અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
ક્રિયા કરવી ને વ્યવહાર પણ કરવો, દેહ રાખવો, નિયમ પાળવાં પણ ભગવાન તો મુખ્ય રાખવા. નહિ તો વ્યવહાર પ્રધાન થઈ જાશે. માયા છે તે દેહને વખાણે તેથી રાજી થવાય છે. તે આત્મારૂપ જે દેશ તે નોખો છે. તે દેશને જે પામે તે લોપાતા નથી એ દ્વાર છે. તે ઉપર निजात्मानं ब्रह्मरुपं એ શ્લોક બોલ્યા. રાત્રી પ્રલય સુધી રૂપૈયા ભેગા થશે. માટે આપણે તો સર્વ પડ્યું મૂકીને કરવાનું તો
आकुति चिति चापल्यरहिता निष्परिग्रहाः ।
बोधने निपुणा आत्मनिष्ठाः सर्वोपकारिणः ॥૧
તે બે વાનાં તો અભેસિંહને આવ્યાં છે. મોટી મોટી હવેલીઓએ કરીને કે ચિત્રે કરીને કે મોટા દરવાજે કરીને કે હાથી-ઘોડાએ કરીને અગર મોટા બળદે કરીને પણ વાસુદેવને વિષે સદ્મતિ ન થાય. ભક્તિ તો ગોતીતાનંદ તથા અશ્રુતાનંદે પણ કરી હતી પણ લડીને ચાલ્યા ગયા. (૨૮)
૧. સત્સંગિજીવન: ૧/૩૨/૨૮. શ્રીહરિ ભક્તિમાતાને કહે છે, “હે સતિ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ? કે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષય-વાસનાએ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહે રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વેજનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.”
પ્રકરણ/વાત: ૧૧/૨૮૩