वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।
વિ. સ. ૧૯૮૬. શાસ્ત્રીજી મહારાજ પુરુષોત્તમપુરામાં બીજારમાન હતા. સાંજે ચાર વાગે સ્વામીશ્રી સભામાં બિરાજમાન હતા. આશરે ૫૦૦ હરિભક્તની સભા બેઠી હતી.
તે વખતે ભાયલીના જીવાભાઈ ત્યાં આવી સ્વામીશ્રીને દંડવત્ કરીને બેઠા. જમીનનો વહીવટ તેમના હસ્તક હોવાથી કેટલીક રકમ તેમના નામે ચોપડામાં ઊધરી હતી. રકમ એક માસમાં પાછી આપી દેવાનું તેમણે કહ્યું હતું, પરંતુ તે વાયદો પાળ્યો નહિ અને લગભગ આઠ-દસ માસ થઈ ગયા હતા. ઈશ્વરભાઈએ સ્વામીશ્રીનું ધ્યાન આ રકમ માટે ખેંચ્યું હતું.
તેઓ સભામાં આવ્યા ત્યારે સ્વામીશ્રીને તે યાદ આવ્યું. સભામાં જ જીવાભાઈ પાસે રકમની ઉઘરાણી તેમણે કડક રીતે કરી.
ગરીબ પ્રકૃતિના જીવાભાઈ તો હાથ જોડી ઊભા રહ્યા. સ્વામીશ્રીની મરમાળી મૂર્તિનાં દર્શન કરતાં, સ્વામીશ્રીના શબ્દે શબ્દે અમૃતરસનું પાન કરતાં, જીવાભાઈ એમ જ ઊભા રહી ગયા. સ્વામીશ્રીએ કોણ જાણે શાથી પણ આ પ્રસંગે જીવાભાઈની સાધુતાની પરીક્ષા કરવા અને પોતાને વિશે પણ આ ચરિત્રથી ભક્તોને કેવો ભાવ થાય છે તે જોવા માટે કે ગમે તે કારણસર, પણ એક પછી એક એવાં તીવ્ર વાગ્બાણ છોડ્યાં કે ગમે તેવો ધીરજવાન અને આત્મનિષ્ઠ હોય તોપણ તેની ધીરજ અને આત્મનિષ્ઠા ચળી જાય. પરંતુ જીવાભાઈ તો જાણે આવો દિવ્ય પ્રસંગ અને સ્વામીશ્રીની આવી દિવ્ય મૂર્તિનાં દર્શન ફરી ફરી નહિ જ મળે, એ ભાવથી અનિમિષ દૃષ્ટિએ સ્વામીશ્રી તરફ હાથ જોડી, એ મૂર્તિનાં દર્શન કરતા જ રહ્યા. અગ્નિના તણખા સમાન એ શબ્દોને ચંદ્રનાં શીતળ અમૃતમય કિરણો સમાન ઝીલી, જીવાભાઈ આનંદ પામતા ગયા. સભામાં સર્વેને થયું, “આજે સ્વામીશ્રીએ કાંઈ અદ્ભુત ચરિત્ર કર્યું છે. આમાં ભલભલાનું પણ ઠેકાણું રહેશે નહિ.” મોટા મોટા આત્મનિષ્ઠોને પણ થયું, “આવી પરિસ્થિતિમાં આપણું પણ ઠેકાણું ન રહે. જીવાભાઈએ તો હદ કરી.”
છેવટે ઈશ્વરભાઈ તથા આશાભાઈ અને મોતીભાઈએ સ્વામીશ્રીને વાર્યા અને કહ્યું, “હવે રહેવા દ્યો, રકમ હવે પતી જશે.” એટલે સ્વામીશ્રી બોલતાં બંધ રહ્યા.
સ્વામીશ્રી બોલતાં બંધ થયા પણ સભામાં સૌનાં હૈયાંમાં ફફડાટ થઈ ગયો હતો. સ્વામીશ્રીનું આવું નૃસિંહ સ્વરૂપ કોઈએ કદી જોયું ન હતું. પરંતુ તે છતાં જીવાભાઈ તો પ્રહ્લાદની જેમ એ પ્રેમલ - દિવ્ય સ્વરૂપનું પાન કરતાં જાણે તૃપ્ત થતા જ ન હોય તેમ લાગ્યું. સૌને થયું કે સ્વામીશ્રીને હવે શાંત શી રીતે કરવા? તેમની સાથે વાત કરવાની કોઈની હિંમત હતી નહિ. સૌ શાંત શૂન્યમનસ્ક થઈ ગયા!
એટલામાં જીવાભાઈ પૂર્વવત્ એ જ સ્થિતિમાં ઊભા રહીને સ્વામીશ્રીને હાથ જોડીને બોલ્યા, “બાપા! આપની આજ્ઞા હોય તો બે શબ્દ કહું.”
આ વચનથી તો જાણે સભામાં વજ્રપાત થયો હોય તેમ સૌને જણાયું. હજુય જાણે અધૂરું હોય તેમ જીવાભાઈ બે શબ્દ બોલવાની શા માટે ઇચ્છા રાખે છે! સ્વામીશ્રી તેમના આ શબ્દો સાંભળી એ જ આવેશમાં બોલ્યા, “તમને નિર્લજ્જને કાંઈ લાજ-શરમ છે કે નહિ? આટલી સભા વચ્ચે આટલા શબ્દો કહ્યા તે બીજાને તો ભોં ભેગું થવું ભારે પડે, ત્યારે તમારે હજુ બે શબ્દ કહેવા છે! બોલો, તમારે જે કહેવું હોય તે. મારે સાંભળવું નથી.”
ધગધગતા સીસાના રસ જેવા સ્વામીશ્રીના આ શબ્દો પણ જીવાભાઈ એ જ સ્મિત વદને ‘કોઈ ઔષધ અમૃત પાયા રે – દરદ મીટાયા’ એ ભાવથી પી ગયા. સૌ ભયભીત બની, હવે શું બનશે તેની રાહ જોવા લાગ્યા.
જીવાભાઈએ તો પૂર્વવત્ સ્થિતપ્રજ્ઞ દશામાં એમ જ ઊભા રહીને ધીરેથી તેમના ઘેરા અને મિષ્ટ સ્વરે કીર્તન ઉપાડ્યું:
સુણો ચતુર સુજાણ (૨) એમ ન ઘટે રે તમને દીનાનાથજી;
મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી... સુણો
અમે તમ કારણ સહ્યાં મેણાં, નાથ નીરખવાને સુણવા વેણાં;
અમે તૃપ્ત નવ કીધાં નેણાં.... સુણો ચતુર ૧
અમે લોકલાજ કુળની લોપી, કહેવાયા ગિરધરની ગોપી;
અમે તમ કારણ પહેરી ટોપી.... સુણો ચતુર ૧
પહેલી પ્રીત કરી શીદને આગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે;
પછી તેને તે કેવું વસમું લાગે.... સુણો ચતુર ૩
કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહિ તો અખંડ અંતરમાં રહેજો;
એમ શ્રીરંગના સ્વામીને કહેજો.... સુણો ચતુર ૪
સભા આખી સ્તબ્ધ થઈ ગઈ. બ્રહ્માનંદ સ્વામીના આ કીર્તનની એક એક કડીના ભાવથી સૌ દ્રવી ઊઠ્યા. સભામાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. તેમાં ફક્ત એક જ અવાજ, ઘેરો પણ મિષ્ટ, પ્રણવના નાદને પડકારતો, સ્વામીશ્રીની ચિત્તાકર્ષક દિવ્ય મૂર્તિનાં જ દર્શનનું પાન કરતાં કરતાં, જીવાભાઈના કંઠમાંથી જે રીતે નીકળતો હતો, તેથી જાણે સરી જતા એક એક શબ્દને પાછો ખેંચીને પકડીને તેનું પાન કર્યા જ કરીએ, એમ સૌને થવા લાગ્યું! સ્વામીશ્રી પણ તેમનો ભાવ જોઈ ડોલવા લાગ્યા.
કીર્તન પૂરું થયું. સૌની આંખમાં આંસુ હતાં. સ્વામીશ્રી પણ એ જ ભાવપૂર્વક ઊભા થયા અને જીવાભાઈને ભેટી પડ્યા. ખરેખર! वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । એવું સ્વામીશ્રીનું અંતઃકરણ હતું. જીવાભાઈને તેઓ ભેટ્યા, અતિ વહાલથી! કોઈ રીતે છોડે જ નહિ. ગુરુ અને શિષ્યના આ દિવ્ય મિલનનાં દર્શનનો આ અનુપમ લહાવો, સૌ અતૃપ્ત નયને લેવા લાગ્યા. એ બંને મૂર્તિ જ સૌનું લક્ષ્ય બની ગઈ. હિરણ્યકશ્યપને ચીરી નાખીને ક્રોધથી લાલચોળ નેત્રે હાંફતા નૃસિંહરૂપ ભગવાન, જેમ પ્રહ્લાદને ખોળામાં લઈ પ્રેમપૂર્વક ચાટી પોતે શાંત થયા, તેવી જ રીતે આ પ્રસંગે પણ નૃસિંહરૂપધારી સ્વામીશ્રીને શાંત કરવાની કોઈની હિંમત ન હતી; પરંતુ જેમના માટે ક્રોધ તેમણે ગ્રહણ કર્યો હતો તેમને જ ભેટીને પોતે પૂર્વવત્ શાંત બન્યા.
જીવાભાઈને એમ ખૂબ વાર ભેટી, વાંસામાં આશીર્વાદનો હાથ ફેરવી, સ્વામીશ્રી પોતાના આસને બિરાજ્યા. જીવાભાઈને પોતાના ખાટલા પાસે બેસાર્યા. પછી તેમના મુખ ઉપર અને માથે હાથ ફેરવીને સ્વામીશ્રીએ તેમને પૂછ્યું, “હવે સાધુ થવું છે?”
અગાઉ તેમને સાધુ થવા માટે સ્વામીશ્રીએ બે-ત્રણ વખત કહ્યું હતું; પરંતુ તે વખતે, “હજુ થોડું દેવું માથે છે, તે ઊતરે પછી સાધુ થઈશ;” એ પ્રમાણે તેઓ કહેતા. પરંતુ એ દેવાની તો સીમા જ રહી નહિ; વધતું જ ગયું. તેમાં મંદિરની પણ રકમ તેમનાથી આપી શકાઈ નહિ. સ્વામીશ્રીએ તેમની પરિસ્થિતિ જ એવી કરી મૂકી હતી કે નાખી નજર પહોંચે તેમ ન હતું.
તેમણે હાથ જોડી સ્વામીશ્રી સન્મુખ જોયું. એ દૃષ્ટિમાં એ ભાવ હતો – “બીજું તો કાંઈ નહિ, પણ મંદિરની રકમ પતી જાય પછી સાધુ થાઉં.”
સ્વામીશ્રી તેમનો આ ભાવ સમજી ગયા. તેમનો વાંસો થાબડી સ્વામીશ્રીએ કહ્યું, “તમારા જેવા સાધુ થતા હોય તો કરોડો રૂપિયા અમારે કુરબાન છે. આવા આત્મનિષ્ઠ, વૈરાગ્ય અને મહિમાની મૂર્તિ સમાન સાધુ ક્યાં મળે?”
બસ, એ જ સમયે જીવાભાઈએ નક્કી કરી લીધું, “સ્વામીશ્રી પાસે દીક્ષા લઈ લેવી!”
જીવાભાઈના દીક્ષા લેવાના સંકલ્પથી સમગ્ર સભાજનોને સ્વામીશ્રીના આ ચરિત્રનું રહસ્ય સમજાયું. બૃહદ્ વૈરાગ્યની મૂર્તિ સમાન, જોતાં જ નિષ્કુળાનંદ સ્વામીની જડભરત દશાનો ખ્યાલ આપતા જીવાભાઈ, આ લોકની સામાન્ય એવી વ્યવહાર કુશળતાથી તદ્દન અજાણ જ હતા. એટલે સ્વામીશ્રી તેમને ઘણી વાર હસતાં હસતાં કહેતા, “તમને વ્યાવહારિક આવડત નથી, એટલે દેવું માથેથી ઊતરવાનું જ નથી.” છતાં દેવું ઉતારવાના સંકલ્પથી જગતમાં ભરાઈ રહેલા આ મુક્ત પુરુષને, જગતમાંથી બહાર કાઢવાનો આ ચરિત્ર સિવાય બીજો કોઈ ઉપાય જ ન હતો.
સ્વામીશ્રીના આ ચરિત્રથી સૌને જણાયું કે સ્વામીશ્રીએ જે ક્રોધ ગ્રહણ કર્યો તે જીવાભાઈના હૃદયમાંથી જગત કાઢવા માટે જ હતો. સ્વામીશ્રીની દરેક ક્રિયા કેવળ પોતાના આશ્રિતના આત્મસ્વરૂપના વિકાસ માટેની જ હોય છે, એવા મર્મને ન જાણનાર પુરુષો આવા ચરિત્રથી ભ્રમમાં પડી, મોટાપુરુષને વિશે મનુષ્યભાવ લાવી, પોતાના ચૈતન્યમાં એ અવગુણરૂપી ડાઘ લગાડે છે.
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૫૯૭]
