કળશ ૭

વિશ્રામ ૫૫

પૂર્વછાયો

મુક્તાનંદ મુનિ ઉચર્યા, એક સમે કુંવરની પાસ;

શ્રીજી ચડે અસવારિએ, એવાં દર્શનની મને આશ. ૧

ચોપાઈ

સ્વારી સારી સજાવીતી તમે, ન કર્યાં દર્શન પણ અમે;

ફરીથી જો કરો એ જ રીતે, પ્રભુ નિરખિએ પ્રેમ સહિતે. ૨

પછી કુંવરે સજી અસવારી, આવી શ્રીજીને અરજ ઉચારી;

બેસો અંબાડીમાં મહારાજ, ફરિએ વળિ પુર માંહિ આજ. ૩

નોતા હાજર તે દિન જેહ, ઇચ્છે દર્શન કરવાને તેહ;

એવું સાંભળી દીનદયાળ, ધર્યો મુગટ ધર્યો સુરવાળ. ૪

જામો જરિયાનનો ધર્યો નાથે, કડાં વેઢ વીંટી ધરી હાથે;

ધર્યાં શોભિતા શુભ શણગાર, થયા હસ્તી ઉપર અસવાર. ૫

બેઠા કુંવર ચમર લઈ પાસ, બેય બાજુ ઉભા રહ્યા દાસ;

એકે છત્ર ને એકે રુમાલ, કર માંહિ ધર્યાં તેહ કાળ. ૬

જેવી પ્રથમ સજી હતી સ્વારી, શોભે એ થકી પણ અતિ સારી;

શેરી શેરીએ શેહેરમાં ફરિયા, પાછા આવી ઉતારે ઉતરિયા. ૭

કર્યાં દર્શન લોક અનંતે, કર્યાં દર્શન હરિજન સંતે;

કર્યાં દર્શન ગઢપુરવાસી, છબિ હૈયામાં ધારી હુલાસી. ૮

સભા સાંઝે સજી ઘનશ્યામે, આવ્યા રાજકુંવર એહ ઠામે;

લાવ્યા નિજના ગવૈયાને સંગે, તેઓ ગાવાને લાગ્યા ઉમંગે. ૯

ધ્રુવપદનું કર્યું એક ગાન, ઉરમાં ધરીને અભિમાન;

દેવાનંદ હતા ગાન અભ્યાસી, એને એમ કહ્યું અવિનાશી. ૧૦

કરી એક આલાપ પસારી,1 અમે જોઈએ બુદ્ધિ તમારી;

સુણી તેણે સરોદો મંગાવ્યો, તતબીરથી2 તાર ચડાવ્યો. ૧૧

એક આલાપી રાગણી સારી, નૃપના ગવૈયા રહ્યા હારી;

માયા તોસેં લગી કેસે છૂટે, જેસે હીરો ફોર્યો નવ ફુટે. ૧૨

એહ પદ અતિ ઉત્તમ ગાયું, શોભ્યું શારદાથી તે સવાયું;

ગવૈયા કહે સાંભળો તમે, નભી શકિએ નભાવો તો અમે. ૧૩

દેવાનંદનું સાંભળી ગાન, ગવૈયાએ મુક્યું અભિમાન;

ગાને રાજી થયા ગિરધારી, નિજ તનથી ડગલી ઉતારી. ૧૪

હતી તે કિનખાબની ભારે, કરી સુરતના કરનારે;

મુખે બોલિયા શ્રીમહારાજ, આપું આ દેવાનંદને આજ. ૧૫

પણ ત્યાગીએ તે ન રખાય, કોઈ ચોર જનો ચોરી જાય;

પછી ફેરવી તેહને શીશ, ગવૈયાને કરી બનશીશ. ૧૬

પછી સભા વિસર્જન થઈ, જમ્યા શ્રીકૃષ્ણ ઉતારે જઈ;

રોટલો બાજરીનો ને દહીં, સ્નેહે શ્યામ આરોગિયા સહી. ૧૭

પછી પોઢ્યા પવિત્ર પલંગે, સારી શાલજોટો ઓઢિ અંગે;

વળી એક દિવસ તણી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત. ૧૮

બાઈ કુશળકુંવરનો ભાઈ, રહેતો હતો તે પુરમાંઈ;

તેણે પધરામણી શુભ પેર, કરી નાથ તેડ્યા નિજ ઘેર. ૧૯

કરી પૂજા ષોડશ ઉપચારે, વસ્ત્ર પેરાવિયાં ભારે ભારે;

માથે સુંદર મુગટ ધરાવ્યો, રુપૈયા ભરી થાળ મગાવ્યો. ૨૦

પ્રભુ આગળ તે ભેટ ધરી, ધૂપ દીપ ને આરતી કરી;

પૂજી સંતને વસ્ત્ર ઓઢાડ્યાં, પ્રભુને નમી પાપ મટાડ્યાં. ૨૧

વળી એક સમે મહારાજ, નદીએ ગયા મજ્જન કાજ;

નાહ્યા ત્યાં હતી ટાઢ અત્યંત, તાપ્યા તાપે હરિ સહુ સંત. ૨૨

કરી દૃષ્ટિ સામા તટ પાર, દીઠી અદ્‌ભુત ઝાડી તે ઠાર;

સંતને વસવા યોગ્ય વન, આ છે એમ બોલ્યા ભગવન. ૨૩

કંદ મૂળ ને ફળનો આહાર, મળે આ વન માંહિ અપાર;

કહે સંત મળ્યા અવિનાશ, હવે કોણ વસે વનવાસ. ૨૪

એવી રીતે વિનોદ કરીને, ગયા ઉતારે નાથ ફરીને;

વાંસદાના રાજા ગુણધામ, રાયસિંહજી જેહનું નામ. ૨૫

સુણ્યો તેણે શ્રીજીનો પ્રતાપ, આવ્યા તેડવાને નૃપ આપ;

કહ્યું કુશળકુંવરબાઈ પાસ, મારે ગામ આવે અવિનાશ. ૨૬

એવી અરજ પ્રભુને ઉચ્ચારો, તો હું માનીશ પાડ તમારો;

પછી બાઇએ વિનતિ ઉચ્ચારી, જાઓ વાંસદે દેવ મુરારી. ૨૭

રાજા આવ્યા છે તેડવા કાજ, એના પૂરો મનોરથ આજ;

નૃપને કહ્યું નાથે તે સમે, જાઓ ત્યાં તમે આવશું અમે. ૨૮

રાયસિંહજી વાંસદે ગયા, બિજે દિન હરિ તૈયાર થયા;

સાથે લૈ સહુ સંત સમાજ, વાંસદે ગયા શ્રીમહારાજ. ૨૯

ત્યારે ભૂપ તથા કારભારી, સામા આવ્યા સજી અસવારી;

સનમાનથી શહેરમાં લાવ્યા, દરબાર વિષે પધરાવ્યા. ૩૦

પ્રભુજીને બેસાર્યા પલંગે, કર્યું અર્ચન અધિક ઉમંગે;

અલંકાર અનૂપ ધરાવ્યા, સોના રૂપાને પુષ્પે વધાવ્યા. ૩૧

કર્યો વર્ણી મુકુંદે ત્યાં થાળ, જમ્યા જીવન જન પ્રતિપાળ;

કરાવ્યા રાયે પાક રસાળા, જમ્યા સંત તથા જમ્યા પાળા. ૩૨

બીજે દિવસે સભા સજી સારી, તેમાં અદભુત વાતો ઉચ્ચારી;

જણાવ્યું પુરુષોત્તમપણું, સૌને અચરજ ઉપજ્યું ઘણું. ૩૩

થોડા દિવસ વસી તહાં વાસ, જવા માગી રજા અવિનાશ;

ભૂપને કહે શ્રીભગવાન, કાંઈ માગો તમે વરદાન. ૩૪

સુણી બોલિયા રાય સુજાણ, પ્રભુ કરજો અમારું કલ્યાણ;

પદની છાપ પૂજવા કાજ, પાડી આપો મને મહારાજ. ૩૫

એ જ માગું છું હું વરદાન, અન્ય ઇચ્છા નથી ભગવાન;

કહે કૃષ્ણ વચન સુણો મારું, નકી થાશે કલ્યાણ તમારું. ૩૬

એમ કહી નિજ ચરણની છાપ, પાડી આપી પ્રભુજીએ આપ;

રુદે રાજી થયા તેથી રાય, તેના હૈયામાં હરખ ન માય. ૩૭

એમ આનંદ સૌને વધાર્યા, ધર્મપુર ધર્મપુત્ર પધાર્યા;

માઘી પંચમીનો દિન આવ્યો, તેનો ઉત્સવ ત્યાં જ ઠરાવ્યો. ૩૮

બાઈ કુશળકુંવરે વિચારી, તેડાવ્યાં સગાં સ્નેહી સંભારી;

મહારાજનાં દર્શન કરવા, વળી ભવજળ પાર ઉતરવા. ૩૯

બહુ આવ્યાં તહાં નરનારી, સમૈયાની શોભા થઈ સારી;

ભાત ભાતનો રંગ રચાવ્યો, મણ ઝાઝા ગુલાલ મગાવ્યો. ૪૦

કર્યો પંચમીને દિને ખેલ, થઈ રંગની રેલમછેલ;

પછી સારી સજી અસવારી, નદીએ ગયા નાવા મુરારી. ૪૧

જમ્યા આવીને જીવન થાળ, જમ્યા સંત રસોઈ રસાળ;

ધર્મપુરમાં રહી ધર્મજાત,3 એવી લીલા કરી ભલી ભાત. ૪૨

પુષ્પિતાગ્રાવૃત્ત

કૃત સુખકર સચ્ચરિત્ર ભારે, ધરમપુરે રહિ ધર્મના કુમારે;

નિજ જન હિતકારિ નાથ એહ, અમ પર નિત્ય થજો પ્રસન્ન તેહ. ૪૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિધર્મપુર વસંતોત્સવવર્ણનનામ પંચપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે