અમૃત કળશ: ૨
સંત-સમાગમ
અમે કરીએ ગયા ત્યાં પટેલને વર્તમાન ધરાવ્યાં. બાપ-દીકરો બેયને સત્સંગી કર્યા એટલે સાસુએ વહુને કહ્યું, “આપણે બાવા વિના નહિ ચાલે અને ઈ સત્સંગી થયા તે હવે બાવાને પેસવા દેશે નહિ. માટે આજે આપણે રાંધવું નહિ, બોલવું નહિ અને દીવા પણ કરવા નહિ.” એમ સૌ રીસાઈને બેઠાં. ત્યાં પટેલ અને તેનો દીકરો ઘેર આવ્યા તો અંધારું દીઠું એટલે પટલાણીને પૂછ્યું, “દિવા કેમ કર્યા નથી અને બોલતા કેમ નથી?” પટલાણી કહે કે, “સૌ રીસાણાં છે અને કહે જે, ‘તમે કંઠીયું તોડી નાખો તો અમે રહેશું.’” પટેલે દીકરા સામું જોઈને પૂછ્યું, “શું મરજી છે?” તો કહે, “કંઠી તોડવી નથી.” એટલે પટેલ કહે, “રાંડને દે ડેબામાં ને અત્યારે ને અત્યારે ગામ બહાર કાઢી મૂકો. તને સવારમાં એકની બે પરણાવીશ.” તે સાંભળી સૌ કામ કરવા મંડી પડ્યાં અને પટલાણી તો મૂંગે મોઢે ખૂણે જઈ સંતાણી પણ કાંઈ બોલાણું નહિ. એમ શૂરવીર થાય તો સત્સંગ રહે. (૪૯)
પ્રકરણ/વાત: ૧૩/૯૨