અમૃત કળશ: ૭
માન
ભગવાન તથા મોટા સંતની એવી દયા છે જે શરણે આવે તેના દોષ સામું જુએ નહિ તેટલું સમદૃષ્ટિપણું છે, કહેતાં પહેલાં દ્રોહ કર્યો હોય પણ પછી દીન આધિન થઈ નિષ્કપટથી શરણે થાય ને માફી માગે અને અનુવૃત્તિ પાળે તો એકાંતિક ભક્તના જેવું કલ્યાણ કરે છે, પણ અવગુણ લીધો હતો તે સામું નથી જોતા. જીવ તો અવળા છે પણ તેમાં ભગવાન પોતાનો સંબંધ થયો તે સામું જોઈ રક્ષા કરે છે. મોટા ગુણ હોય પણ જે માન આવે તો તે ગુણ નજરમાં ન આવે. તે એક જણ પથ્થર ઉપર તપ કરતો હતો. તે દયાથી ભગવાન આવીને કહે જે, “માગ.” ત્યારે માની હતો તેથી કહે જે, “મારા સામું જુઓ!” ત્યારે ભગવાન કહે, “તેથી જ ફળ દેવા આવ્યા છીએ. માટે માગ તે આપું.” તો પણ ત્રણ-ચાર વખત કહ્યું કે, “મારા આવા ઉગ્ર તપ સામું જુઓ!” પછી ભગવાન કહે, “ક્યાં તપ કર્યું?” ત્યારે કહે કે, “આ છીપર ઉપર.” એટલે ભગવાન કહે, “કોના હુકમથી આ છીપરને ભારે મારી? માટે હવે તું હેઠો પડ અને છીપર એટલો વખત તારે માથે ચડે.” એમ માન આવ્યું તે આશીર્વાદને બદલે શ્રાપ મળ્યો. તે ‘મુક્ત પ્રગટકી પ્રીછ બીન વૃક્ષ તુલ્ય વૈરાગ્ય.’ પણ જો ભગવાનને પ્રસન્ન કરવા છે એમ કોઈ સત્પુરુષ થકી સમજ્યો હોય તો ‘સૌથી ઉગ્ર તપ મેં કર્યું છે’ તેવું માન ન રહત અને મોક્ષ માગી કૃતાર્થ થાત. (૨૩)
પ્રકરણ/વાત: ૧૦/૫૮