાઠોડ ધાધલ ઘેર. ૬૨

રાણદેબાઈ ત્યાં ધાધલાણી, થાક્યાં દીઠાં તે વલોણું તાણી;

સાથે શ્રીજી વલોવવા રહ્યા, દેખી દેવતા વિસ્મિત થયા. ૬૩

પછી માખણ ઉતાર્યું જ્યારે, થોડું વાટકીમાં લઈ ત્યારે;

માંહિ સાકર ભેળવી સારી, કહ્યું લ્યો જમો દેવ મુરારી. ૬૪

આપના શ્રમનો ભાગ એહ, એમ જાણી જમો પ્રભુ તેહ;

સર્વેશ સ્વતંત્ર સદાય, જમ્યા માખણ તે સુણ રાય. ૬૫

વળી બીજાં ચરિત્રની વાત, કહું સાંભળો થૈ રળિયાત;

જીવા ખાચરનો દરબાર, એક દિવસ સભા ભરી સાર. ૬૬

બેઠા સંતમાં શ્રીમહારાજ, ગાય કીર્તન સંતસમાજ;

એક આવ્યો દિગંબર જોગી, નહિ વસ્ત્ર ને ભસ્મનો ભોગી. ૬૭

જટા મોટી દિસે તેને માથે, પગે પાવડી કંકણ હાથે;

રહ્યો ઉભો સભાથી બહાર, દૃષ્ટિ કૃષ્ણપદે એકતાર. ૬૮

જોઈ નગ્નરૂપે તે જોગીશ, સુરા ખાચરને ચડી રીષ;

ત્યારે તેનું કરી અપમાન, દીધી ગાળ સુણી સૌએ કાન. ૬૯

કહ્યું આ જો ગધેડીનો બાવો, ફરે વસ્ત્ર વિના નગ્ન આવો;

બાવાને કાંઈ ક્રોધ ન થયો, એ તો સાંભળીને ચાલ્યો ગયો. ૭૦

પછી બોલ્યા પ્રભુ સાક્ષાત, જુઓ કેવી છે કાઠીની જાત;

પુંછડાએ સહીત ગધાડી, રહે મોંઢામાં તે તો દહાડી. ૭૧

ગધેડીનો કેવા શીખે જ્યારે, ભણી ઉતર્યો કાઠી તે વારે;

નિંદા કે જો વખાણ કરે છે, ગધેડીનું તો તેને કહે છે. ૭૨

કહે જ્યારે વખાણીને શુદ્ધ, શું છે મીઠું ગધેડીનું દૂધ;

તમે આશ્રય લ્યો છો અમારો, માટે બોલી તમારી સુધારો. ૭૩

જોગી આવી છેટે ઉભો રહ્યો, તેને કેમ ગધેડીનો કહ્યો;

પછી પુછવા લાગ્યો સમાજ, કહો કોણ હતા જોગીરાજ. ૭૪

સુણી બોલિયા શ્રીમહારાજ, આવ્યા શંકર દર્શન કાજ;

તેણે જાણ્યા વિના ગાળ દીધી, મહામોટી તે તો ભૂલ કીધી. ૭૫

સુરો ભક્ત સુણી શરમાયા, જોવા જોગીની પાછળ ધાયા;

પણ જોગી જડ્યા નહિ ક્યાંઈ, આવ્યા શ્રીજી કને સભામાંઈ. ૭૬

વારે વારે પ્રભુપદ લાગી, ભૂલ્યો ભૂલ્યો કહી માફી માગી;

કહે કૃષ્ણ મારું કહ્યું કરજો, આજ કેડે વિચારી ઉચરજો. ૭૭

ઉપજાતિ (ગાળ દીધા વિષે)

જો કોઈને ગાળ કદાપિ દે છે, દેનાર તે તો હલકો દિસે છે;

સાંખી રહે તે જ મનુષ્ય સારું, દેનારનું મોઢું દિસે નઠારું. ૭૮

પીંજારિ8 ગાળે લડવા જ ધાય, રાણી સુણીને શરમાઈ જાય;

જો સામી ગાળો ઉચરે જ રાણી, રાણી નહીં તેહ પીંજારિ જાણી. ૭૯

ગાળો દીધાની પડી ટેવ જેને, રહે નહીં કાંઈ વિચાર તેને;

સાળો કહે છે સુતને દહાડી, માને કહે છે મુખથી ગધાડી. ૮૦

જે આપ મોઢે અપશબ્દ બોલે, તો તેની વાણી ખરવાણી9 તોલે;

ભલે કદી માણસ હોય મોટો, તથાપિ તે તો ખરનાથી ખોટો. ૮૧

જે આબરુદાર જણાય સારો, કરે ન કોઈ જનને ટુંકારો;

જે ઢેઢ ને વાઘરી જેવી જાત, તે તો ટુંકારાથિ કરે જ વાત. ૮

રસ્તા વચે ગર્દભ જોઈ જ્યારે, ખસો તમે એમ કહ્યું કુમારે;

કહો દીધું માન જ કોણ કાજે, જાણ્યું ટુંકારે મુજ જીભ લાજે. ૮૩

વદે નહીં કોકિલ કાગવાણી, ન મોર મોઢે ખરવાણી જાણી;

તો વિશ્વમાં જે જન હોય સારો, તે શી રિતે શબ્દ કહે નઠારો. ૮૪

જે મૂખને પાન ભલાં જ ભાવે, તે કોયલા10 કેમ કદાપિ ચાવે;

જે કૃષ્ણનું નામ જપે ત્રિકાળ, તે મુખે બોલે કદિ કેમ ગાળ. ૮૫

દોહા

સુણિ સુરો ખાચર કહે, હે પ્રભુ પુછું પ્રશ્ન;

ઉત્તર આપો એહનો, કૃપા કરી હરિકૃષ્ણ. ૮૬

પ્રશ્ન

ખાખી સંન્યાસી તથા, સંત જગતના જેહ;

દે ગાળો તાતી11 અતી, કહિયે કેવા તેહ. ૮૭

ઉત્તર: નૌકાપબંધ

દે ગાળો અતિ તાતિ તો, તે અસંત સુણ ભ્રાત;

જોતાં તેની જાતિ તો, તે દીતિતનુજાત.12 ૮૮

એવાને અળગા તજો, તે સમ તજો સ્વભાવ;

સદા વિકટ સં સમે, ઈશ્વર કરે બચાવ. ૮૯

नौकाप्रबंध

Image

પ્રગટે બુદ્ધિ પાંશરી,13 જો ઈશ્વર અનુકૂળ;

અવળિ બુદ્ધિ ઉપજે, પ્રભુ જેને પ્રતિકૂળ. ૯૦

પંદર હતા અસંત જન, પંદર સંત સુજાણ;

નવ નવ ગણિ પંદર તજ્યા, ત્યારે વહ્યું વહાણ. ૯૧

રહ્યા અસંત તવર્ણ14 જ્યાં, અન્યાક્ષરથળ15 સંત;

સુબુદ્ધિ આપે એ રિતે, સ્વભક્તને ભગવંત. ૯૨

પુષ્પિતાગ્રાવૃત્ત

અતિ શુભ ઉપદેશ એમ દૈને, પરમ પ્રસન્ન મહાપ્રભુજિ થૈને;

સુવચન સહુને વળી સુણાવ્યાં, નિયમ ન ગાળ દીધા તણાં ધરાવ્યાં. ૯૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિસારંગપુર-લીલાકરણનામ ચતુર્વિંશતિતમાં વિશ્રામઃ ॥૨૪॥

×

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે