વિશ્રામ ૩૩
પૂર્વછાયો
શ્રીહરિ સૂરતમાં જવા, થયા માણકિયે અસવાર;
હરિજન હરખ્યા નિરખિને, સહુ ઉચ્ચરે જયજયકાર. ૧
ચોપાઈ
હતા સદ્ગુરુ સંત જે ત્યાંય, બેઠા મેના ને પાલખિમાંય;
બેય ભાઈ તણા પુત્ર હતા, તાવદાનોમાં તેહ શોભતા. ૨
રથ માંહિ બેઠા કોઈ સંત, પગપાળા તો ચાલે અનંત;
ચાલ્યા સૌથિ આગળ વાજાંવાળા, પછિ પલટણના સહુ પાળા. ૩
રસાલાના પછી અસવાર, પછિ શોભે ઘણા સરદાર;
પછિ હરિજન કીર્તન ગાવે, ઘણા તાલ મૃદંગ બજાવે. ૪
પછી સંતનાં મંડળ ચાલે, માળા હાથમાં કોઇ તો ઝાલે;
ગાય ઝીલણિયાં કીરતન, તેથી ગાજિ રહ્યું છે ભુવન. ૫
પછિ ધર્મ તણો પરિવાર, પછિ પાળા ધરી હથિયાર;
છડિદાર ઉંચે સ્વર બોલે, સુણતાં જનનાં શિર ડોલે. ૬
શોભે ઘોડિ ઉપર ગિરધારી, કરે અમર ત્યાં બે બ્રહ્મચારી;
મેઘાડંબર છત્ર છે શીશ, દિવ્યમૂર્તિ દિસે જગદીશ. ૭
આવિ ભાગોળ સૂરત તણી, કહે જેને કતારનિ1 ભણી;
પેઠિ ત્યાં થઈને અસવારી, રાજમારગમાં તે પધારી. ૮
ઘણાં માણસ દર્શને મળ્યાં, ઠામઠામ તે તો ટોળે વળ્યાં;
સાત માળનિ મેડિયો શોભે, જોતાં દેવ તણાં દિલ લોભે. ૯
શોભે સરસ અગાશિ અટારી, કરે દર્શન ત્યાં ચડિ નારી;
કોઇ દર્શન પ્રેમે કરે છે, કોઇ માવનાં મીઠડાં લે છે. ૧૦
ઉભા થૈ સહુ દુકાનદાર, કરે નાથજિને નમસ્કાર;
કોઈ હેતથિ હાર ચડાવે, કોઈ પાગમાં તોરા ધરાવે. ૧૧
બહુ મારગે પુષ્પ વેરાય, જાણે પુષ્પોનો વરસાદ થાય;
મુખ્ય મારગે એ રિતે થૈને, ઘણા લોકને દર્શન દૈને. ૧૨
વાડિ લાલકર્શન તણિ સારી, આવિ ત્યાં હરિની અસવારી;
કર્યો ત્યાં શ્રીહરિએ ઉતારો, જોતાં સર્વને લાગ્યો તે સારો. ૧૩
તહાં સારાં બિછાનાં કરેલ, ગાલિચા ગાદિ તકિયા ધરેલ;
બિરાજ્યા તહાં શ્રી ભગવંત, બેઠા સતસંગિ ને બેઠા સંત. ૧૪
સૌના નેણમાં નેહ ન માય, ઉર આનંદ તો ઉભરાય;
અરદેસર કહે શિર નામી, આપ આવ્યા ભલે બહુનામી. ૧૫
ઘણા દિવસનિ આશા અમારી, આજ સુફળ થઈ ગિરધારી;
એમ બોલે થઈને અધીર, ખરે નેહનાં નેણથિ નીર. ૧૬
તેનો પ્રેમ જોઈ એહ ઠામે, મોટા મુનિવર અચરજ પામે;
પ્રેમ એવો તો અદ્ભૂત લાગે, રમા રાધા એવો પ્રેમ માગે. ૧૭
પ્રભુને પ્રણમી રુડિ પેર, સરદાર ગયા સહૂ ઘેર;
રાત્રીએ હરિજન સહુ આવી, દિન પ્રત્યે રસોઈ લખાવી. ૧૮
ત્યારે શ્રીજિએ સંતને કહ્યું, આંહિના જન પ્રેમિ છે બહુ;
નિજ શક્તિ વિચારે ન કોઈ, ઘણું ખર્ચિને દેશે રસોઈ. ૧૯
તેની શક્તિ તપાસીને લેજો, ઝાઝું લાવે તેને પાછું દેજો;
બિજો રાખજો એહ વિચાર, રહેશું દિન આઠ આ ઠાર. ૨૦
આપે ઝાઝા મળી દિન એકે, એવો કરજો ઠરાવ વિવેકે;
પછિ શ્રીજિની આજ્ઞા પ્રમાણે, આનંદાનંદે કીધું એ ટાણે. ૨૧
રાત વીતિ ને પ્રગટ્યું પ્રભાત, તિથિ તો થઈ નવમિ વિખ્યાત;
ભાણાભાઈ સુભક્ત સુતાર, કરિ લાવ્યા હિંડોળો તૈયાર. ૨૨
સામા બંગલામાં ઉભો કર્યો, પ્રભુને ઝુલવા જોગ ઠર્યો;
હરિને તહાં હેતે ઝુલાવ્યા, સર્વ સત્સંગિ દર્શને આવ્યા. ૨૩
બહુ તાલ મૃદંગ બજાવે, પુરના જન દર્શને આવે;
તેજોમય મુરતી ભલિ ભાસે, જોતાં જનમન જ્ઞાન પ્રકાશે. ૨૪
થઇ ત્યાં તો રસોઈ તૈયાર, જમ્યા કોટિ ભુવન કરતાર;
જમ્યા સંત ને પાર્ષદ સહુ, જમ્યા શ્રીહરિના સખા બહુ. ૨૫
સાંઝે સાંઝે સભા તો ભરાય, પ્રશ્ન ઉત્તર બહુવિધિ થાય;
થઇ દશમી ને મંગળવાર, આવ્યા ગાંધર્વ ત્યાં રહેનાર. ૨૬
બહુ સારિ રિતે કર્યું ગાન, સુણિ રાજિ થયા ભગવાન;
તેને સીધાં ને દક્ષિણા આપી, જાણ્યા શ્રીજિને પરમ પ્રતાપી. ૨૭
શહેર પાસે કતાર છે ગામ, તહાં વિપ્ર વલભભાઇ નામ;
તેણે ત્યાં પધરામણિ કરી, હેત દેખિને જૈ આવ્યા હરિ. ૨૮
પછી એકાદશી આવિ જ્યારે, સભા શાસ્ત્રીયોની કરિ ત્યારે;
શાસ્ત્રી જે ભટ આણંદ નામ, એહ આદિક આવ્યા તમામ. ૨૯
સામા શ્રીજિના શાસ્ત્રીયો જેહ, બેઠા જે જે કહ્યું હવે તહ;
આતમાનંદ ભગવદાનંદ, કપિલેશ્વરાનંદ સ્વછંદ. ૩૦
જોગાનંદ શિવાનંદ સાથ, શોભારામ તથા રઘુનાથ;
કોઈ તો શબ્દશાસ્ત્ર ભણેલા, કોઈ તો ન્યાયશાસ્ત્રિ બનેલા. ૩૧
કોઇ વિપ્ર વેદાંતના વાદી, પૂરાં કોઇ જાણે પુરાણાદી;
પ્રશ્ન વિવિધ પ્રકારના પૂછે, અન્યોઅન્યને જીતવા ઇચ્છે. ૩૨
તેમાં મોટો વાંધો પડે જ્યારે, હરે શ્રીહરિ સંશય ત્યારે;
પૂછે કોઇ પ્રભુજિને એમ, થયા છો પરમેશ્વર કેમ? ૩૩
એનો ઉત્તર શ્રીહરિ આપે, સૌના મન તણો સંશય કાપે;
એમ ચરચા ચાલી ઘણિવાર, કર્યો શ્રીજિયે જયજયકાર. ૩૪
પછિ દક્ષિણા વિપ્રોને આપી, સર્વ સંભારે છે તે અદ્યાપી;
દ્વાદશી દિન પારણા કરી, જ્યારે બેઠા હરિ સભા ભરી. ૩૫
એવા માંહિ વિશેષ વાકેબ,2 વિવેકી જે નવાબ સાહેબ;
નામ તો અફજુલદિન ખાન, આતમારામ તેના દિવાન. ૩૬
તેનિ આગળ વાત ઉચ્ચારી, તમે જાઓ સજીને સવારી;
જેનું સ્વામિનારાયણ નામ, જૈને તેને કરીને પ્રણામ. ૩૭
અમારી વતિ વિનતી સુણાવો, એહ વાડિ વિષે તેડિ લાવો;
એવી આજ્ઞા સુણી શિર ધારી, સજિ સારિ દિવાને સવારી. ૩૮
સજિ પાયગા ડંકો નિશાન, સજ્યા હાથિ મેના તાવદાન;3
પરમેશ્વરનિ પાસે આવી, વિનતી કર જોડિ સુણાવી. ૩૯
જે છે સૂરત કેરા નવાબ, જેને છે ઉમદા ઇલકાબ;
ઇચ્છે આપનાં દર્શન આજ, માટે વિચરો તહાં મહારાજ. ૪૦
વિનતી સુણિ વિશ્વઆધાર, થયા માણકિયે અસવાર;
આજ્ઞા બે ભ્રાતપુત્રને થઈ, બેસો હાથિ ઉપર તમે જઈ. ૪૧
હતા સદ્ગુરુ જેહ પધાર્યા, મેના પાલખિ માંહિ બેસાર્યા;
દાદા ખાચર આદિ ઉમંગે, થયા અસ્વાર શ્રીહરિ સંગે. ૪૨
સંત હરિજન કીર્તન ગાય, તેનિ શોભા વરણવી ન જાય;
રુડિ વાડિ નવાબનિ જ્યાંય, પધાર્યા પરમેશ્વર ત્યાંય. ૪૩
મહારાજ તણો કર ઝાલી, સાથે નવાબ મર્યાદે ચાલી;
નિજ દિવાનખાનામાં લાવ્યા, હેમ ખુરશિ ઉપર પધરાવ્યા. ૪૪
પૂજા કરવાને ચોખે સામાને, દિનબંધુને પૂજ્યા દિવાને;
નવાબે પુષ્પતોરા ને હાર, ધરાવ્યા ધરિ પૂરણ પ્યાર. ૪૫
મેવા મીઠાઈના થાળ ભરી, ભેટ શ્રીહરિ આગળ ધરી;
માંગ્યું વરદાન એવું સુજાણ, પ્રભુ કરજો અમારું કલ્યાણ. ૪૬
વાલો વરદાન દૈને સિધાવ્યા, વળાવાને નવાબ તે આવ્યા;
તેને ચાલતા આવતા ભાળ્યા, વાડી બહાર જઈ પાછા વાળ્યા. ૪૭
પીરુશાયે ત્યાં વિનતિ ઉચારી, કરો પાવન વાડિ અમારી;
પછિ વિચર્યા મહાપ્રભુ ત્યાંય, બેઠા ખુરશીયે બંગલામાંય. ૪૮
બેય ભાઇયો અધિક હુલાસે, પ્રણમીને બેઠા પ્રભુ પાસે;
મહેતાજિ તેના અંબારામ, તેણે પૂજ્યા પ્રભુ તેહ ઠામ. ૪૯
અરદેશર ને પિરુશાયે, સ્તુતિ કીધિ ઘણી ઘણિ ત્યાંયે;
અતિ રાજિ થયા ભગવાન, ત્યારે માગિ લિધાં વરદાન. ૫૦
દાદા ખાચરને ગતિ જેવી, અમને પણ આપજો એવી;
ભાળ્યો શ્રીહરિએ પ્રેમ ભારે, તથાઅસ્તુ કહ્યું તેહ વારે. ૫૧
પછિ અસવાર થૈ હરિ ત્યાંય, ઘોડિ ફેરવિ તે બાગમાંય;
શેઠ બેય પ્રત્યે બોલ્યા હરિ, છબિ આ ઉર રાખજો ધરી. ૫૨
આરતી ધુન્ય પણ કરિ ત્યાંય, થયા તે પછિ નાથ વિદાય;
પ્રગટાવિ ઘણીક મશાલો, આવ્યા ઉતારે ધર્મનો લાલો. ૧૩
દ્વાદશી તો એવી રિતે ગઈ, બિજે દિવસ ત્રયોદશિ થઈ;
હવે તે દિન કેરું ચરિત્ર, તમને હું સુણાવિશ મિત્ર. ૫૪
પુષ્પિતાગ્રાવૃત્ત
સુરત શહેરમાં વિરાજિ શ્યામ, કૃત અતિ ચારુ ચરિત્ર પૂર્ણકામ;
કરિ કરિ વિસતાર જો કહીજે, કદિ નહિ પાર કથા તણો લહીજે. ૫૫
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિસૂર્યપુર-વિચરણનામ ત્રયસ્ત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૩॥