વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૫૪

૧૯૫૪, ગોંડલ, અક્ષરદેરીમાં વચનામૃત ગઢડા મધ્ય ૫૧, ૫૩, ૫૪ વંચાવી યોગીજી મહારાજ કહે, “આ જીવ પોતે પોતાને જોઈ શકતો નથી કે ‘હું કેવો છું?’ એવો અજ્ઞાની છે. છતાં મોટા સત્પુરુષની ક્રિયામાં ખોટ કાઢે છે. તે મૂર્ખ શિરોમણિ છે. માટે સત્પુરુષની રજેરજ જેવી ક્રિયામાં અખંડ દિવ્યભાવ અને નિર્દોષભાવ રાખવો. આવો ભાવ સત્પુરુષને વિષે જો આત્મબુદ્ધિ થાય તો જ આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૪૯૦]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સત્સંગે કરીને ભગવાન વશ થાય તેવા બીજા કોઈ સાધને થાતા નથી. તે સત્સંગનો અર્થ એ છે જે, ભગવાન ને સંત તેને વિષે જેટલો સદ્‌ભાવ તેટલો સત્સંગ છે, તે થવો દુર્લભ છે.”

[સ્વામીની વાતો: ૫/૨૬]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે. ને સંત છે ત્યાં અનંત ગુણ છે અને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે. તે ‘વચનામૃત’માં કહ્યું છે કે, તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે, તેવો હું વશ થાતો નથી જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાઉં છું. ને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પારાવાર નથી. અજામેળ મહા પાપી હતો પણ તેને સનકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે કે મારાથી તો કાંઈ થાય નહીં. ત્યારે સાધુ તો દયાળુ છે તે છોકરાનું નામ ‘નારાયણ’ પડાવીને પણ મોક્ષ કર્યો.”

[સ્વામીની વાતો: ૧/૧૮૧]

 

સં. ૧૯૫૨, ગઢડા. એક સાધુ સભામાં બેઠા હતા. તેમના સામું ભગતજીએ દૃષ્ટિ માંડીને જોયું એટલે તે સાધુ વચનામૃત ગઢડા પ્રથમ ૫૪; મધ્ય ૫૪; અંત્ય ૨૧ એટલાં વચનામૃત મોઢે બોલ્યા. તે સાંભળી ભગતજી વસોવાળા પુરુષોત્તમદાસને કહે, “આ તો દિશ ઉપર વાત થઈ.” એમ કહીને પોતે વાત કરી, “ભગવાનના એકાંતિક સંતને વિષે મોક્ષની ચાવી એવા સંતને આપી છે. માટે એ સંતને મોક્ષનું દ્વાર કહ્યા છે. એવા સંતને મન, કર્મ, વચને સેવીને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો, પરંતુ દ્રોહ કરવાનો સ્વભાવ તો રાખવો જ નહીં. જેને જેને ભગવાનના ભક્તનો અભાવ આવ્યો છે, તે અતિશય મોટી પદવી થકી પડી ગયા છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૩૮]

 

યોગીજી મહારાજ કહે, “શ્રીજીમહારાજ સત્સંગમાં ગુણાતીત સંત દ્વારા પ્રગટ છે. શ્રીજીમહારાજે ગઢડા મધ્ય ૫૪ના વચનામૃતમાં ચારે પ્રકારની બુદ્ધિ (પૂજ્યબુદ્ધિ, તીર્થબુદ્ધિ, આત્મબુદ્ધિ, સ્વત્વબુદ્ધિ) ભગવાનના એકાંતિક સંતમાં કરવાની આજ્ઞા કરી છે. અને જેણે તે નથી કરી તો ‘ગો’ કહેતાં બળદિયો ને ‘ખર’ કહેતાં ગધેડા જેવો તેને જાણવો. ખારવા ગામમાં મૂળીના સાધુ આવેલા. ગામમાં અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાવાળા હરિભક્તો હતા. તેમણે મહારાજની સાથે સ્વામીની મૂર્તિ પણ પૂજામાં રાખેલી. આ જોઈ તે સાધુઓએ કહ્યું, ‘સ્વામીની મૂર્તિ પૂજામાં કેમ રાખો છો?’ હરિભક્તો પાકા હતા. તેમણે કહ્યું, ‘સ્વામી! કાઢો ગઢડા મધ્ય ૫૪નું વચનામૃત.’ પછી આ વચનામૃત વંચાવી કહ્યું, ‘અમારે આખલા ને ગધેડા જેવા નથી થવું, તેથી મહારાજની સાથે સ્વામીની મૂર્તિ રાખીએ છીએ.’ એકાંતિકમાં ચાર પ્રકારની બુદ્ધિ કરીએ તો મહારાજ વરણીય થાય.”

[યોગીવાણી: ૨૫/૮૫]

 

તા. ૩૦/૬/૧૯૬૮, ગોંડલ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૫૪ વંચાવી યોગીજી મહારાજ કહે, “આત્મબુદ્ધિ શું? પોતાનું ખાવાનું ભક્તને દઈ દે. જે વચન કહે તે ટૂક ટૂક થઈને પાળે. આત્મબુદ્ધિ થઈ હોય તો બળ રહે. કેફ રહે. વચન પળે. ખાધું હોય તો ભૂખ જાય કે ન જાય? આ મધ્યનું ૫૪ તેને માટે છે. એવી આત્મબુદ્ધિ ન હોય તો ગધેડો ને આખલો કીધો. એમ કોઈને કહે તો રીસ ચડે. મંદિરે ન આવે. પણ ભાગવતમાં કહ્યું છે. ઝાઝાં વચનામૃત સિદ્ધ થાય અથવા ન થાય, પણ આ એક સિદ્ધ થાય તો ઘણું. ઘોડેસવાર ત્રણ ઠેકાણે વૃત્તિ રાખે છે. તેમ આપણે ઘઉં વીણવામાં વૃત્તિ રાખવી. કથા સાંભળવી અને કાંકરા કાઢવા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૫૮]

 

યોગીજી મહારાજ કહે, “સ્વામીએ વાતોમાં કહ્યું: આત્મબુદ્ધિ એ જ સત્સંગ. નિયમ, ધર્મ, ત્યાગ, વૈરાગ્ય પળાવવા નહોતાં એમ નથી, પણ આત્મબુદ્ધિ એ એકડો છે, એ હોય તો પક્ષ રહે, એમ સ્વામીનો સિદ્ધાંત છે. કૃપા કરીને અખંડ મૂર્તિ દેખે તો મહિમા ઘણો વધે અને લોકો દંડવત્ કરે; પણ આત્મબુદ્ધિ ન હોય તો ખોટ મહારાજે બતાવી. ગઢડા મધ્ય ૫૪ અને ગઢડા અંત્ય ૧૧ પ્રમાણે, સમાધિ વિના સદાય શાંતિ આત્મબુદ્ધિ હોય તો રહે. ભગવાનના ભક્તનો પક્ષ અને આત્મબુદ્ધિ હશે, તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે.”

[યોગીવાણી: ૩/૧૬]

 

સત્સંગનો પર્યાય આત્મબુદ્ધિ

ભીમ એકાદશીએ સવારે ‘પ્રાતઃ સ્મરામિ...’ ‘જલધર સુંદર...’ બે અષ્ટકોનું ગાન સંતોએ કર્યું. બાળમુકુંદ સ્વામી પાંચ વાત બોલ્યા. છેલ્લી વાત બોલ્યા, “ત્યાગ-વૈરાગ્યને શું કરવા છે. આત્મબુદ્ધિ એ જ સત્સંગ.”

સ્વામીશ્રીએ તરત જ વાત ઉપાડી:

“આત્મબુદ્ધિ નિત્ય વાંચીએ છીએ, પણ ટાણે રહે ત્યારે ખરું. ગ. મ. ૫૪ વચનામૃત પ્રમાણે. મૂળુભાઈએ દીકરાનો હાથ કચરાણો ત્યારે ચીસ પાડી. એવી આત્મબુદ્ધિ રાજાભાઈને હતી.

“જ્યાં સુધી ભગવાનના ભક્તને જોઈને મન હરખે નહિ, હૃદય પ્રફુલ્લિત ન થાય, ત્યાં સુધી ક્યાં આત્મબુદ્ધિ છે? શુષ્કભાવ હોય ને મૂર્તિ દેખે તોય શું?

“કોઈ જૂનાગઢ આવે ત્યારે મોટા નંદ સાધુ પણ રોકે ને કહે, ‘ત્યાં શું છે! ત્યાં તો કાળમીંઢ પાણો છે.’ ભગવાનના ભક્તને દુઃખ થતું હોય તો સહાય કરે. દીકરાનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તની સેવા કરે. એવો ભીડો ખમે...

“ભગવાન ને સંત ક્યારે રાજી થાય? અનુવૃત્તિ.

“મારી ઉપર સ્વામીનો કાગળ આવ્યો હોય ને જમતો હોઉં તો પહેલી ગાડી પકડી લઉં; બીજી નહિ. ત્યારે શાસ્ત્રીજી મહારાજ રાજી થયા. દૃષ્ટિ પડી ગઈ. અમે ત્રણેય - સ્વામી, નિર્ગુણ સ્વામી ને હું સાથે ફરતા. સ્વામીને રાજી કર્યા તો અંતરમાં ટાઢું. ભલેને દેહમાં તાવ હોય, તોય શું?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૯૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ