અમૃત કળશ: ૪
નિશ્ચય
લાલાભાઈને કહ્યું જે, “તમને લાખ રૂપીઆ આપીએ તો પણ કણબીપણાનું ને સોજીત્રાપણાનું ટળે નહિ, તેમ ભગવાનની કોરનું થાય ત્યારે ખરેખરો નિશ્ચય કહેવાય અને આવો નિશ્ચય જેને હોય તેને ભગવાન બીજે ક્યાંઈ રહેવા દે નહિ. માટે દિવ્યભાવ-મનુષ્યભાવ તેનું વારંવાર શ્રવણ-મનન કર્યા કરવું.” તે ઉપર વાત કરી જે, વશરામ સુતારને કોઈકે કહ્યું કે, “મહારાજ પાસે બે સ્ત્રીયું હતી.” ત્યારે કહે જે, “એમ હોય નહિ ને હોય તો પણ એ ભગવાન છે તે કાંઈ બાધ નહિ.” પછી સામા માણસનો સંશય ટળી ગયો પણ વશરામ સુતારને સંશય થયો તેથી પર્વતભાઈ પાસે કહ્યું. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, “એમાં ભગવાનને શું બાધ?” એ વાત કરીને કહ્યું જે, સત્સંગ ને ઉપાસના તે તો સમાગમે કરીને થાય, ત્યાગ-વૈરાગ્ય પણ સમાગમે આવે અને સત્સંગ થાય ત્યારે તેના હૈયામાં વિષય રહે નહિ. ને બીજામાં સુખ મનાય નહિ. (૧૦)
પ્રકરણ/વાત: ૧૦/૮૨