વચનામૃત નિરૂપણ

લોયા ૧૦

તા. ૩/૬/૧૯૬૨, મુંબઈ. રામબાગમાં રવિસભામાં યોગીજી મહારાજ કહે, “ભગવાનનું સ્વરૂપ જાણવા-સમજવાનું સહેલું નથી. ભાવ થવો જોઈએ. ૫૦,૦૦૦ની નોટનો થોકડો પડે તો કેવું અહોહો થાય! તેમ મહિમા સમજાય કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી! મનુષ્યભાવ આવે છે તેથી અહોહો થાતું નથી. દિવ્યભાવ રહે તો થાય. લોયા ૧૦ પ્રમાણે જ્ઞાન થયું છે, તે અહોહોપણું-પ્રાપ્તિ-કેફમાં મોળો ન પડે. ભલે રોટલો ને છાશ મળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૦]

 

તા. ૨૦/૧/૧૯૬૪, મુંબઈ. સવારે ૮:૨૦ વાગ્યે લોયા ૧૦ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “અલમસ્ત જ્ઞાનનું વચનામૃત છે. તે સિદ્ધ કરે તો બહુ જ સુખ આવે.

“પહેલાં અભાવ આવે. તેનું મનન થાય. પછી દોષ આવી જાય. દોષની સેર જીવમાં સોંસરી પડી જાય. દૂધપાકની ઊલટી થઈ પછી બે સબડકા મારો જોઈએ! માટે પંચ વિષયનો અભાવ કરી લેવો, પણ ભક્તનો અભાવ ન કરવો.

“ગાળું ભાંડે, પણ અકળાઈ ન જવાય તે વિદેહી. વિદેહી એટલે ગુરુને પોતાનો આત્મા માને.”

ત્યારે એક સંતે પ્રશ્ન પૂછ્યો, “સ્વામી! આપ જેવા પુરુષ મળ્યા તોય પંચ વિષયનો અભાવ કેમ થતો નથી?”

સ્વામીશ્રી કહે, “જોડાવાતું નથી. શાસ્ત્રીજી મહારાજ સ્વામી જેવા ગુરુ મળ્યા. તેમાં બરોબર જોડાઈ જવું. તદ્વતભાવને પામવું. આ તો ગુરુ બેઠા હોય ને શિષ્ય ક્યાંય સૂતો હોય! અનુવૃત્તિમાં રોમ જેટલો ફેર ન પાડવો. શાસ્ત્રીજી મહારાજે ભગતજીની આજ્ઞા લોપી નથી. તો એ ભાવને પામી ગયા. ભલે લાખ ગાઉ છેટે રહ્યો હોય, પણ અભાવ ન લે તો જોડાયેલો જ છે...

“દરેકને આ દેશમાં સત્ય, દ્વાપર, ત્રેતા અને કળિયુગ આખા દિવસમાં વર્તે છે.”

ત્યારે ચંદુભાઈએ પૂછ્યું, “સદાય સત્યયુગ વર્તે તેવો કોઈ ઉપાય ખરો?”

નેણ કટાક્ષ સાથે હાથનું લટકું કરતાં સ્વામીશ્રી કહે, “આવા સંતના યોગમાં રહે, બળની વાતું સાંભળે, ‘આ સંસાર ઊંટના બેસણા જેવો છે, દુઃખરૂપ છે,’ એમ માની એમાંથી વૃત્તિ ખેંચી લે અને એના ભાવમાં ન લેવાય, ને કોઈના અભાવ-અવગુણમાં ન પડે, તો સદાય સત્યયુગ જ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૦]

 

યોગીજી મહારાજ કહે, “જ્ઞાન શું? આત્મા ને પરમાત્માનું જ્ઞાન ન હોય તો દેશકાળ લાગે. કોઈ સાધુ ન બોલાવે તો દેવ જેવા જાણવા. દેવ કંઈ બોલાવે છે? જનક રાજા જ્ઞાની હતા. વનમાં હોય તો રાજ્યમાં, રાજ્યમાં હોય તો વનમાં. લોયાનું ૧૦મું વચનામૃત. જ્ઞાન થયું હોય તો કોઈનો અવગુણ આવે જ નહીં. આત્મા-પરમાત્માનું જ્ઞાન નથી થયું, ત્યાં સુધી ખરો સત્સંગી નથી.”

[યોગીવાણી: ૨૪/૨૪૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ