સ્નેહગીતા

કડવું ૩૦

ઉદ્ધવ કહે સુણો સરવે સુંદરીજી, કેવા જાણી કૃષ્ણને કહો તમે પ્રીત કરીજી ।

સમઝ્યા વિના સુખ ના’વે જો જાયે મરીજી, જૂઠું નથી જુવતી વાત અંતે એ ખરીજી ॥૧॥

ખરી કહું ખોટી નથી, તમે સમઝ્યાં નહિ કાંઈ સુંદરી ।

પરાપર1 જે બ્રહ્મ પૂરણ, તેને તમે જાણિયો જાર કરી ॥૨॥

પૃથ્વી જળ ને તેજ વાયુ, વળી વ્યોમ ત્રિગુણ અહંકાર ।

એહ મળી મહત્તત્ત્વ માયા, એક પુરુષને આધાર ॥૩॥

પુરુષ રહે પરબ્રહ્મ માંહિ, પરબ્રહ્મ રહે નિરાધાર ।

તેહ જે શ્રીકૃષ્ણ મૂરતિ, તેને જાણિયો તમે જાર ॥૪॥

વળી વિશ્વમાંહિ વ્યાપી રહ્યો, પિંડ બ્રહ્માંડમાં ભરપૂર ।

કૃષ્ણ વિના તો કોયે નથી, તેને દેખિયો તમે દૂર ॥૫॥

હવે એકાગ્ર ચિત આણો, તમે ધરો અંતરે ધ્યાન ।

બાહ્ય વૃત્તિ મેલો બાઈ, ભીતર છે ભગવાન ॥૬॥

મન કૃત્ય2 મિથ્યા કરીને, અંતર વૃત્તિ વાળીયે ।

તો સાક્ષીરૂપે સરવ માંહિ, વ્યાપક વસ્તુને ભાળિયે ॥૭॥

આંખ્ય મીંચી જુવો અબળા, તો ધ્યેય3 ધ્યાતા4 ધોખો5 ટળે ।

અણછતાં6 શું થાઓ ઊભાં, એક વિના અન્ય નવ મળે ॥૮॥

વેદ વેદાંત ને સાંખ્યનું, સુંદરી એહ સાર છે ।

એમ સમઝે થાશો સુખિયાં, અંતે તેહ નિરધાર છે ॥૯॥

દેહબુદ્ધિ બાઈ દૂર કરી, વળી વિષય વાસના પરહરો ।

નિષ્કુળાનંદના નાથે કહ્યું, તમે જોગ7 જુગતે શું આદરો ॥૧૦॥ કડવું ॥૩૦॥

કડવું 🏠 home