અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
અંગ્રેજની કવાયત જોઈને રાજા માત્ર નમી ગયા પણ કોઈનું બળ રહ્યું નહિ, તેમ જે પુરુષ દરવાજે ઊભો હોય તેને ગમે તેવા સંકલ્પ થાય પણ તે બાધ કરી શકે નહિ, કેમ જે તેને એક સંકલ્પ રાગનો થાય ત્યારે લાખ સંકલ્પ નિષેધના થાય ને વળી એમ કહે જે, “કરોડ જન્મ ધરીને પણ તારું ગમતું નથી કરવું,” એટલે રાગનો સંકલ્પ ખોટો થઈ જાય તેમ જ રૂપનો, રસનો, શબ્દનો, સ્પર્શનો, ગંધનો ને માનનો, એ આદિક જે જે સંકલ્પ થાય તે સર્વ જાણપણા રૂપ દરવાજે રહેવાથી નાશ પામી જાય છે. તેમ સંકલ્પનું કહ્યું ન માને તો ફરી સંકલ્પ ન થાય. જે રાજા વિવેકી હોય છે તે ગોલાનું કહ્યું કરે નહિ પણ જે પ્રમાણિક હોય છે તેનું કહ્યું માને છે, તેમ ઇંદ્રિયું અને મનના સંકલ્પ તો ગોલા જેવા છે માટે એમનું કહ્યું માનવું નહિ ને અખંડ જાણપણારૂપ દરવાજે રહેવું એટલે તે બળહીન થઈ જાશે ને સંકલ્પ પણ નહિ થાય. ભગવાન ને સાધુ દયાળુ છે તે જાળવે છે. પણ ગમે એટલું મનગમતું મુકાવે તો પણ સરૂં આવવા દેવું નહિ. તે ઉપર કચ્છના હરિભક્ત મૂળજી ને કૃષ્ણજીની વાત કરી જે, ગમે તેમ કહ્યું ને મનગમતું મુકાવ્યું તો પણ કોઈ રીતે અવગુણ લીધો નહિ, તેમ તપ્યા પણ નહિ ને કોઈ દિવસ સામું બોલ્યા પણ નહિં. તે સરૂં આવવા ન દીધું કહેવાય. (૩)
પ્રકરણ/વાત: ૮/૧૧૧