॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૨૦: અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું
નિરૂપણ
જાન્યુઆરી ૧૯૬૪. સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૨૦ ઉપર ધ્યાન દોરતાં સ્વામીશ્રીએ કહ્યું: “ચિંતામણિ મળી ને કોરા કેમ રહી ગયા? સત્પુરુષના સંબંધવાળાને ગાફલાઈ નથી રહેવા દેતા. મોટાપુરુષને ન ઓળખ્યા તે અજ્ઞાની. મનુષ્યભાવ પરઠે તે અતિ અજ્ઞાની. કોઈ સંકલ્પ વગર દિવ્યભાવ રહે તે જ્ઞાની. જિંદગીમાં મનુષ્યભાવ ન પરઠાય તે વિશેષ જ્ઞાની.
“સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, તેને ઓળખવાની વાત હતી. તે વખતે ક્યાં ગેડ બેસે? જીવાત્માને શોધે; પણ સાક્ષાત્ ગુણાતીત બેઠા છે, તેને ઓળખવાની મહારાજની વાત હતી. ‘ગુણાતીત મારો આત્મા છે’ એમ માન્યું હોત, તો ઘેલામાં ન કહેવાત. જેને સત્પુરુષ સાચા માન્યા તેને આ વાત મનાય. ભડકો જોવાનું સૌને તાન.”
અહીં સ્વામીશ્રી સમયની સાથે ભૂતકાળમાં પહોંચી ગયા અને મહારાજની સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, એમને ઓળખવાની વાત સમજાવી. પોતે પણ એ પ્રસંગના સાક્ષી છે તેમજ આજે પણ એ જ બોલી રહ્યા છે – એમ પણ પોતાની એકતા જણાવી.
એ જ વચનામૃતમાં શબ્દો આવ્યા: “સ્વરૂપને જોવું એટલે શું?” એ સમજાવતાં કહે, “એમાં આપોપું કરવું. જોડાવું.”
વળી પૂછ્યું: “ભગવાનનો પ્રતાપ શું? મહિમા. પ્રકાશ એટલે પણ મહિમા.
“જીવાત્મા માયાવેષ્ટિત છે. તેને બ્રહ્મનો સંબંધ થાય એટલે તે પણ બ્રહ્મ થાય – માયા પર થાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૧]