વચનામૃત મહિમા
ગઢડા પ્રથમ ૫૪
ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસ સ્વામીને કહ્યું, “વચનામૃત વાંચો.” તેથી તેમણે વચનામૃત ગઢડા પ્રથમ ૫૪મું વચનામૃત વાંચ્યું. સ્વામી રાજી થઈને બોલ્યા, “ફરી વાંચો.” એમ આ વચનામૃત પાંચ વખત વંચાવ્યું. પછી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે દિવસ બધો સાંભળ્યા જ કરીએ. જુઓને, માંહી મહારાજે મોક્ષનું દ્વાર બતાવી દીધું છે. આ વચનામૃત જેને નહીં સમજાય તેનાં કરમ ફૂટ્યાં જાણવાં.”
[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૪૬૪]
પ્રથમનું ચોપનમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “ઓહો! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થાઈએ. જુઓને! માંહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે. એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટાપુરુષ એ જ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કે’વાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું. અને આવો સમો આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતું સાંભળે નહીં એવી જીવની અવળાઈ છે.”
ભગતજી મહારાજ કહે, “શ્રીજીમહારાજે બસો બાસઠ વચનામૃતમાં પ્રથમ ૫૪ અને મધ્ય ૫૪ એ બે વચનામૃત મોક્ષનાં કહ્યાં અને દીનાનાથ ભટ્ટને પણ એ બે જ પોતાનાં કરવાની આજ્ઞા કરી.”
[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૦૮]