એક વખત રાજકોટમાં કીર્તન આરાધનાનો કાર્યક્રમ હતો. નગરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ આરાધના હતી. સ્વામીશ્રી પણ પધારવાના હતા. અમે સૌ સંગીતજ્ઞ સંતો સારંગપુરથી નીકળી બપોરે રાજકોટ પહોંચ્યા.
ચારેક વાગે હું એક સંત સાથે આરાધનાના સ્થળે વ્યવસ્થા માટે વહેલો નીકળી ગયો. આ બાજુ સાંજે સ્વામીશ્રી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા, ત્યારે કોઈકે કહ્યું, “આજે આરાધના છે ને વરસાદ ઝીણા ફોરે શરૂ થયો છે.”
તે વખતે સ્વામીશ્રી વરસાદની ખેંચને અનુલક્ષીને બોલ્યા, “કીર્તનિયા ભેગા થયા છો, તો મેઘમલ્હાર ગાઓ તો વરસાદ પડે.” પછી બીજી વાતચીત થઈ અને સ્વામીશ્રીએ પ્રસાદ ગ્રહણ કરી લીધો, એટલે સૌ સંતો કાર્યક્રમના સ્થળે આવ્યા. ત્યાં સંતોએ મને બપોરે બનેલા પ્રસંગની વાત કરી. એટલે મને થયું કે સ્વામીશ્રીએ કહ્યું છે તો આપણે તે રાગ આજે રાત્રે જ ગાવો. હું ‘દરબારી કાનડા’ રાગનું કીર્તન ગાવાનો હતો તે બદલ્યું ને ‘સુન સુન સજની આઈ ઘટા...’ એ કીર્તન મેઘમલ્હારમાં ગાવાનું નક્કી કર્યું.
સમય થોડો હતો. પણ સૂર, સ્વર ને સાધનનું નિયોજન કરી, તે રાગ ગાયો ત્યારે સ્વામીશ્રી ખૂબ રાજી થયા. ઉપરથી વર્ષા થઈ ન થઈ તે ગૌણ છે, પણ સ્વામીશ્રીની અમીવર્ષા થઈ તે ચિરસ્મરણીય છે. એક આહ્વાન આપીને પ્રોત્સાહન આપવાની આ તેમની અનોખી રીત છે. અચાનક જ નવો રાગ, કીર્તન ગાવાનું થાય ત્યાં આ રીતે તેમણે ઘડેલું કલેવર ઘણી મદદ કરે છે.
- સાધુ અક્ષરેશદાસ
[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૫/૨૦]
