વચનામૃત નિરૂપણ

વરતાલ ૧૯

ગુણાતીતાનંદ સ્વામી કહે, “આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા. ને આ ભરતખંડમાં મનુષ્યદેહ કાંઈ થોડા પુણ્યે આવતો નથી. તે દેવતા પણ કહે છે જે, ‘અહો અમીષાં.’” એ શ્લોક બોલીને કહે છે, “એમ દેવતા પણ ઇચ્છે છે. તે મળ્યો ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં.”

[સ્વામીની વાતો: ૬/૧૬]

 

તા. ૧૨/૪/૧૯૫૯, રાત્રે ૧૧-૦૦ વાગે જંબુસરમાં યોગીજી મહારાજ વચનામૃત વરતાલ ૧૯ ઉપર વાત કરતાં કહે, “સંત જ્યાં વિચરતા હોય, પણ ઓળખાણ ન થઈ તો ભગત કહેવાય નહીં. ઓળખાણ શું? રૂપિયાને ઓળખ્યા છે તો કોઈ ફેંકી દે છે? ખીસ્સામાં જ મૂકે. ભગવાનના એકાંતિક સંત, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિર્દોષબુદ્ધિવાળા. તેની સાથે હેત થાય તો ભગત, નહીં તો મંદિરમાં બેસી રહે, માળા ફેરવે, પણ ભગત નહીં. મહારાજ ના પડે છે.

“રસ્તામાં સ્વામિનારાયણના સાધુ જાય તો સૌ કહે, ‘સ્વામિનારાયણના સાધુ જાય છે.’ પણ એ તત્ત્વે સહિત ઓળખાણ નથી. આ જ સાધુ અક્ષરધામમાં લઈ જાય એવા છે, મોક્ષના દાતા છે, કહે એમ કરવું, એ જ ઓળખાણ. બીજું કાંઈ નહીં. આપણે શ્રીજીમહારાજને ભગવાન માન્યા અને સ્વામીને અક્ષર માન્યા, તેથી પાંચ વર્તમાન પાળવા પડે. ભગવાનની મૂર્તિનું સુખ આવે છે ત્યારે જગતનું સુખ નીકળી જાય છે. દૂધપાક ખાધો હોય પછી બીજા સ્વાદ કૂચા. નરકના કીડા નરકમાં સુખ માને છે. આપણે કોઈ માનીએ છીએ?

“મનોરથ શું? અક્ષરધામમાં જવાના, નિર્દોષબુદ્ધિના, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાના વગેરે મનોરથ સિદ્ધ કરે. વળી, થોડા વ્યવહારના પણ કરે, એમ ને?

“ચૌદ લોકનાં સુખ કાકવિષ્ટા તુલ્ય! અહાહા! એવું કાં વાંસો (વાંચો)? ભગવાનના ભક્ત એટલે પરોક્ષના ભક્તને? ના, મહારાજના ભક્ત. કાકવિષ્ટા એટલે વિષ્ટાની વિષ્ટા. આવું સમજ્યા છતાં મોહ કેમ નથી છૂટતો? જીવમાં કેમ ઊતરતું નથી? આવા બળના શબ્દો પડ્યા નથી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૯]

 

તા. ૧૯/૬/૧૯૬૨, મુંબઈ. કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “ભગવાનની વાર્તા કરીએ છીએ – એમ મહારાજે કહ્યું. તે સૌ પરોક્ષનું સમજ્યા, પણ ‘મહારાજ, તમારી વાત કરો’ એમ કોઈ ન બોલ્યા. સત્પુરુષ મળ્યા એ જ મોક્ષ અને એ જ અક્ષરધામની પ્રાપ્તિ. મોટાપુરુષના આશીર્વાદથી ને કૃપાથી અનુભવ થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૦]

 

યોગીજી મહારાજે વરતાલનું ૧૯મું વચનામૃત વંચાવ્યું અને વાત કરી, “આમાં મહારાજે કહ્યું કે સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ. એટલી વાત કરી એટલે સૌ સાવધાન થઈ ગયા. ભગવાન તો પોતે હતા, પણ પરોક્ષપણે મહારાજે વાત કરી તેનું કારણ એ છે કે આ જીવને જેટલી પરોક્ષને વિષે પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષ વિષે નથી. પણ ભગવાન ને ભગવાનના સંત તો જરૂર પૃથ્વી ઉપર વિચરતા જ હોય છે, એમ મહારાજે કહ્યું કે એ તો પરોક્ષ થાય એવા નથી, પણ ઓળખાય નહીં.”

[યોગીવાણી: ૨૩/૧૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ