અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
જ્ઞાન વિના તો ભગવાનનાં ચરણારવિંદ છાતીમાં બીડી રાખે તો પણ સુખ ન આવે ને જ્ઞાન હોય તો જે આડું આવે તેને મૂકી દે ને સુખિયો રહે. જ્ઞાન વિના તે પરીક્ષિતને પણ સંશય થયો, ને રાધિકાજીને પણ કજિયા થયા.૧ માટે જ્યાં સુધી દેહ પોતાનું રૂપ મનાય છે ત્યાં સુધી ભગવાન સાથે પણ કજિયો થયા વિના ન રહે. તે કેટલાક મહારાજ સામું બોલ્યા ને ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ, તમે તો અમને ભીષ્મપિતા કર્યા.” તે શું જે, બેય દેશના મોટેરા કર્યા. ને મહારાજને રઘુવીરજીની તાણ તે કંઈ બોલાય ત્યારે ગોપાળાનંદ સ્વામીને એમ થાય જે, મહારાજે તો ભીષ્મપિતા કર્યા. निजात्मानं ब्रह्मरुपं એની આણીકોર કજિયો ને કજિયો છે ને સાધુતામાં કજિયો નથી... (૩૧)
૧. એક વાર ગોલોકમાં ભગવાને વિરજા નામની ગોપીને પોતાની સાથે રાસમંડળમાં લીધી. આ સાંભળી રાધાને રીસ ચઢી ને ભગવાનને ઠપકો દેવા ગયાં. જ્યાં તે પહોંચ્યાં કે તરત વિરજાની સાથે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને વીરજા સાથે ઈર્ષ્યા હતી, ફરી એક વાર શ્રીદામા, કૃષ્ણ ને વિરજા ત્રણેને ગોષ્ઠી કરતાં જોયાં. રાધાજીએ ભગવાનને ન કહેવાનાં વેણ કહ્યાં ને નિંદા કરી. ભગવાન તો સાંભળી રહ્યા, પણ તેમના પાર્ષદ શ્રીદામાથી આ સહન ન થયું એટલે તેમણે રાધાજીને ઠપકા સાથે શાપ દીધો કે, “ગુર્જર સુથારને ઘેર તારો જન્મ થાય.” રાધિકાજીએ પણ શ્રીદામાને સામે શાપ આપ્યો, “તું પણ દાનવ કુળમાં જન્મ લે.” આ શાપને લીધે શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. (બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૩/૯૭-૧૧૩)
પ્રકરણ/વાત: ૧૨/૧૩૮