વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૫૯

તા. ૧૫/૭/૧૯૫૬, ગોંડલ. સવારે યોગીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૫૯ વચનામૃત વંચાવીને કહ્યું, “શું કીધું? મુદ્દો શું? ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. પૈસા, બૈરાં-છોકરાં એ કાંઈ કલ્યાણકારી નથી.

“અત્યારે ગામોગામ શંકરની આરતી ઊતરે, બ્રહ્માની આરતી ઊતરે, હનુમાનની આરતી ઊતરે છે... એ કરતાં કોણ અધિક? સંત. સાધુની મૂર્તિ ન હોય, એમ જૂના સંપ્રદાયવાળા ટીકા કરે છે. એ સંત માટે બાપા (મહારાજ) શું કહે છે? સંત ભવ-બ્રહ્માદિક કરતાં અધિક છે. આવો મહિમા સમજાય તો સેવા થાય કે નહીં? ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ શું? પ્રગટ મળ્યા તે.

“પ્રગટ મળ્યા તે પરમ કલ્યાણકારી છે. એથી ઉપરાંત કાંઈ કલ્યાણકારી નથી. સંતની સેવા બહુ મોટા પુન્યવાળાને મળે છે.

“સેવા શું? નવડાવવા, ધોવડાવવા, જમાડવા, થાળ કરવા, વાસણ ઊટકવાં, ફૂલ લાવવાં, હાર ગૂંથવા એ બધી સેવા ભવ-બ્રહ્માદિકને પણ મળતી નથી. બીજાને તો પત્તો લાગતો નથી. આ તો પૂર્વના બહુ પુણ્યે મળી છે. રાજકોટમાં ઘણા છોકરા છે. કોઈ આવે છે? બોલ-બેટ રમે છે, ફરે છે. કોઈ ઢૂંકડો ન આવે. આપણે આવીએ છીએ એ પૂર્વનું પુણ્ય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૮૭]

 

યોગીજી મહારાજ કહે, “અમારી એવી કઈ ક્રિયા છે, જેમાં તમને મનુષ્યભાવ આવે છે? જો હું ધારું તો નીચે સૂઈ જાઉં; મારું શરીર દુખે નહીં. ઠંડે પાણીએ નહાઉં. જમું જ નહીં. હાથ-પગ ન દબાવરાવું, તો પણ કાંઈ ન થાય. અમે દેહના ભાવ જણાવીએ પણ તે માનવા નહીં. ને જણાવીએ નહીં તો પછી તમને સેવા ક્યાંથી મળે? મધ્યનું ૭ અને ૫૯ વચનામૃત પ્રમાણે સેવાથી જ વૃદ્ધિ પમાય. એટલે તમને હાથ-પગ દબાવવાની, નવડાવવાની, રસોઈ કરવાની સેવા આપીએ છીએ. નહીં તો તમે બેસી રહો તો વૃદ્ધિ પામો નહીં. તમે કહો તો હું તમારી પાસે કોઈ સેવા કરાવું નહીં. દિવ્યભાવમાં વર્તું. પણ સેવા વિના વૃદ્ધિ પમાતું નથી. તમારે શું ભડકો જોવો છે? તો સ્વામીને કહું, ‘બધા યુવકોને ભડકો દેખાડો,’ તો દેખાડે. પણ સકામ થઈ જવાય. માટે જ્ઞાનની સ્થિતિ ઇચ્છવી.”

[યોગીવાણી: ૧૦/૧૧૫]

 

યોગીજી મહારાજ કહે, “મોટાપુરુષને રાજી કરવા હોય તો નીચી ટેલ કરવી. આપણને પ્રાપ્તિ સર્વોપરી છે. મધ્યના ૫૯ વચનામૃત પ્રમાણે સેવા માટે પડાપડી થવી જોઈએ. પણ આપણે તો ‘મેળે માવજીભાઈ’ થઈ મોટા થઈ જઈએ છીએ. મેળે માવજીભાઈ – સત્પુરુષ થાવા જાય તો જેલ ભેગો થઈ જાય. જેના ઉપર સક્કો વાગ્યો હોય તે જ માવજીભાઈ સાચા. ભગવાનના ગુણાતીત સંત તે જ સાચા સત્પુરુષ છે.”

[યોગીવાણી: ૧૮/૧૨]

 

પ્રમુખસ્વામી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૫૯મું સમજાવતા કહ્યું કે, “પરમ કલ્યાણ શું? ભગવાન કે સંતની પ્રાપ્તિ થવી તે. તે સંતને ભવ, બ્રહ્મદિક કરતાં પણ અધિક કહ્યા. આકાશમાં ઊડે તેવા સંત? પંખી પણ આકાશમાં ઊડે છે. તે મોટપ નથી. સંતને સાચા મહિમાથી ઓળખીને સેવા કરવી. સંત જેવા છે તેવા ઓળખવા અને ઓળખાવવા તે સેવા છે.” (૮૪)

[સંજીવની: ૧/૮૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ