હરિબળગીતા
કડવું – ૨૨
પત્નીનું પાલન કરે જેમ પતિજી, પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી ।
સદગુરુ શિષ્યને આપે સદમતિજી, એહ રીત જાણો જુગોજુગ છતિજી1 ॥૧॥
ઢાળ
છતી છે એ છાની નથી, હોય જે જે જેના આશ્રિત ।
તે તેનું પાલન કરે, એહ અનાદિની રીત ॥૨॥
આવડત ન હોય જો એહમાં, તો કરે વા’લપશું વાત ।
હૈયે હેત અતિ ઘણું, દેખાડે દિન ને રાત ॥૩॥
જેમ પડે એને પાધરું,2 એમ અખંડ કરે ઉપાય ।
પોતાના જાણી પીડા હરે, કરે સેવકની સા’ય ॥૪॥
તેમ ઘનશ્યામ જાણી ઘરનાં, કરે મે’ર હરે મહાકષ્ટ ।
એહ વારતા વેદ પુરાણે, સૂચવે છે જો સુસ્પષ્ટ ॥૫॥
પોતાના જાણી નવ પરહરે,3 કરે પ્રીતે કરી પ્રતિપાળ ।
અવગુણ ન જુવે અર્ભના, જેમ જનની જાળવે બાળ ॥૬॥
પશુ પંખી નર નિર્જર,4 સહુ સુતને પાળે સદાય ।
તેમ શ્રીહરિકૃષ્ણ કરે, સેવક જનની સા’ય ॥૭॥
નિરાધાર5 નારાયણ વિના, નર નિપજ્યા નહિ એક ।
નિષ્કુળાનંદ એહ વાતને, વિચારો કરી વિવેક ॥૮॥ કડવું ॥૨૨॥