વચનામૃત મહિમા
ગઢડા અંત્ય ૨૬
વરતાલથી મહાપ્રસ્થાન કર્યા બાદ શાસ્ત્રીજી મહારાજે સં. ૧૯૬૨નો ફાગણ સુદ પૂનમનો સમયો આણંદમાં કેશવલાલ પ્રાગજીને ઘેર કરેલો. વરતાલથી મહાભિનિષ્ક્રમણ કર્યા પછીનો આ પહેલવહેલો સમૈયો શાસ્ત્રીજી મહારાજ ઉજવી રહેલા. ૭૦૦-૮૦૦ હરિભક્તો એકત્ર થઈ ગયેલા. આ સમૈયામાં બોચાસણમાં મંદિર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો. તે માટે એક કલાકમાં ૪૦,૦૦૦ રૂ. જેવી માતબર રકમની લખણી થઈ હતી. અંતે શાસ્ત્રીજી મહારાજને લખણી બંધ કરાવવી પડી. આવા મહત્ત્વપૂર્ણ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે લખણી પૂરી થઈ ગયા પછી જે વચનામૃત પર નિરૂપણ કરેલું તે હતું આ વચનામૃત ગઢડા અંત્ય ૨૬મું. આ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજની આ વચનામૃત પરની વાતો સાંભળી આણંદના મોતીભાઈ ભગવાનદાસે નક્કી કર્યું કે: “સ્વામી (શાસ્ત્રીજી મહારાજ) સાથે ફરવું અને આ લક્ષણ સ્વામીનાં મળતા આવે તો એવા એ મોટા સંત છે તેમ જાણવું.”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૨૯૩]