॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
કારિયાણી-૭: ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું
નિરૂપણ
તા. ૨૧/૬.૧૯૮૬ની બપોરે સુરતમાં નવચેતન સોસાયટીમાં શ્રી પુરુષોત્તમભાઈ પટેલના ઘેર વચનામૃત કારિયાણી ૭ સમજાવતાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું:
“નિયમમાં રહીને ખાવું, પીવું, જોવું એ નિવૃત્તિ. પ્રવૃત્તિ દુનિયા-માત્રની કરો, પણ સાધુતા રાખીને. આપણે દેહમાંથી મમતા કાઢવાની છે. કોઈક બોલી જાય તો એમ થાય કે: ‘ક્યારે સાટું વાળી નાંખું?’ કાંટો ચડી જાય. પણ આપણે ક્યાં દેહ છીએ? એના લાલન-પાલનમાં સમય ન જવો જોઈએ. દેહને ખાસડાં જેવું કરી નાખવું. કોઈ બોલી જાય તો ખમવું. બોલનાર પાછળથી પસ્તાશે. આપણે આપણું કામ કરવા આવ્યા છીએ. દુરાગ્રહ, હઠાગ્રહ કોઈ જાતનો ન રાખવો. આપણે એકડો થવાનું છે. પેલો રખડે તો આપણેય રખડવું નહીં. વિચિત્ર સ્વભાવ મૂકી દેવા. નડે છે એ જ. બાકી અંતરના દોષો તો ભગવાન કાઢશે.
“ભજનનો તાલ તૂટવો ન જોઈએ. દરરોજ ચેષ્ટા થવી જ જોઈએ. આરતીની ઘંટડી થઈ એટલે ઊભા થઈ જ જવું. જય જય નહીં. ઊભા રહેવું તો આપણું વધશે. વાંચન કરવું. નવરા ન બેસી રહેવું. મહાતમ (સ્વામી) ભણેલા ન હતા, તોય વચનામૃત, ભક્તચિંતામણિ વાંચ્યે જ રાખે. આ નિયમ હતો તો પાર પડી ગયા.
“આ વચનામૃતમાં પ્રત્યક્ષની વાત આવી. મનુષ્યરૂપે જે પૃથ્વી પર આવ્યા તેના વિષે દૃઢતા કરવાની છે. આપણા જેવી ક્રિયા – બોલવું, ચાલવું, પેટ દુઃખે, બી જાય – બધું આપણા જેવું જ હોય. એમાં સંશય થઈ જાય. પણ એમના સંબંધમાં જે આવે એ નિર્ગુણ થઈ જાય. દેખાય છે છતાં નથી. કોઈને આજ્ઞા કરે તો વિચાર નહીં કરવાનો. હનુમાનજીને આજ્ઞા કરી, ત્યાં સુખ હતું? અરે, સિંહની બોડમાં હાથ નાંખવાનો હતો તોય સંશય ન થયો.
“આપણે બધાની ભેગા રહીને ન્યારા રહેવાનું છે. સમૂહમાં રહીએ છીએ, પણ આપણામાં કોઈનો સ્વભાવ અડવો ન જોઈએ. હળીમળીને રહેવું એ બરાબર છે, પણ શબ્દ સાંભળીને અંગ ન ફરવું જોઈએ. દૃઢ એટલે શેષનાગને માથે ખીલી.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૪૯૩]