વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૬૨

“કાળ, કર્મ, માયા ને સ્વભાવથી પર ભગવાનને કેમ જાણવા?”

નિયમ પ્રમાણે સ્વામીશ્રી સાથે સૌ સંતો સભામાં બિરાજ્યા. સ્વામીશ્રીને તો આ જીવને અનેક પ્રકારે જ્ઞાન આપીને સુખિયો જ કરવાની ઇચ્છા, એટલે જીવના સાચા સુખની જ વાત કરી:

“મોટાપુરુષને નિર્દોષ જાણવા, સર્વજ્ઞ જાણવા અને તેમની સાથે અંતરાય ન રાખવો, તો મોટાપુરુષ રાજી થાય અને તેમના ગુણ આવે. સંબંધ થાય તો ગુણ આવે. સંબંધનુ વચનામૃત ગ. પ્ર. ૬૨.”

તે ઉપર એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો, “આ વચનામૃતમાં મહારાજે કહ્યું કે: ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે.’ તે કાળ, કર્મ, સ્વભાવ અને માયા જેવા ભગવાનને જાણ્યા ક્યારે કહેવાય?”

તે પ્રશ્નનો ઉત્તર કોઈથી થયો નહિ. ત્યારે સ્વામીશ્રીએ ઉત્તર કર્યો કે, “કાળ છે તેની નાશ કરવાની શક્તિ છે. તે શક્તિ ભગવાને આપી છે. પણ જો એમ સમજે કે કાળ આવ્યો અને મોત થયું, તો ભગવાનને કાળ જેવા જાણ્યા કહેવાય; પણ ભગવાનની ઇચ્છાએ કાળ આવ્યો અને મૃત્યુ થયું એમ સમજે, તો ભગવાનને કાળ જેવા જાણ્યા ન કહેવાય.

“વળી કર્મ છે તે ઊંચ-નીચ ગતિને આપે છે. માટે જે એમ સમજે કે ઊંચ-નીચ કર્મે કરીને એ પ્રમાણે ગતિ થાય છે, તો ભગવાનને કર્મ જેવા જાણ્યા કહેવાય; પણ ભગવાનને કર્મફળપ્રદાતા જાણે તો કર્મથી ન્યારા જાણ્યા કહેવાય. મહારાજે તો ગ. મ. ૪૫ વચનામૃતમાં કહ્યું છે કે: ‘ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે અને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તોપણ તેનો નાશ થઈ જાય છે; અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્યું હોય અને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તોપણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામે.’

“એમ ભગવાનની ઇચ્છા આગળ એકલું કર્મ છે તે ઊંચ-નીચ ગતિ આપી શકતું નથી એમ સમજે, પણ એકલા કર્મથી જ ઊંચ-નીચ ગતિ મળે છે એમ ન સમજે, તો ભગવાનને કર્મ જેવા જાણ્યા ન કહેવાય.

“માયાનું કાર્ય લીન કરવાનું છે, તે જીવની અને ઈશ્વરની ઉપાધિ પ્રલયકાળે માયામાં લીન થઈ જાય છે. પણ ભગવાન માયામાં અન્વય રહ્યા થકા વ્યતિરેક રહે છે, પણ ભગવાનને એમ બીક નથી લાગતી કે ‘રખે હું માયામાં જાઉં અને અશુદ્ધ થઈ જાઉં.’ એમ માયા લીન કરી શકતી નથી. ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે અને ચોવીસ તત્ત્વને વિષે આવે તો ચોવીસ તત્ત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે.

“એમ જે સમજે તે ભક્ત ભગવાનને માયા જેવા નથી જાણતા. પણ જે ભક્ત ભગવાનની મૂર્તિને વિષે પણ પંચ ભૂતના દેહનું આરોપણ કરે છે, તે ભક્ત ભગવાનને માયા જેવા જાણે છે; પણ ભગવાનના સ્વરૂપમાં પંચ ભૂત છે જ નહિ એમ નથી સમજી શકતા.

“જ્યારે ભગવાનને કર્તા થક અકર્તા સમજે, ત્યારે ભગવાનને સ્વભાવ જેવા જાણ્યા ન કહેવાય. ભગવાનને તો કોઈ કાર્ય અડતું જ નથી, જડ અને ચૈતન્ય પ્રકૃતિનું કાર્ય અડતું જ નથી. તે તો સદાય ન્યારા છે, અને જડ અને ચૈતન્ય પ્રકૃતિના આધાર છે, પણ તે રૂપ નથી. આમ, ચોખ્ખી સમજણ લોયા-૭ પ્રમાણે થાય ત્યારે ભગવાનનું સ્વરૂપ સમજાય.” આ પ્રમાણે સ્વામીશ્રીએ અદ્‌ભુત ઉત્તર કર્યા. પછી કહ્યું, “જે ભક્તને ભગવાનનો સાક્ષાત્ સંબંધ થયો હોય અને અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થયું હોય તેને જ ઉપર પ્રમાણે સમજતાં આવડે; બીજો તો પ્રસંગે ભગવાનનું સ્વરૂપ સમજવામાં ગોથાં ખાઈ જાય અને અખંડ દિવ્યતા અને પર થકી પર, તે થકી પણ પર ભગવાનના સ્વરૂપને ન સમજી શકે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૫૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ