॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૧૧
વાસનાનું તથા એકાંતિક ભક્તનું
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! વાસનાનું શું રૂપ છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને વાસના કહીએ; અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને પણ વાસના કહીએ.”
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.”


