વચનામૃત ઇતિહાસ
ગઢડા પ્રથમ ૨૫
વચનામૃત ગઢડા પ્રથમ ૨૫માં ભગવાન સ્વામિનારાયણ કહે છે, “હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું, તે તેજને જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું...’”
શ્રીજીમહારાજના આ કૃપાવચનનું મૂળ આ મુજબ પ્રાપ્ત થાય છે:
આ અરસામાં (એટલે કે સંવત ૧૮૭૬ના પોષ માસમાં) જ મેઘપુરથી લાડકીબા મહારાજનાં દર્શને આવ્યાં. મેઘપુરમાં મૂળજી ભક્ત મરાયા ત્યારથી મહારાજ મેઘપુરમાં ગયા ન હતા, તેથી લાડકીબા આજુબાજુમાં મહારાજ જ્યાં જ્યાં પધારતા ત્યાં દર્શને જતાં. મહારાજ પ્રત્યેના અપાર પ્રેમને લઈને તેમની ઇન્દ્રિયો સદા મહારાજના સ્વરૂપમાં જોડાયેલી રહેતી. તેઓ ગઢપુર આવ્યાં, મહારાજનાં દર્શના કર્યાં અને તરત જ તેમને સમાધિ થઈ. સમાધિમાં તેમને સમુદ્રમાં ભરતીનાં ભયંકર મોજાં આવે તેવાં પ્રકાશનાં મોજાં દેખાયાં. વળી, જાણે હમણાં બ્રહ્માંડ ફાટી જશે એવા નાદના ગડગડાટ પણ સંભળાયા. આથી લાડકીબા સમાધિસ્થ અવસ્થામાં બોલવા લાગ્યાં, “મહારાજ! બળું છું. બળું છું. મને ઉગારો.”
તેમના આ શબ્દો સાંભળી જીવુબા, લાડુબા અને અન્ય બાઈઓ ધ્રૂજી ગઈ. જીવુબાએ મહારાજને પૂછ્યું, “મહારાજ! આને શું થાય છે?”
ત્યારે મહારાજે વિસ્તારથી જે વાત કરી તે અહીં નોંધાઈ છે.
[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૮૪]