॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય-૨૮: જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું
પ્રસંગ
વિ. સં. ૧૯૨૧ મહેળાવથી ધોલેરા જતાં રસ્તામાં સૌ સાધુ, પાળા, હરિભક્તને પ્રાગજી ભગત ભગવાના અને સાધુના મહિમાની વાતો કરતા હતા. તે સાંભળી માન ગઢવી બોલ્યા, “પ્રાગજી! નર્યા સાધુ સાધુ શું કરી રહ્યો છે?” ત્યારે ભગતજી મહારાજે કહ્યું, “હું નથી કહેતો મુક્તાનંદ સ્વામી કહે છે.” એમ કહી મુક્તાનંદ સ્વામીના કીર્તનની કડી બોલ્યા, “‘મમ ઉર સંત અરુ મૈં સંતન ઉર, વાસ કરું સ્થિર હોઈ...’ સાધુના અંતરમાં ભગવાન રહ્યા છે અને ભગવાનના ઉરમાં સાધુ રહ્યા છે. માટે ભગવાનનો મહિમા એમાં સાધુનો મહિમા આવી જાય અને સાધુનો મહિમા કહીએ તેમાં ભગવાનનો મહિમા આવી જાય. બાકી તો અજ્ઞાન હોય ત્યાં સુધી સંત અને ભગવાન જુદા મનાય. ગઢડા મધ્ય ૨૮ના વચનામૃતમાં મહારાજે આ રહસ્ય સમજાવ્યું છે.” માન ગઢવી આ સાંભળી મૂંગા થઈ ગયા!
[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૦૭]