કળશ ૮

વિશ્રામ ૩૫

પૂર્વછાયો

સુરત શહેરથિ સંચર્યા, સખા સંત સહિત અવિનાશ;

વળાવા હરિજન આવિયા, દિસે અંતર સૌના ઉદાસ. ૧

ચોપાઈ

જ્યારે નીસર્યા સુરત બહાર, ત્યારે કોઇએ કીધો ઉચ્ચાર;

ઘણા ભક્ત વળાવાને કાજ, હજિ પાછળ છે મહારાજ. ૨

માટે રુસ્તમ બાગ મોઝાર, વૃષપુત્ર વસો થોડિ વાર;

સુણિને શ્રીહરી રાજિ થઈ, બેઠા રુસ્તમબાગમાં જઈ. ૩

બેઠા સંત ને હરિજન બહુ, નીરખે હરિને જન સહુ;

અરદેશરે એવો વિચાર, નિજ ઉરમાં કર્યો એહ વાર. ૪

આપી ભરતને પાદુકા જેમ, મને કાંઇ આપે પ્રભુ તેમ;

તો હું નિત્ય પૂજા તેનિ કરું, નિરખી નિજ અંતરે ધરું. ૫

વાત અંતરજામિયે જાણી, તેથિ દિલમાં દયા ઘણિ આણી;

નિજ મસ્તકથી પાઘ દીધી, પૂજવા અરદેશરે લીધી. ૬

હરિભક્તોએ હેતે ધરેલા, તોરા ફૂલના ઝૂકિ રહેલા;

અરદેશરે તે પાગ લૈને, ઉરમાં ચાંપિ આતુર થૈને. ૭

જેમ રંકને રિદ્ધિ1 તે જડે, અતિ હર્ષિત થાય તે વડે;

એમ આનંદ ઉપજ્યો અપાર, થયું રોમાંચ તન તેહ વાર. ૮

એવિ શ્રીહરિની દેખિ દયા, સર્વ હરિજન વિસ્મિત થયા;

સુણો રાય ધરી અનુરાગ, અરદેશરનાં મહાભાગ્ય. ૯

શાર્દૂલવિક્રીડિત

આપી ઉત્તમ પાદુકા ભરતને શ્રીરામ રાજી થઈ,

આપી તેલકટોરી વાયુસુતને સીતાનિ સુદ્ધી લઈ;

મે’તા શ્રીનરસિંહને કુસુમની માળા જ આપી ખરી,

આ અર્દેશરને સ્વમસ્તક તણી તે પાગ આપી હરી. ૧૦

ચોપાઈ

તેવે ટાણે ઉભા હતા પાસ, એક પટેલ કરશન દાસ;

બીજાનું જગજીવન નામ, ભેટ ધરવા આવ્યા એહ ઠામ. ૧૧

એક પાગ લાવ્યા હતા એહ, બહુનામિને બંધાવિ તેહ;

પછી પરવર્યા સુંદરશ્યામ, રહ્યા રાત તો કોશાડ ગામ. ૧૨

અરદેશરે જૈ નિજ ઘેર, પાગ સાચવવા શુભ પેર;

મુકિ વાંસના કંડિયા માંહિ, નિત્ય પૂજા કરે ચિત ચાહી. ૧૩

કોઇ સંત કે સત્સંગી જેહ, જાય સૂરત શહેરમાં તેહ;

પાગનાં ચિતે દર્શન ચાય, અરદેશરને ઘેર જાય. ૧૪

તેનું ઘર થયું તીરથરૂપ, ધન્ય ધન્ય તે ભૂમિકા ભૂપ;

વળિ જે દિવસે કૃપાનાથ, ચાલ્યા સૂરતથી સહુ સાથ. ૧૫

બનિ એ જ દિવસ એક વાત, એ તો આશ્ચર્યકારિ અઘાત;

ગઢપુરજન આતુર થયા, અન્ન જળ તજિ કૈક તો રહ્યા. ૧૬

કરે વિનતિ તે ગદગદ થૈને, આવો હે કૃષ્ણ સૌ સાથ લૈને;

નહિ આવો જો શ્યામ સુજાણ, તજશું અમે નિશ્ચય પ્રાણ. ૧૭

ત્યારે બીજે રૂપે મહારાજ, ગયા ગઢપુર સહિત સમાજ;

માગશર શુદિ બીજે ત્યાં હરી, બેઠા દરબારમાં સભા ભરી. ૧૮

ભ્રાતૃપુત્રોયે પૂછિયા પ્રશ્ને, આપ્યા ઉત્તર એના શ્રીકૃષ્ણે;

વચનામૃત તેનું લખાણું,2 નથિ કોઇનું તે તો અજાણ્યું. ૧૯

એક દિન દઈ દરશનદાન, થયા ત્યાં થકિ અંતરધાન;

એ જ દિવસે સુરતથિ સિધાવ્યા, વળાવા સર્વ સત્સંગિ આવ્યા. ૨૦

તેમાંના પણ હરિજન આજ, કોઈ જીવતા છે અહો રાજ;

મછિયાવ ને શ્રીપુર જેમ, બે રૂપે દીધાં દર્શન તેમ. ૨૧

વળિ આખે અને પિપલાણે, દીધાં દર્શન એક જ ટાણે;

ગઢપુર ને સુરત એ જ રીતે, દીધાં પ્રીતમે દર્શન પ્રીતે. ૨૨

અતિ અદ્‌ભુત ઐશ્વર્ય જેમાં, કરે તે તો નવાઇ શિ તેમાં;

એવિ લીલા તો અપરમપાર, કરે શ્રીહરિ વારમવાર. ૨૩

ગામ કોશાડથી સહુ સાથ, ચાલ્યા ત્રીજને દિન મુનિનાથ;

કીમ નદિયે કર્યું જઈ સ્નાન, તહાં ભાતું જમ્યા ભગવાન. ૨૪

મોકો ખાચર ધ્યાન ધરીને, બેઠા ઘૂંઘટો ખૂબ કરીને;

નાગમાલે કહ્યું વસ્ત્ર તાણી, સામા બેઠા છે સારંગપાણી. ૨૫

આડો પડદો કરીને આ સમે, કેનું ધ્યાન ધરો છો આ તમે;

ગંગા કાંઠે કૂવો ખોદે જેમ, તમે ધ્યાન ધરો છો આ તેમ. ૨૬

માટે ઘુંઘટો મુખ થકિ ટાળો, સનમુખ છે તે મૂર્તિ નિહાળો;

કહી એવું એને સમજાવ્યા, પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા. ૨૭

અંકલેશ્વરમાં રાત રહ્યા, બીજે દિવસ ભરૂચમાં ગયા;

આજ મંદિર છે જેહ ઠામ, ઉતર્યા તહાં શ્રીઘનશ્યામ. ૨૮

કહ્યું આનંદસ્વામિને ત્યાંયે, આંહિ યજ્ઞ કર્યો બળિરાયે;

તે માટે તમે એહ ઠામ, કરજો એક ઉત્તમ ધામ. ૨૯

એમ કહિ ચાલ્યા કરતા વિનોદ, રહ્યા રાત તો ગામ કેલોદ;

શેખ વલ્લીભાઈ વસે વાસ, તેણે સારિ કરી બરદાસ. ૩૦

ચાલ્યા બીજે દિવસ બહુનામી, ગયા આમોદ અંતરજામી;

શેઠજી હરજીવન સાથ, ભટ્ટ સામા આવ્યા દિનાનાથ. ૩૧

રૂડા સત્સંગિ ગણપતરામ, એહ આદિક આવ્યા તમામ;

પછિ પટેલ ગુલાબને ઘેર, આપ્યો ઉતારો ઉત્તમ પેર. ૩૨

હરજીવન શેઠે રસોઇ, આપી ઉત્તમ અવસર જોઇ;

પછી સત્સંગીએ ઘેર ઘેર, કરિ પધરામણી રુડિ પેર. ૩૩

ગણનાથનું મંદિર જ્યાંય, ગયા દર્શન કરવાને ત્યાંય;

સુંઢ જમણીના જોઇ ગણેશ, રુદે રાજિ થયા અક્ષરેશ. ૩૪

એહ જગ્યાની જે મધ્ય બારી, બેઠા તે સ્થળ બહુ સુખકારી;

ભટજી ત્યાં જગન્નાથ જેહ, ગાયત્રીનું પુરશ્ચરણ તેહ. ૩૫

કરતા હતા તેહ સમામાં, ગણનાયક કેરિ જગ્યામાં;

જોઈ બોલિયા શ્રીઘનશ્યામ, દીનાનાથ પ્રત્યે તેહ સ્થાન. ૩૬

અહો ભટ્ટ તમારા આ કાકા, દિસે પૂરા તપસ્વિ તે પાકા;

જગન્નાથ બોલ્યા જોડિ હાથ, હું છું દાસ તમારો હે નાથ. ૩૭

ચાલ્યા આમોદથી અવિનાશ, કર્યો કારેલિયે રાત વાસ;

બીજે દિવસે બદલપૂર ગયા, ત્રીજે ખંભાતમાં જઈ રહ્યા. ૩૮

હરિભક્તો આજ જે ઠામ, કરાવેલો છે રૂડો આરામ;3

તેમાં છત્રિ કરાવિ છે જ્યાંય, ઉતર્યા જગજીવન ત્યાંય. ૩૯

હરિભક્ત મળી તહાં આવ્યા, પુરમાં પ્રભુને પધરાવ્યા;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, છબિલાનિ છબી ભલિ છાજે. ૪૦

ફરતાં ફરતાં પુર માંય, આવ્યા મંદિર છે આજ ત્યાંય;

તહાં જોઈને સારું મેદાન, ભક્તજનને કહે ભગવાન. ૪૧

હરિમંદિર આંહિ અમારું, મળિ સર્વ કરાવજો સારું;

હરિભક્ત બોલ્યા જોડિ હાથ, કૃપા કરશો તો તે થશે નાથ. ૪૨

પછિ શ્રીહરિ આવ્યા ઉતારે, જમ્યા સંત સહિત તેહ વારે;

હરિજન તણો આગ્રહ જાણી, રહ્યા રાત ત્યાં સારંગપાણી. ૪૩

ગયા ગિરધર ગુડેલ ગામ, રહે જીભાઈ ભક્ત તે ઠામ;

તેનિ મેડિયે કીધો ઉતારો, આપ્યો સંતોને ઉતારો ન્યારો. ૪૪

રઘુવીરજીને કહે શ્રીજી, આજ ઇચ્છા અમારી છે બીજી;

રાંધિ જમણું સ્વહસ્ત અમારે, તમે જૂદે રસોડે તમારે. ૪૫

જગ્યા મેડિ વિષે શુદ્ધ જોઈ, પછિ શ્રીજિયે કીધી રસોઈ;

કર્યું શાક વૃંતાક મગાવી, બાટિયો બહુ સારિ બનાવી. ૪૬

જમ્યા ભાવસહિત ભગવાન, જમ્યા બીજા જનો તો મિષ્ટાન્ન;

શાક ને બાટિ જાણિને સ્વાદી, સુરાભક્તને આપી પ્રસાદી. ૪૭

મહિમા સમજાય જ જેને, લાગે સ્વાદ પ્રસાદિનો તેને;

સુરોભક્ત કહે સત્ય કહું, જમ્યા સૂરતમાં મિષ્ટ બહુ. ૪૮

તેથિ સાકર ખાંડ ઉપરથી, અરુચી થઇ મારે અંતરથી;

તીખું તમતમું ખાટું ને ખારું, હવે ભોજન લાગે છે સારું. ૪૯

પુડા ભજિયાં વડા ને ઢોકળાં, મળે તો હવે ભાવે તે ભલાં;

બોલ્યા શ્રીહરિ સાંભળિ એવું, કાલે તમને જમાડિશ તેવું. ૫૦

પછિ રાતે શયન કર્યું જ્યારે, ધોલેરે થયું આશ્ચર્ય ત્યારે;

અજુબા પુજાભાઈનિ બેન, તેણે સ્વપને દિઠા સુખદેણ. ૫૧

કર જોડિને કીધા પ્રણામ, ત્યારે બોલિયા શ્રીઘનશ્યામ;

કાલે સાંજે તો સંત સહિત, અમે આવશું આંહીં ખચીત.4 ૫૨

માટે કાઠિયોને કાજે જોઈ, કહું તે તમે કરજો રસોઈ;

ભજિયાં વડાં પૂડલા ખારા, બાજરા તણા રોટલા સારા. ૫૩

એમ કહિ થયા અંતરધાન, બાઇ જાગિ થયાં સાવધાન;

પુજાભાઈ પાસે વાત કરી, સાંઝે આવશે આંહિ શ્રીહરી. ૫૪

મને સ્વપ્ને દીધું દરશન, મિથ્યા થાય ન મારું સ્વપન;

ફરસું5 કરવાને ભોજન, મને કૃષ્ણે કહ્યું છે વચન. ૫૫

પુજાભાઈ કહે પ્રભુ ક્યાં છે? એ તો સૂરત શહેર ગયા છે;

આજ સાંઝે ક્યાંથી આવે આંહીં? થાય દર્શન તો સ્વપ્નમાંહી. ૫૬

બેન બાપજિભાઈનિ જેહ, તે સમે ફુલિબા બોલ્યાં તેહ;

અજુબાનું તો સ્વપ્ન ફળે છે, વાત જે જે કહે તે મળે છે. ૫૭

સાંઝે નિશ્ચે પધારશે માવો, કહિ છે તે રસોઇ કરાવો;

ત્યારે આપિયો સામાન લાવી, અજુબાએ રસોઇ બનાવી. ૫૮

પછિ સાંજ સમો થયો જ્યારે, કૃપાનાથ પધારિયા ત્યારે;

કર્યું સામૈયું ત્યાં શુભ પેર, ઉતર્યા પુજાભાઇને ઘેર. ૫૯

ધર્મવંશીયે ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

પુજાભાઇ તણે દરબાર, જમ્યા કાઠિયો સૌ જમનાર. ૬૦

ભજિયાં વડાં રોટલા જોઈ, થયા વિસ્મિત તે સહુ કોઈ;

જ્યારે જાણિ સ્વપન તણિ વાત, જાણ્યો મહિમા પ્રભુનો આઘાત. ૬૧

એમ સૌને હરખ ઉપજાવ્યા, પ્રભુ ત્યાંથિ પ્રભાતે સિધાવ્યા;

કારિયાણિયે જૈ રાત રહ્યા, બીજે દિવસ તો ગઢપુર ગયા. ૬૨

કરિ શ્રીહરિનાં દરશન, સર્વ રાજિ થયા હરિજન;

લીલા સૂરતમાં કરિ જેહ, સંભળાવિ સંતે સૌને તેહ. ૬૩

સુણિ શ્રીજીનો પ્રૌઢ પ્રતાપ, ઉપજ્યો સૌને હરખ અમાપ;

સુરતી હરિભક્તનો પ્રેમ, સાંભળ્યો અતિ ઉત્તમ એમ. ૬૪

બિજા પ્રેમિયોનો પ્રેમ જેહ, જાણ્યો સૂરતિથી લઘુ તેહ;

પ્રભુને વિનવી પાયે લાગે, સુરતીના જેવો પ્રેમ માગે. ૬૫

કહે વર્ણિ સુણો નૃપ વાણી, લીલા સૂરતની જે વખાણી;

સ્નેહે જે સાંભળે સંભળાવે, તેનાં જન્મમરણ દુઃખ જાવે. ૬૬

શ્રીજીનો મહિમા સમજાય, દૃઢ નિશ્ચય અંતરે થાય;

લીલા એહ સંભારે વિચિત્ર, તેનું અંતર થાય પવિત્ર. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

સુરત નગરમાં સખા સહીત, વિચરિ મહાપ્રભુ આપ રૂડિ રીત;

કૃત અદભુત તે ચરિત્ર રાય, ગણિ ગણિ અક્ષરધામમાં ગવાય. ૬૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિસૂર્યપુરાત્-દુર્ગપુરાગમનનામ પંચત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે