॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૭૬: ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું
નિરૂપણ
કોને ઠોકર ન લાગે?
અહીં તા. ૨૭મીએ સવારે ૮-૧૫ વાગે પોતાનું પ્રિય વચનામૃત ગ. પ્ર. ૭૬મું મોઢે બોલી તેનું નિરૂપણ કરતાં ભીડા-ભક્તિનો મહિમા સ્વામીશ્રીએ સમજાવ્યો:
“‘ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્ય તે જો હરિભક્ત હોય તોપણ તે સાથે અમારે બને નહિ.’ મહારાજે ગઢડા પ્રથમના ૭૬મા વચનામૃતમાં આ કહ્યું છે. ક્રોધી તો વા હારે(સાથે)ય બાટકે. આપણો વેપાર સારો હાલતો હોય તે જોઈને ઈર્ષ્યાવાળો હોય તે બળે. ‘માની કેનું માને નહિ, હરિ હરાવવા બકે હોડ.’ જેને જેના રાજમાં રહેવું તે સાથે ખરાબ સ્વભાવ રખાય? તેમ આપણે ધામમાં જાવું હોય તો રૂડા સ્વભાવ રાખવા. માન મોટો શત્રુ છે, તેને આધારે બધા દોષ છે. મહારાજ આ સાડા ત્રણ લીટીમાં બધી વાત કરે છે.
“‘જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, તેને ગમે તેવા વચનમાં ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તોપણ કોઈ રીતે દેહપર્યંત મુઝાય નહિ, એવો તે પાકો સત્સંગી છે...’
“પંચ વર્તમાનમાં ખોટ ન હોય તેને ઠોકર ન લાગે. ગમે તેવા ભીડામાં રાખે, તોય ‘સત્સંગ છોડી નથી જાવું,’ એવી દૃઢતા એને મનમાં હોય. સંત કહે, ‘છાનામાના અહીં બેસી રહો’ - એમ ધાર્યું છોડાવે, ત્યારે કાચો હોય તેને વસમું લાગે ને ધક્કો લાગે. ગમે તેટલા વચનના ભીડામાં કારસામાં લીએ. તેનું ગમતું મૂકી અમારા ગમતામાં રાખીએ તો વરસ, બે વરસ ન મુઝાય? ના, દેહપર્યંત ન મુઝાય. સંત રસોઈ લ્યે, ધર્માદા ડબલ લ્યે, સેવા લીએ, ત્યારે કાચો હોય તે તો, ‘સ્વામી! રાખો, રાખો, રાખો’ એમ કહી દે. પણ કોઈને બૈરાં-છોકરાંથી કંટાળો આવ્યો કે, ‘આ તો કાંહી ગ્યા (કંટાળી ગયા), મરે તો સારું, ટાઢા પાણીએ ખસ જાય.’ આવું થતું નથી, કારણ કે તેમાં ભાવ છે. તેથી તેનો અભાવ ન આવે.
“દાદાખાચરને ઘેર પાંચસો પરમહંસો રહેતા હતા. દાદાખાચરને કેટલો ભીડો પડતો હશે? આપણે ઘેર પાંચસો મહેમાન આવી પડે ત્યારે કેવી મુંઝવણ થાય?
“દાદાખાચર બધાને રસોઈ કરાવી જમાડતા. એક સંતે મહારાજને કહ્યું, ‘મહારાજ! લોટમાં કાંકરા આવે છે.’ મહારાજે હુકમ કાઢ્યા, ‘દાદાખાચરની ઘંટીમાં કાંકરા આવે છે, તો તમે બધા સંતો જાતે ઘંટીએ દળો.’ સંતો વિચારમાં પડ્યા: ‘આ તો નખોદ કાઢ્યું. કોણ મહારાજ પાસે જઈને બોલ્યું?’
“પછી તો મહારાજની આજ્ઞા હતી તેથી બધા સંતો જાતે ઘંટીએ દળતા જાય ને મહારાજને સંભારી કીર્તન ગાય: ‘ઘંટીને ઘમકારે દળવા આવજો.’
“મહારાજે આ સાંભળ્યું. ‘આ તો મનેય ભેગો લીધો!’ પછી મહારાજે સંતોને આજ્ઞા કરી, ‘હવે દળવું રહેવા દ્યો. કરતા હોય તેમ કરજો.’
“આવો ભીડો મહારાજ આપતા કોઈ રીતે મુઝાય નહીં. થોડો ઘણો કીધો? ગમે તેવો ભીડો આપે તોય મુઝાય નહિ.
“એવો જે થાય તેને માથે પછી હાથ મૂકવો ન પડે. ભીડો ખમવાના ગુણ હોય તેના ઉપર સહેજે હિંસોરો આવે. અને એવા ગુણ જેનામાં ન હોય તેના ઉપર હેત ન થાય. ‘જાવા દ્યો ને! પીળે પાને ખત છે,’ એમ થાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૩૮૦]