કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) મોહન બેન બજાઇ ગ્રહ તજી
પ્રેમાનંદ સ્વામીનું પાંચ ભાષાનું કીર્તન
પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બાપુ જીવાખાચરના દરબારમાં રહેતા. એક દિવસ પ્રેમાનંદ સ્વામીએ પાંચ ભાષામાં કીર્તન રચ્યું. મહારાજને તે કીર્તન સંભળાવવાની તેમની ઇચ્છા હતી. તેથી તેઓ ચંદન ઘસી, કટોરામાં લઈ, મહારાજની પૂજા કરવાનું નિમિત્ત લઈ દાદાખાચરના દરબારમાં આવ્યા.
મહારાજ સભામાં બિરાજતા હતા. મહારાજે તેમને જોઈને કહ્યું, “આવો, કવિરાજ! કંઈક નવીન કીર્તન બનાવીને લાવ્યા છો?”
પ્રેમાનંદ સ્વામી શરમાળ પ્રકૃતિના હતા. મહારાજના શબ્દો સાંભળી તેઓ નીચું જોઈ ગયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, “મહારાજ! નવીન કીર્તન તો એવું રચ્યું છે કે સૌને સાંભળીને આશ્ચર્ય થશે. પણ જો કાઠી દરબારો સાંભળશે, તો અમને મારશે.”
મહારાજે કહ્યું, “કાઠી દરબારો ભલે સાંભળે. એવા શબ્દો હશે તો સાંભળીને મનમાં સમસમી રહેશે.” એમ કહીને પ્રેમાનંદ સ્વામીને કહ્યું, “સંભળાવો, કવિરાજ! તમારું નવીન કીર્તન સંભળાવો.”
ત્યારે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, “મહારાજ! પૂજન કરવું છે.”
મહારાજ તરત જ ઊભા થયા. પ્રેમાનંદ સ્વામીએ મહારાજના શરીરે ચંદનનો લેપ કર્યો.
પછી મહારાજે કહ્યું, “હવે સંભળાવો તમારું કીર્તન.”
પ્રેમાનંદ સ્વામીએ પોતાની સિતાર મંગાવી. નાજા જોગિયા તે લઈ આવ્યા, એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, “તમારું પાંચ ભાષાનું કીર્તન મહારાજને સંભળાવો.”
પ્રેમાનંદ સ્વામીએ શરૂ કર્યું:
મોહન બેન બજાઈ, ગ્રહત જીવન આઈ, ગિરધર બંસી સૂની કાની;
તનકી સૂધબૂધ સબ બિસરાની, બરજત માત પિતા નહીં માની,
ઊઠ ચલી બેગાની બેગાની... મોહન
આ સાંભળી મહારાજ બોલી ઊઠ્યા, “ઓહો! આ તો હિન્દી ભાષાનું કીર્તન, ખરી ફાવટ આવી ગઈ લાગે છે.”
ત્યાં પ્રેમાનંદ સ્વામીએ બીજી કડી શરૂ કરી:
બેન મારાં માબાપે મુને વારી, કે’ છે તું ક્યાં જાય છે કુંવારી;
વન તેડી તરછોડ્યા મુરારિ, શી વલે અમારી અમારી... મોહન.
મહારાજ હસ્યા, “કવિરાજ! તમે તો એક પછી એક રત્ન કાઢી રહ્યા છો.”
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, “મહારાજ! હજુ વધારે રત્ન કવિની ઝોળીમાં ભર્યાં છે. કવિરાજ, ખોલો ખોલો, ઝોળી ખોલો.”
કવિએ શરૂ કર્યું:
સૈયર કાય સાંગુ મી આતા, કુઠે ગેલા યા હતાં યા હતાં;
ન જાણે કોણી જાતાં, સંગે ગાતા સંગે ગાતા... મોહન.
આ સાંભળી મહારાજે કહ્યું, “કવિરાજ! આ મરાઠી ભાષા ક્યાં શીખી આવ્યા?”
તેમણે કહ્યું, “મહારાજ! વડોદરામાં રહેવાનું થયું એટલે થોડી ભાષા આવડી ગઈ.”
એટલે નાજો જોગિયો ઉતાવળા થઈ ગયા. તેમણે કહ્યું, “સ્વામી! પેલું કાઠીવાળું તો બોલો.”
સ્વામીએ શરૂ કર્યું:
તબ બોલી એક મરમાલી, મહારાજ વાત સાંભળોને માલી;
આજ હું તો આદીશાં વનમાલી, બહુલીની કરતાલી કરતાલી... મોહન.
આ સાંભળી મહારાજ હસવા લાગ્યા. તેમણે કહ્યું, “બ્રહ્માનંદ સ્વામી ખરું કહે છે. કાઠીની દેશી કાઢી તે માર્યા વગર ન મૂકે.”
એટલે દૂર બેઠેલ મોટીબાએ કહ્યું, “મહારાજ! સ્વામીએ અમારી ભાષાને કૃતાર્થ કરી. અમારી ભાષામાં કોઈએ કીર્તનો રચ્યાં નથી.”
પછી પ્રેમાનંદ સ્વામીએ ગાયું:
પ્રભુજી મેં તો થાકી દાસી, ઠાકોર હાંસી મા જીવ જાસી,
પ્રેમસખી કંઠ લગાસી, આઈ મીલો વનવાસી, વનવાસી... મોહન.
મારવાડી ભાષાનું આ કીર્તન સાંભળી મહારાજ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, “પ્રેમાનંદ સ્વામી! તમારાં આ કીર્તન સાંભળી અમે તમારા ઉપર બહુ જ રાજી થયા છીએ, આજે તો તમને મોજ આપવી છે.” એમ કહી બ્રહ્મચારી પાસે બુરાની શેલું મંગાવ્યું પરંતુ પ્રેમાનંદ સ્વામીએ તે ન લીધું. પછી સુરતની ફૂમતાવાળી જરીની ટોપી મંગાવી. તે પણ તેમણે ન લીધી. ત્યારે મહારાજે અગણોતેરા કાળમાં પોતે પીળી કચ્છી ટોપી પહેરતા તે મંગાવી. પ્રેમાનંદ સ્વામીએ તે લીધી. મહારાજે તેમને છાતીમાં ચરણારવિંદ આપ્યા.
[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪]