વચનામૃત પ્રસંગ

વરતાલ ૫

પ્રસંગ ૧

સં. ૧૯૬૯, સારંગપુર. સ્વામીશ્રીના સંતો સવારે વહેલા ઊઠી પ્રસાદીને કૂવે (હાલ જે આપણા મંદિરમાં કૂવો છે અને જેના ઉપર પંપ ગોઠવ્યો છે) રોજ નાહવા જતા અને નાહીને પાણીનાં માટલાં ભરી પીઠાવાળે ઓરડે લાવતા.

એક દિવસ પરોઢિયે સાધુ હરિકૃષ્ણદાસ કૂવે નાહીને માથે પાણીનું ભરેલું માટલું ઊંચકીને પીઠાવાળે ઓરડે આવતા હતા. એટલામાં ઝીંઝરના દરબાર રાણાભાઈ નાહવા જતા હતા તે તેમને સામા મળ્યા. આ સાધુને આ પ્રમાણે પાણીનાં માટલાં ઊંચકી જતાં જોઈ, દરબાર બોલ્યા, “સાધુ! શું કામ હેરાન થાઓ છો? માથે પાણીનાં માટલાં, પગમાં જોડા નહિ. આવો મમત શું કામ રાખો છો? ચાલો, અમારા મંદિરમાં, રાજધાની ભોગવવાની છે, રાજધાની.”

તેમના આવા અણસમજણના શબ્દો સાંભળી હરિકૃષ્ણદાસે તેમને કહ્યું, “તમે અમારા સ્વામી ભેગા થાઓ અને સમાગમ કરો તો તમને ખબર પડે કે અમે આ મમત્વે કરીને કરીએ છીએ કે મહારાજને રાજી કરવા કરીએ છીએ. તમે ઓરડે આવો તો અમારા સ્વામી તમને સમજણ પાડશે. વળી, અમારે સાધુને તો સેવા જ કરવાની હોય! રાજધાની ભોગવવી હોત તો ઘર શું કામ મૂકત?”

દરબારને આ શબ્દો લાગી ગયા. પોતે પૂર્વના મુમુક્ષુ હતા, એટલે તરત જ તેમણે કહ્યું, “હું હમણાં નાહીને ઓરડે આવું છું.” એમ કહી પોતે નાહવા ગયા.

હરિકૃષ્ણદાસે ઓરડે આવીને સ્વામીશ્રીને આ વાત કરી. તેમણે દરબારને આપેલા જવાબથી સ્વામીશ્રી રાજી થયા અને કહ્યું, “આવો મહિમા સમજાય અને ખપ જાગે ત્યારે મોટાપુરુષને રાજી કરતાં આવડ્યું કહેવાય.”

ઝીંઝરના દરબાર રાણાભાઈ નાહીને ઓરડે આવ્યા. શાસ્ત્રીજી મહારાજને દંડવત્ કરીને સ્વામીશ્રી સન્મુખ પોતે બેઠા અને હાથ જોડીને કહ્યું, “આપના વિષે મેં ઘણી ઘણી વાતો સાંભળી છે, પણ ‘બહાર નીકળી ગયા છે, બંડિયા છે.’ એવા વિરોધી શબ્દોથી અત્યાર સુધી દર્શન કરવા નહોતો આવતો.”

સ્વામીશ્રી તેમના તરફ સહેજ હસ્યા અને પછી કહ્યું, “તમે તો પૂર્વના સંસ્કારી છો, એટલે અહીં અવાયું છે.” એમ કહી હરિકૃષ્ણદાસને કહ્યું, “લાવો, વચનામૃતનો ચોપડો.”

પછી તેમની પાસે ‘અક્ષરનાં બે સ્વરૂપ’ના નિરૂપણનું વચનામૃત (ગઢડા પ્રથમ ૨૧) તથા ‘ભગવાનના ભક્તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી’ (ગઢડા પ્રથમ ૭૧); વળી ‘ભગવાનના સંતની સેવા બહુ મોટાં પુણ્યવાળાને મળે છે પણ થોડાં પુણ્યવાળાને મળતી નથી’ (ગઢડા મધ્ય ૫૯); તેમ જ ‘ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય અને તે બે જન્મે કે ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનાર હોય, તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે, એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.’ (વચનામૃત વરતાલ ૫) – આ બધાં વચનામૃત વંચાવી, મહારાજના ઉત્તમ ભક્ત અને સંત તો ગુણાતીતાનંદ સ્વામી જ છે, ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષરનો અવતાર છે અને અક્ષરધામ સહિત મહારાજના સ્વરૂપની ઉપાસના કરવી, તે જ ઉપાસનાનો સનાતન સત્ય સિદ્ધાંત છે, તે સમજાવ્યું.

વચનામૃતના આધારે સ્પષ્ટ અને સિદ્ધાંતની વાત સાંભળી, રાણાભાઈને આ શુદ્ધ ઉપાસનાની વાત સમજાઈ ગઈ.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૨૮૩]

 

પ્રસંગ ૨

સં. ૧૯૬૬. એક વખત ભાદરણથી અંબારામ ભગત બોચાસણ આવ્યા. હરિકૃષ્ણદાસને તેમને વિષે ગુરુભાવ હોવાથી, અંબારામ ભગતની પણ સેવા તેઓ યથાવકાશે કરતા. આવા એક પ્રસંગે અંબારામ ભગત પાસે બેસીને તેમણે તેમને સ્વામીશ્રીની મૂર્તિમાં અતિશય તેજનાં દર્શન પોતાને થયાં હતાં, તે વાત કરી. હરિકૃષ્ણદાસની આ વાત સાંભળી, અંબારામ ભગતે તેમને કહ્યું, “સ્વામીશ્રીની તમારા ઉપર અત્યંત કૃપા થઈ છે, એટલે તમને તેમનું સાચું સ્વરૂપ ઓળખાવ્યું છે. હવે તે દૃઢ કરી, તેમાં અનન્ય ભાવે જોડાઈ જશો.”

એમ કહીને પછી તેમણે કહ્યું, “હરિકૃષ્ણદાસ! આપણાં તો અહોભાગ્ય છે કે આપણને આવા સંત શ્રીજીના અખંડ સંબંધવાળા મળ્યા છે. મને પણ આવી દૃઢ નિષ્ઠા છે, પરંતુ ગુરુરૂપ હરિનું ધ્યાન થાય કે નહીં તે ગડમથલમાં હું હતો. ગયે વર્ષે કંથારિયા ગયો ત્યારે માનસી કરવા બેસતાં આ જ સંકલ્પ ઊઠ્યો. એટલે તરત જ સ્વામીશ્રીએ મને દર્શન દીધાં. સાથે પ્રભુદાસ કોઠારી હતા. પ્રભુદાસ કોઠારીએ સ્વામીશ્રી તરફ આંગળી ચીંધી મને કહ્યું, ‘ભગત! આ સ્વરૂપને જ્યારે તમે ધારશો અને વિચારશો, ત્યારે તમને શાંતિ થશે.’ તે જ દિવસથી મારી સંશયગ્રંથિ નિર્મૂળ થઈ ગઈ. હવે એવો આનંદ આવે છે કે તેનું વર્ણન જ ન થાય! તમે પણ, મહારાજના અખંડ ધારક આ સ્વામીશ્રીના સ્વરૂપમાં સર્વ પ્રકારે જીવ જડી દેશો તો તમને પણ એ આનંદનો અનુભવ થશે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૩૪૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ