નવસંસ્કરણ પ્રસ્તાવના
સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતોનું જેટલું માહાત્મ્ય છે એટલું જ માહાત્મ્ય અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું છે. અનુક્રમે ‘શ્રુતિ’ અને ‘સ્મૃતિ’ તરીકે પ્રચલિત આ ગ્રંથો, સંપ્રદાયના પાયાના ગ્રંથો છે.
છેલ્લા ઘણા વખતથી ‘સ્વામીની વાતો’ના ગ્રંથની માંગ હતી, તેને સંતોષતાં આ પંચમ આવૃત્તિ પ્રકાશિત કરતાં હર્ષ થાય છે.
આ અમૂલ્ય ગ્રંથનું મુદ્રણ સ્વચ્છ, સુઘડ અને કલાત્મક બને તે માટે, આ આવૃત્તિ અદ્યતન કમ્પ્યુટરાઈઝ્ડ ટાઇપસેટિંગ કરાવીને તેનું ઑફસેટ મુદ્રણ કરવામાં આવ્યું છે.
જરૂર જણાઈ છે ત્યાં પાદટીપમાં અર્થો-સંદર્ભો સ્પષ્ટ કર્યા છે. આ ઉપરાંત, ખાસ ઠેર ઠેર પાદટીપ (ફૂટનોટ) પણ ઉમેરવામાં આવી છે. જેમાં ‘સ્વામીની વાતો’માં આવતાં તળપદા શબ્દો, પૌરાણિક-પ્રાચીન-ગ્રામીણ દૃષ્ટાંતો, શ્લોકો કે ગૂઢ રહસ્યોના અર્થો-સંદર્ભો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે વાચકોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આ પાદટીપો ઉપયોગી નીવડશે. અંતે વાતોની અનુક્રમણિકા પણ ઉમેરવામાં આવી છે.
ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, આનંદસ્વરૂપ સ્વામી વગેરે વિદ્વાન સંતોના માર્ગદર્શન હેઠળ, પાદટીપ તૈયાર કરવામાં અક્ષરજીવન સ્વામીએ ખૂબ પરિશ્રમ લીધો છે, એ બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
અસ્તુ.
પ્રકાશન સમિતિ
સ્વામિનારાયણ અક્ષરપીઠ
