વચનામૃત પ્રસંગ
ગઢડા પ્રથમ ૨૦
એક વાર ગોપાળાનંદ સ્વામી અમદાવાદ પધારેલા. અહીં મંદિરમાં તેઓના મુખે વચનામૃત ગઢડા પ્રથમ ૨૦નું નિરૂપણ સર્વનિવાસાનંદ સ્વામીએ સાંભળ્યું. તેઓને ચોટ લાગી ગઈ. તેઓએ મનોમન નક્કી કરી લીધું કે: “ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી કસર ટાળી નાંખવી.” તેથી જ્યારે ગોપાળાનંદ સ્વામી વડતાલ જવા તૈયાર થયા ત્યારે તેઓ પણ અમદાવાદથી નીકળવા તૈયાર થઈ ગયા.
મંદિરમાં મણિ જેવા આ સંતને જતા જોઈ આચાર્ય અયોધ્યાપ્રસાદજીએ વિનંતી કરતાં કહ્યું, “તમને અમદાવાદના મંદિરના મહંત બનાવું, વીસ જોડ ચરણારવિંદ આપું, સેવકો ને રથ આપું, પણ અમદાવાદ છોડી ન જાઓ.” પરંતુ સર્વનિવાસાનંદ સ્વામી આ પ્રલોભનોમાં ન ફસાયા અને ગોપાળાનંદ સ્વામી સાથે ચાલી નીકળેલા. તેઓ ગોપાળાનંદ સ્વામીને યથાર્થ સેવી સ્વામીસ્વરૂપ બની ગયેલા. જ્યારે ગોપાળાનંદ સ્વામીએ દેહ મૂક્યો ત્યારબાદ તેઓના હેતવાળા હરિભક્તોને સર્વનિવાસાનંદ સ્વામી દ્વારા ગોપાળાનંદ સ્વામી પ્રગટ જ છે તેવી અનુભૂતિ થતી.
સર્વનિવાસાનંદ સ્વામીનું આવું ભવ્ય વૃત્તાંત જોઈને જ ગુણાતીતાનંદ સ્વામી પણ એક વાર બોલી ઊઠેલા, “સંસારનું બંધન તો શું? પણ તે કરતાં અનંતગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો.”
સર્વનિવાસાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહેલું, “ઓલ્યા દેશમાં (અમદાવાદમાં) રહ્યો હોત તો કલ્યાણ રહી જાત.”