હરિબળગીતા
કડવું – ૮
સાધન સર્વે સમજવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી ।
રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી ॥૧॥
ઢાળ
વિઘન પડે વ્યાકુળ થઈ, અતિ થાવું નહિ ઉદાસ ।
પતિત પાવન નાથનો, વડો1 રાખવો વિશ્વાસ ॥૨॥
ભોળાઈએ કાંઈ ભૂલ્ય પડે, થાય ન કરવાનું કામ ।
નર નિશ્ચેનું બળ લઈ, સમરવા ઘનશ્યામ ॥૩॥
કચવાઈ2 કાયર થઈ, પાછા ન ભરવા પગ ।
હૈયે હિંમત ન હારવી, મંડ્યું રે’વું મુવા લગ ॥૪॥
પડતાં આખડતાં રાહજ પંથે,3 ચાલવું ચિત્તે કરી ચાહ ।
પડી ન રે’વું પૃથવી, લેવો એનો એહ રાહ ॥૫॥
જરૂર પો’ચશું જાણવું, શ્રીહરિની હજૂર ।
પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન જરૂર ॥૬॥
ભક્ત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી ।
નિશ્ચે કર્યું છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી ॥૭॥
અચળ જાણી એ આશરો, ન્યૂન4 માનવી નહિ મન ।
નિષ્કુળાનંદ એ વારતા, નકી નિરવિઘન ॥૮॥ કડવું ॥૮॥
પદ – ૨
રાગ – ધોળ (‘સંત વિના રે સાચી કોણ કહે’ એ ઢાળ)
ભીંતર ભરોસો ભગવાનનો રે, જોઈએ ભક્તને ભરપૂર ।
બીજી વાત છે બાદલી5 રે, તમે જાણી લેજો જરૂર... ભીંતર૦ ॥૧॥
જેમ એક એકડો ટાળિયે રે, વળી વાળીયે સોયેક શૂન્ય ।
બુદ્ધિવાનને બેરજ6 બાંધવી રે, તે તો સમજણ્યમાં નૂન્ય... ભીંતર૦ ॥૨॥
તેમ મેલી બળ મહારાજનું રે, સાધનની માનવી સા’ય ।
ભરી ગોળી7 વારિ8 વલોવતાં રે, ઉતરે નહિ માંખણ કાંય... ભીંતર૦ ॥૩ ॥
માટે મનમાં મોટો માનવો રે, પ્રગટ પ્રભુનો પ્રતાપ ।
નિષ્કુળાનંદ તેહ નરનાં રે, ટળી જાયે અંતરના તાપ... ભીંતર૦ ॥૪॥ પદ ॥૨॥