અમૃત કળશ: ૪
નિશ્ચય
દીનાનાથ ભટ્ટની વાત કરી જે, તેને નિશ્ચય નહોતો તે મહેમદાવાદના બ્રાહ્મણોએ તેને પૂછ્યું જે, “સ્વામિનારાયણ ભગવાન હોય તો અમેય સત્સંગ કરીએ.” ત્યારે તે કહે, “ભગવાન તો કેમ કહેવાય? પણ મોટા પુરુષ તો ખરા.” તેથી બ્રાહ્મણો પણ સત્સંગ કરતાં આળસ્યા. ને શિક્ષાપત્રીમાં તો મુખ્ય મયારામ ભટ આદિ સત્સંગી તેની પાસે જ લખાવ્યું. ત્યારે મનમાં એમ થયું જે, ‘હું આવો વિદ્વાન ને મારું નામ નહિ? ને અભણ જે મયારામ ભટ તેનું નામ નાખ્યું? માટે મહારાજ પણ ભણેલાનો મહિમા કાંઈ જાણતા નથી.’ પછી તેની દીકરીને ભૂત વળગ્યું ત્યારે પોતે ચંડીપાઠ કર્યો પણ ભૂત ગયું નહિ. મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી કહ્યું જે, “હે મહારાજ! જમનાને ભૂત વળગ્યું છે તે કાઢો.” ત્યારે મહારાજ કહે, “તમે તો દેવ બ્રાહ્મણ છો. તમારે ત્યાં ભૂત હોય?” ત્યારે કહે, “હું દેવ બ્રાહ્મણ પણ અનાથ છું.” પછી મહારાજ કહે, “મયારામ ભટ પાસે લઈ જાઓ. તે પાઠ કરશે એટલે જાશે.” પછી મયારામ ભટ પાસે લઈ ગયા તેમણે પાઠ કર્યો એટલે ભૂત ગયું. નિશ્ચય વિનાના પંડિત હોય તેનાથી ભૂત ન જાય. પણ અભણ હોય ને નિષ્ઠા હોય તો તેનાથી ભૂત જાય. (૧૮)
પ્રકરણ/વાત: ૧૨/૧૮૯