અમૃત કળશ: ૭
માન
કોઈ રાજાના, કોઈ ફોજદારના, કોઈ પટેલના ને કોઈ ઘરના ચાકર છે, પણ ભગવાનના અનન્ય દાસ થાવું તે કઠણ છે. તે ભક્ત ભક્તમાં પણ તારતમ્યતા લખી છે. एक भक्तिर्विशिष्यते ।૧ એવી રીતના ભક્ત થયા વિના ભગવાનની સેવામાં રહેવાય નહિ. જેવા બાઈના કોદરા, તેવી ભાઈની હીંગ; તેમ જેવું કરશો તેવું પામશો. માટે દુઃખને ટાળવું ને સુખને પામવું. ને મોક્ષના ખપ વિના માન દઈ દઈને તે કેટલાક દિવસ રાખશું? પર્વતભાઈને મહારાજે કહ્યું જે, ઘરના ગોલાને મશારો (મજૂરી) આપવો ન પડે, એમ જે ખરેખરા હોય તે ભગવાન વિના બીજું ઇચ્છે નહિ. માટે ખરેખરું ભગવાનનું થાવું એ ઘણું કઠણ છે. (૨૭)
૧. आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ । तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ॥ (ગીતા: ૭/૧૬-૧૭) અર્થ: અધિકારથી પડી ગયેલો અને ફરી પામવાને ઇચ્છે તે આર્ત, આત્મસ્વરૂપને જાણવાને ઇચ્છે તે જિજ્ઞાસુ, ઐશ્વર્ય પામવાને ઇચ્છે તે અર્થાર્થી, પોતાના આત્માને ત્રિગુણાત્મક માયાથી જુદો બ્રહ્મરૂપ માનીને ભગવાનને પામવાની ઇચ્છા કરનાર જ્ઞાની. આ ચારેયમાં જ્ઞાની પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ માની નિરંતર પરમાત્મામાં જોડાયેલ છે અને એકમાત્ર પરમાત્માની ભક્તિની જ ઇચ્છા રાખે છે, તેથી અધિક છે. - વચનામૃત ગઢડા પ્રથમ ૫૬.
પ્રકરણ/વાત: ૧૧/૪૫