share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ ૧

નિર્વિકલ્પ સમાધિનું

સંવત ૧૮૮૨ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદી કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો અને ગૂઢા રંગનો રેંટો કમરે બાંધ્યો હતો ને માથા ઉપર કસુંબલ રેંટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો ને ખભે કસુંબલ રેંટો જરકસી છેડાનો વિરાજમાન હતો ને કંઠને વિષે ગુલાબનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને માથા ઉપર ગુલાબનાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને ભુજાઓને વિષે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા. એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય; ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે. તે કહીએ તે સાંભળો જે, શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે,

‘અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનં પોષણમૂતયઃ ।
મન્વન્તરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ ॥’

“એ શ્લોકનો એમ અર્થ છે જે, વિશ્વનાં સર્ગવિસર્ગાદિક જે નવ લક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિષે જે મુમુક્ષુની અચળ મતિ થઈ; જેમ આ આંબાનું વૃક્ષ છે તે એક વાર દૃઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિષે ભ્રાંતિ ન થાય જે, ‘આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય?’ તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ-વિકલ્પ રહેતા હોય જે, ‘બ્રહ્મપુરને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે? અને શ્વેતદ્વીપ ને વૈકુંઠને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે? અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે?’ એવી જાતના સંકલ્પ-વિકલ્પ કર્યા કરે, પણ પ્રકટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને. અને એવાને જો દૈવેચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ-વિકલ્પ મટે નહીં અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઇચ્છે પણ મનના વિકલ્પ મટે નહીં, એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે ને સમાધિ ન હોય તોય સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી, તોય પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે.”

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, “મનમાં સંકલ્પ-વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કૌરવને ને પાંડવને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવ ને પાંડવે વિચાર્યું જે, ‘આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ જે, તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય,’ એવું વિચારીને કુરુક્ષેત્રને વિષે યુદ્ધ કર્યું. પછી જીત્યા તેનું પણ સારું થયું ને એ સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ ને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, અને જો મન આગળ હારે તો પણ યોગભ્રષ્ટ થાય. તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંત્યે જાતો એ એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખડો કર્યો તે છૂટી ન પડે. માટે બુદ્ધિવાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું. પછી એ મનને જીતશે તો પણ સારું છે ને એ મનથી હારશે તો પણ યોગભ્રષ્ટ થશે. તેમાં અંત્યે જાતાં સારું છે. તે માટે જે કલ્યાણને ઇચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧ ॥ ૨૦૧ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧. પ્રાણાયામ વગેરે સાધનો વગર પણ નિર્વિકલ્પ સમાધિ થઈ શકે છે. તેની રીત નિર્વિકલ્પ સમાધિનો અર્થ જણાવીને કહે છે.

૨. સર્ગઃ – મહત્તત્ત્વથી આરંભીને પૃથ્વી પર્યંત તત્ત્વોની ઉત્પત્તિ, અર્થાત્ વૈરાજપુરુષ સુધીની સૃષ્ટિ. વિસર્ગઃ – બ્રહ્માએ કરેલી સૃષ્ટિ. સ્થાનમ્ – ભગવાનની સર્વોત્કર્ષ શત્રુવિજયાદિરૂપ સ્થિતિ. પોષણમ્ – ભગવાનનો જગતના રક્ષણરૂપ અનુગ્રહ. ઊતયઃ – કર્મવાસના. મન્વંતરકથા – સદ્ધર્મ, ભગવાને અનુગ્રહ કરેલો મન્વંતરાધિપોનો ધર્મ. ઈશાનુકથા – ભગવાનનાં અવતારચરિત્રોની કથા તથા તેમના એકાંતિક ભક્તોનાં આખ્યાનોવાળી સત્કથા. નિરોધઃ – જીવ-સમુદાયનું પોતપોતાની કર્મશક્તિઓની સાથે સૂક્ષ્મ અવસ્થારૂપ પ્રકૃતિમાં લીન રહેવું તે. મુક્તિઃ – ત્રણ દેહ તથા ત્રણ ગુણનો ત્યાગ કરી અક્ષરબ્રહ્મ સાથે એકતા પામી, પરબ્રહ્મની સેવા તે. આશ્રયઃ – જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, જેને ‘પરબ્રહ્મ પરમાત્મા’ ઇત્યદિક શબ્દથી શ્રુતિ-સ્મૃતિઓ કહે છે તેમની શરણાગતિ. (ભાગવત: ૨/૧૦/૧).

૩. ભગવાન અને સત્પુરુષનો યોગ પૂર્વજન્મમાં પ્રાપ્ત થયો હોય પરંતુ ઉપાસનામાં ખોટ્ય રહી ગઈ હોય અને દેહ પડી ગયો હોય તેવો ઉપાસક બીજો જન્મ પવિત્ર કુળમાં પામે તેને યોગભ્રષ્ટ જાણવો. આ વાત ગીતા (૬/૪૦-૪૧)માં પણ કહી છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase