સારસિદ્ધિ

કડવું - ૨૦

રાગ: ધન્યાશ્રી

સર્વે વાતનું શોધી લીધું સારજી, નથી કોઈ બૃહત વૈરાગ્યની હારજી ।

અંતર વિચારિયું વારમવારજી, શુદ્ધ વૈરાગ્ય તો સહુને પારજી ॥૧॥

રાગ: ઢાળ

શુદ્ધ વૈરાગ્ય પાર સહુને, નથી એથી અધિક કોઈ એક ।

વાંધો ન રહે કોઈ વાતનો, જો આવી ઊપજે ઠીકોઠીક1 ॥૨॥

શાસ્ત્ર સર્વે સાંભળ્યાં, તેમાં છે ચ્યાર પ્રકારની વાત ।

ધર્મ અર્થ કામનું કહ્યું, માંહી મોક્ષનું પણ સાક્ષાત ॥૩॥

પણ બૃહત વૈરાગ્ય વિસ્તાર વિના,2 થોડે ઠેકાણે લખ્યો લહી ।

પણ તીખા તીવ્ર વૈરાગ્યની, વાત પૂરી પુરાણે નવ કહી ॥૪॥

ખાન પાન વળી વિષય સુખનું, ઠામોઠામ સ્થાપન કર્યું ।

હરખ શોકને હાર્યા જીત્યા, એ સાંભળતામાં શું સર્યું ॥૫॥

આખી અવનિમાં એકનું, કહ્યું ઉદય અસ્ત લગી રાજ ।

સુખ દુઃખ તેનાં સુણતાં, કહો શું સરિયું કાજ ॥૬॥

આખા જગતમાં એવી વાતો, ઘરોઘર ઘણી ગવાય છે ।

પણ નર અમર નિશાચર, બૃહત વૈરાગ્યને કોઈ ચા’ય છે? ॥૭॥

વૈરાગ્ય માગવો વિકટ છે, જેમ નાખવો કલેજે હાથ ।

જીવવા ન દિયે જીવથી, રે’વા ન દિયે કોઈનો સાથ ॥૮॥

જેને મરવાનું હોય મનમાં, તે માગજો બૃહત વૈરાગ્ય ।

તે અક્ષરથી આણી કોરે,3 રે’વા ન દિયે જાગ્ય ॥૯॥

એ તો મરજીવાનો માર્ગ છે, હોય મરજીવા તે માંડે પગ ।

નિષ્કુળાનંદ એ જેને પ્રગટે, તેને સર્વે ચડી જાયે સગ4 ॥૧૦॥

કડવું 🏠 home