કાંજીવરમ્. ટ્રેનના યાત્રિકોને આજે પક્ષીતીર્થ જવાનું હતું. તેથી યાત્રા-સ્પેશિયલનો ચીંગલપેટ મુકામ થયો. સૌને પક્ષીઓ ક્યાંથી અને કેવી રીતે આવે છે, કેવાં છે વગેરે જોવાની ઉત્સુકતા, એટલે કથાવાર્તાનો કાર્યક્રમ જલદી શરૂ કરી દીધો. સ્વામીશ્રીને તો યાત્રિકોને બધે સ્થળે દર્શન કરાવવાં હતાં, પરંતુ વૃત્તિ તો ભગવાન ને સંતમાં જ રખાવવાનું તાન હતું. એટલે આવા સંત મળ્યા પછી મોક્ષને માટે ફાંફાં મારવાનાં નથી, એ વાતનું હાર્દ પોતાની વાતમાં લાવીને બોલ્યા કે –
“આજ તો આપણને છેલ્લો જન્મ થઈ ગયો છે, તે છેલ્લો જન્મ શું? તો પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો તે જ છેલ્લો જન્મ છે. મને કરીને માલ નથી માન્યો એમ કેમ સમજવો? જ્યારે મહારાજની મૂર્તિ સિવાય બીજે માલ ન મનાય, ત્યારે છેલ્લો જન્મ થયો કહેવાય. ગ. મ. ૨૪મું વચનામૃત સિદ્ધ કર્યે જ છૂટકો.”
‘પ્રકૃતિ-પુરુષ પ્રલયમાં આવે, ભવ-બ્રહ્મા ન રહે કોઈ રે,
ચૌદ લોક ધામ ન રહેવા પામે, સર્વેનો સંહાર હોય રે;
જેમ કઢાયામાં કણ ઊછળે છે, ઊંચા-નીચા અગ્નિઝાળે રે,
તેમ જો તનધારી બળે છે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળ રે.’
પછી વચનામૃતનો ચોપડો આવ્યો, એટલે વર. ૧૯મું વચનામૃત વંચાવ્યું અને વાત કરવા લાગ્યા.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]
