॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૫
ધ્યાનના આગ્રહનું
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું.૨૦ અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદાને વિષે ન દેખાય તો પણ ધ્યાન કરવું; પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા૨૧ થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે.”
પાદટીપો
૨૦. અહીં રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનના દૃષ્ટાંતથી, પોતાના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્મસ્વરૂપ સત્પુરુષે સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરવું તેવો ભાવાર્થ ‘ખોરડા પર બીજ’ એ ન્યાયથી મુખ્યપણે સંપ્રદાયમાં સમજાવાય છે.
૨૧. પોતાની મૂર્તિનાં દર્શન આપવારૂપ.


